તમને કોરોના થયો છે ? તો આ બે તકલીફો સાથ નહીં છોડે એક વર્ષ સુધી
કોરોના વાયરસને લઈને નવા નવા ખુલાસા થાય છે અને લોકોની ચિંતા વધી જાય છે. તેવામાં વધુ એક ખુલાસો કોરોનાને લઈને થયો છે જેના કારણે લોકોની ચિંતા વધી શકે છે. મહામારીના દીર્ઘકાલિક સ્વાસ્થ્ય પ્રભાવને સારી રીતે સમજવા માટે કરવામાં આવેલા એક અધ્યયનમાં આ ખુલાસો થયો છે. એક નવા ચીની અધ્યયનમાં ખુલાસો થયો છે કે કોવિડ 19 માટે હોસ્પિટલમાં દાખલ થયાના એક વર્ષ પછી પણ દર્દીને થાક અને શ્વાસ લેવામાં તકલીફ થી શકે છે. આ સમસ્યાનો સામનો તેમને સ્વસ્થ થયા પછી ખૂબ લાંબા સમય સુધી કરવો પડી શકે છે.
બ્રિટિશ મેડિકલ જર્નલ ધ લેંસેટ ફ્રાઈડેમાં પ્રકાશિત એક સ્ટડી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ પછી હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મોટાભાગના લોકો ઓછામાં ઓછા લક્ષણોથી સતત પીડિત છે. તેમાંથી 12 મહિના પછી સૌથી વધુ થાક, સ્નાયુનો દુખાવો, નબળાઈની સમસ્યા જોવા મળે છે.
લોન્ગ કોવિડ તરીકે જાણીતી આ સ્થિતિ પર અત્યાર સુધીમાં કરવામાં આવેલા સૌથી મોટા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ડાયગ્નોસિસના એક વર્ષ પછી પણ ત્રણમાંથી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ છે. સ્ટડી રિપોર્ટ અનુસાર ગંભીર રીતે બીમાર થયેલા રોગીઓમાં આ સંખ્યા વધારે જોવા મળી હતી.
રિપોર્ટમાં કહેવાયું છે કે કોઈપણ સિદ્ધ ઉપચાર કે પુનર્વાસ માર્ગદર્શનના લાંબા સમય સુધી કોવિડ લોકોને સામાન્ય જીવન ફરી શરુ કરવા અને કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કોવિડમાંથી સ્વસ્થ થતા અને સાવ સામાન્ય જીવન જીવવા માટે ઘણા લોકોને 1 વર્ષનો સમય લાગી જાય છે.
મધ્ય ચીની શહેર વુહાનમાં ગત વર્ષે જાન્યુઆરીથી મે માસ વચ્ચે કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ અંદાજે 1300થી વધુ લોકો પર આ અધ્યયન કરવામાં આવ્યું હતું. વુહાન આ મહામારીથી પ્રભાવિત પહેલું શહેર છે. અહીંથી શરુ થયેલા વાયરસે દુનિયાના 21.4 કરોડ લોકોને સંક્રમિત કર્યા છે અને 40 લાખથી વધુએ જીવ ગુમાવ્યો છે.