જાણો કઈ કઈ તારીખોએ થઈ શકે છે ભારે વરસાદ
ગત સપ્તાહમાં શનિવાર અને રવિવારે જે વરસાદ થયો હતો તેના કારણે રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદના કારણે અનેક ગામ બેટમાં ફેરવાયા હતા અને સાથે જ અહીં વિજપુરવઠો પણ ખોરવાયો હતો. આ ગામોમાં રાહતકાર્ય પણ હજુ ચાલી રહ્યા છે ત્યાં ફરીથી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ભાદરવા મહિનામાં થઈ રહેલા ધોધમાર વરસાદને હવે લોકો પણ ખમૈયા કરવા કહી રહ્યા છે ત્યારે વરસાદની આગાહી કરવા માટે જાણીતા એવા અંબાલાલ પટેલે ફરી ધોધમાર વરસાદ થવાની આગાહી કરી છે. થોડા સમય પહેલા સુધી તો લોકો પણ વરસાદ થાય તેવી પ્રાર્થના કરતા હતા પરંતુ હવે લોકો વરસાદ તારાજી ન સર્જે તેવી ઈચ્છા રાખે છે. તેવામાં આગાહી કરવામાં આવી છે કે આજથી લઈ 24 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ફરીથી શરૂ થઈ છે કે જોરદાર વરસાદ.
રાજ્યભરમાં ગત સપ્તાહમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે મોટાભાગના ડેમ ભરાઈ ચુક્યા છે. તેવામાં હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું હતું કે આજે એટલે કે 18 સપ્ટેમ્બરથી 24 સુધીમાં રાજ્યમાં ફરીથી ભારે વરસાદ પડી શકે છે. તેમના જણાવ્યાનુસાર આ વખતે પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 24 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર ઉપરાંત અરવલ્લી, પાટણ, સિદ્વપુર, વિસનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. જ્યારે હારીજ, બહુચરાજી, કડી, સુરેન્દ્રનગર અને પંચમહાલમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ વરસાદ થઈ શકે છે.
તેમના જણાવ્યાનુસાર આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બર સુધીમાં પણ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. ત્યારબાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. એટલે કે ચોમાસુ જતા જતા ધોધમાર વરસી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ 19થી 21 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ માછીમારોને 20 અને 21 સપ્ટેબરના રોજ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.