આ વર્ષે સાતમ આઠમ જ નહીં દિવાળી પણ બગાડશે મોંઘવારી, દઝાડી દે તેવા રહેશે તેલના ભાવ
ખાદ્યતેલના ભાવમા જે ભડકો બોલી ગયો છે તેને લઈને વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. તેલનો ભાવ વધારો આ વર્ષે સાતમ આઠમમાં જ નહીં દિવાળીમાં પણ નડશે. બજારના જાણકારો અનુસાર ઓક્ટોબર અને નવેમ્બર મહિના સુધી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના નથી. છેલ્લા 6 મહિનામાં ઘરેલુ સ્તર પર વપરાતા સરસવ, મગફળી અને પામ તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત સોયાબીન અને સૂર્યમુખીના તેલના ભાવમાં વધારો થયો છે. સરકારે તેના પર ટેક્સ ઘટાડ્યો છે પરંતુ સામાન્ય માણસને તેનો કોઈ લાભ નથી મળી રહ્યો.
આંતરરાષ્ટ્રીય બજારમાં અનેક કારણોને લીધે ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકા, બ્રાઝીલ અને અન્ય દેશોમાં સોયાબીન ઓઈલની મદદથી બાયો ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોયાબીન ઓઈલની સાથે પામ તેલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. સોયાબી તેલનું વેચાણ 1300 ડોલર પર થાય છે અને પામ તેલના ભાવ અંદાજે 100થી 150 ડોલર પ્રતિ ટન હોય છે. સૂર્યમુખીના તેલમાં થતા વધારાની અસર પામ તેલ પર પણ થાય છે.
આ વર્ષે બીજી વાર છમાસ દરમિયાન તેલના ભાવ ઘટશે તેવી આશા હતી પરંતુ આ આશા ફળતી જોવા મળી નથી રહી. બ્રિટનમાં સૂર્યમુખીનો પાક ઓગસ્ટમાં કપાય છે. પરંતુ આ વર્ષે તે પણ સપ્ટેમ્બરમાં શરુ થશે. તેવામાં આગામી 4 મહિના સુધી ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં.
બજારમાં ખાદ્ય તેલોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ જુલાઈ માસ દરમિયાન 52 ટકાનો વધારો થયો છે. સરકારે રાજ્ય સભામાં આ અંગે લેખિત જાણકારી આપી છે. સરકારે એ પણ કહ્યું છે કે દાળ અને ખાદ્ય તેલની કિંમતો ઘટે તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈ માસમાં મગફળીનો સરેરાશ ભાવ ગત વર્ષે સમાન અવધિ દરમિયાન 19.4 ટકા સુધી વધ્યો છે. આ રીતે સરસવના તેલનો ભાવ 39.09 ટકા, વનસ્પતિ તેલનો ભાવ 46.01 ટકા, સોયાનો ભાવ 48.07 ટકા, સૂર્યમુખીનો ભાવ 51.62 ટકા અને પામ તેલનો ભાવ 44.42 ટકા સુધી વધ્યો છે.
ખાદ્ય તેલના ભાવ ઘટે તે માટે કાચા પામ તેલ પર આયાત શૂલ્ક 30 જૂને 5 ટકા ઘટાડવામાં આવ્યો હતો. આ ઘટાડો 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ રહેશે. આ ઘટાડા બાદ તેલના ભાવ 35.75 ટકાથી ઘટી 30.25 ટકા પર આવ્યો છે.