ઉછીના પૈસાએ છીનવી જિંદગી, નાનપણના મિત્રને આપેલા રૂપિયા પરત ન આપતા ગળાફાંસો
પૈસો સંબંધોને તાર તાર કરી રહ્યો છે.. અને તેનો વધુ એક પુરાવો સુરતથી સામે આવ્યો.. સુરતમાં એક યુવકે એટલા માટે ગળાફાંસો ખાધો. કારણ કે તેનો બાળપણનો મિત્ર તેને તે પૈસા નહોતો આપતો જે યુવકે મિત્રની જરૂરિયાતના સમયે તેને ઉછીના આપ્યા હતા..
સ્યુસાઇડ નોટના શબ્દો પોલીસને પણ હચમચાવી ગયા
‘મારી મોતનું કારણ કાશીનાથ છે, મારા કામના 30 હજાર લેવાના છે, માગું છું હાથ-પગ જોડું છું પણ આપતા નથી, તારાથી થાય એ કરી લે, આવા જવાબ આપી કહે છે, નહીં આપું તો શું કરી લેશે, થાય એ તોડી લે. સાહેબ મારા ઘરનું વીજ મીટર એક વર્ષ પહેલાં કાપી ગયા છે. અંધારામાં વૃદ્ધ માતા સાથે દિવસ પસાર કરીએ છીએ .બસ હવે થાક્યો એટલે હું આપઘાત કરું છું.’
આવી સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેનાર સાડી કટીંગના કારીગરના આપઘાત કેસમાં અમરોલી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાશીનાથની અટક કરી છે. મહેન્દ્ર થોરાત નામના યુવાને 11 મી એ પોતાના જ ઘરના રસોડામાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ સુસાઇડ નોટ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.
વૃધ્ધાના બે દીકરાના અગાઉ મોત થયા હતા, જીવનનો અંતિમ સહારો પણ છીનવાયો
મૃતકના પિતરાઇ ભાઇ શૈલેષ થોરાતે જણાવ્યું કે મહેન્દ્ર મોતીલાલ થોરાત ઉ.વ. 39 (રહે ધરતી નગર અમરોલી કોસાડ આવાસમાં) ગત તારીખ 11 મી એ ઘરના રસોડામાં ફાંસો ખાઇ મોતને વ્હાલું કરી લીધું હતું. મહેન્દ્ર સાડી કટીંગનું કામ કરી વૃદ્ધ માતા સાથે ગુજરાન ચલાવતો હતો. દીકરાના આપઘાત બાદ વૃદ્ધ માતા લાચાર બની ગઈ છે. 5 સંતાનોમાં બે ભાઈ અને બે બહેનોના અગાઉ મોત નીપજ્યા હતા. 65 વર્ષની વૃદ્ધ માતાનો એકનો એક આર્થિક સહારો મહેન્દ્ર જ હતો. જોકે એની લટકતી લાશ જોઈ માતા નું કાળજું કપાઈ ગયું હતું. જુવાન જોધ દીકરાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ માતા ઘેરા આઘાતમાં સરી ગઈ હતી. ઘટના બાબતે પોલીસે તપાસ શરૂ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા વાળી સુસાઇડ નોટ મળી આવી હતી.
મારી મોતનું કારણ કાશીનાથ
મહેન્દ્રની સુસાઇડ નોટ “મારી મોત નું કારણ કાશીનાથ છે, મારા કામના 30 હજાર લેવાના છે, માગું છું હાથ-પગ જોડું છું પણ આપતા નથી, તારાથી થાય એ કરી લે, આવા જવાબ આપી કહે છે નહીં આપું તો શું કરી લેશે, થાય તે કરી લેજે,મહેન્દ્ર એ સ્પષ્ટ લખ્યું છે કે, મને રૂપિયા મળી ગયા હોત તો હું વીજ કંપનીમાં રૂપિયા ભરી લાઈટ રોશની લઈ આવવાનો હતો. માતાના જીવનમાંથી નોરતામાં અંધારૂ દૂર કરવાનો હતો. જોકે નીકળતા રૂપિયા નહિ મળતા આપઘાત નું પગલું ભર્યું હતું. અમરોલી પોલીસે કાશીનાથ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાળપણની મિત્રતા પૈસાના કારણે થઇ તાર તાર
એમજી રાઠોડ (તપાસ અધિકારી PSI અમરોલી) એ જણાવ્યું હતું કે, આપઘાતના બીજા દિવસે ઘરના પાણિયારા પરથી મળેલી એક નોટમાં સુસાઈડનું કારણ બતાવતા શબ્દો લખેલા હતા. આરોપીનું કહેવું છે કે, અમે બન્ને બાળપણના મિત્રો હતા. પૈસા આપવાના જ હતાં. બે દિવસ પહેલા જ 2500 આપ્યા હતાં. એની માતાની દેખરેખ પણ હું જ કરતો હતો. મને ખબર ન હતી કે, મહેન્દ્ર આટલો બધો માનસિક તણાવમાં હશે કે, આપઘાત કરી લેશે. નહિતર ગમે તેમ કરીને રૂપિયા લાવી આપી દીધા હોત. ભલે મારી સામે ગુનો નોંધાયો પણ ચિંતા એની માતાની છે. હવે એની સાર સંભાળ રાખશે કોણ? એવું કહી રહ્યો હતો.