ગુજરાતમાં એક એવી પ્રાચીન ગરબી જ્યાં મહિલાઓ નહીં પુરૂષો ગરબે ઘૂમે છે
હાલ નવરાત્રિ ચાલી રહી છે અને કોમર્શિયલ ગરબાને મંજૂરી નહીં હોવાથી પરંપરાગત શેરીઓમાં ગરબાનુ મહત્વ વધી રહ્યું છે.. ત્યારે આજે અમે તમને એક એવી ગરબી અંગે માહિતગાર કરવા જઇ રહ્યા છીએ.. જે આશરે 330 વર્ષ જૂની છે.. તેની ખાસિયત એ છે કે તે ગરબીમાં મહિલાઓ નહીં.. પરંતુ પુરૂષો લાલ-પીળા અને કેશરી ઓબોટિયા પહેરીને ગરબે ધૂમે છે.. અને તે પણ ક્ષણભરના વિલંબ સિવાય સતત સાડા ત્રણકલાક.
જામનગર શહેર જેને છોટા કાશીનુ બિરૂદ મળેલું છે.. તેમાં કેટલીક પ્રાચીન ગરબીઓ ચાલી રહી છે, જે પૈકીની જલાની જારની ગરબી 330 વર્ષથી નવરાત્રિ ઉત્સવ ઊજવાય છે. જામનગર શહેરની પ્રાચીન ગરબી એટલે જલાની જારના ચોકની ગરબીને આજ દિવસ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ-સ્પીકર કે સંગીતનાં વાજિંત્રો વગર માત્ર ‘નોબત’ના તાલે માત્ર પુરુષો પરંપરાગત લાલ-પીળાં અને કેશરી અબોટિયાં પહેરી આ ગરબી રમે છે.
330 વર્ષ જૂની ગરબી
આ ગરબીમાં ‘ઈશ્વર વિવાહ’ શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર 3-30 કલાક સુધી સતત ગાવા અને રમવામાં આવે છે. આ ગરબીમાં ચાંદી જડિત માતાનો મઢ તથા ચાંદી જડિત મા નવ દુર્ગાના પૂતળા સદીઓ પુરાણા છે. આ ગરબી આજથી 330 વર્ષ જૂની છે, જેમાં શરૂઆતથી આજ દિવસ સુધી પુરાણી પરંપરા જાળવી રાખવામાં આવી છે.
આ ગરબાની લોકવાયકા
જલાની જારના ચોકથી 150 મીટર દૂર આવેલા બાજરિયાફળીમાં રહેતા ચતા બાજરિયા નામના સદગ્રહસ્થને માતા સપનામાં આવેલાં અને તેમની પુણ્ય પ્રેરણાથી તેમને લત્તાવાસીઓની મદદથી ગરબીની શરૂઆત કરાવી હતી તેવી લોકવાયકા છે. આ ગરબી માટે માતાજીની મૂર્તિ પણ બળદગાડા મારફત છેક રાજસ્થાનથી લાવવામાં આવી હતી.
અગિયારસની વહેલી સવારે માતાજીને કંકાઈનો અણઘો ધરાવાય છે
આ અંગે સેવક મહિધર શુક્લે જણાવ્યું હતું કે હું છેલ્લાં 45 વર્ષથી અહીં ગરબી લેવા આવું છું. આ ગરબી પુરુષો ધોતિયું અને ઝભ્ભો પહેરીને લેવામાં આવે છે. આમાં કોઈ નાતજાતનો ભેદભાવ નથી, પાંચ વર્ષથી માંડી અને 100 વર્ષ સુધીના પુરુષો આ ગરબી રમે છે. આ ગરબીમાં ગરબા નથી ગવાતા, સંદર્ભ ગવાય છે.
આ ગરબીની વિશેષતાં એ છે કે અહીં સાતમા નોરતો શિવ વિવાહ અને ઇશ્વર વિવાહ લેવાય છે. આ ગરબીમાં દશેરાની રાત્રે અને અગિયારસની વહેલી સવારે માતાજીને કંકાઈનો અણઘો ઘરાવાય છે. વિશ્વમાં એકપણ માતાજીને અણઘો નથી ધરાવાતો, જ્યારે અહીં માતાજીને અણઘો ધરાવાય છે, ત્યારે 500થી 600 લોકો રમવાવાળા અને જોવાવાળા આવે છે.
એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે
આસો સુદ સાતમ બુધવાર રાત્રિના 11.30 વાગ્યે, આદ્યકવિ દેવીદાસ રચિત ‘ઈશ્વર વિવાહ’ રમાશે. સાંભળનાર શ્રોતાજનો એનો સાર સમજી શકે એ માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે. આ ‘ઈશ્વર વિવાહ’ જોવો અને ગાવો એ એક સ્મરણીય લહાવો છે, જેમાં એકપણ ક્ષણ વિના સતત સાડાત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે.