પાંચ વિઘામાં 5 વર્ષથી હળદરનુ ઉત્પાદન કરી વર્ષે 8 લાખની આવક
હળદરને આયુર્વેદમાં ઔષધ ગણાવવામાં આવ્યું છે.. જે શરીરના અનેક રોગમાં પ્રાકૃતિક રીતે સારવાર કરે છે.. શરદી કફ અને ચામડીને લગતા રોગમાં હળદર ગુણકારી છે.. ત્યાં સુધી કે જો કોઇને લોખંડની વસ્તુથી ઇજા થાય તો પણ તેના પર હળદર ચોપડીને અને ખવડાવીને પ્રોટેક્શન કરવામાં આવે છે.. સાથે જ હળદર રસોઇને પણ સ્વાદિષ્ટ બનાવે છે.. અને રસોઇને રૂપરંગ આપવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.. અને આ જ હળદરની પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય રાજકોટના ભંડારિયાના ખેડૂત વલ્લભભાઇ પટેલે કર્યો.. ભાસ્કર ડોટ કોમે આ ખેડૂતની સિધ્ધિને પ્રસિધ્ધિ આપી
રાજકોટથી આશરે 40 કિલોમીટર દૂર આવેલા ભંડારિયા ગામના ખેડૂત વલ્લભભાઇ પટેલે પાંચ વર્ષ અગાઉ પોતાના પાંચ વિઘાના ખેતરમાં ઓર્ગેનિક હળદરનુ ઉત્પાદન શરૂ કર્યું.. બજારમાં મળતી હળદર મોટાભાગે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પકવવામાં આવે છે.. અને કેટલીય જગ્યાએ હળદરમાં અન્ય ચીજ વસ્તુની ભેળસેળ કરીને બજારમાં વેચવામાં આવે છે.. પરિણામે ગુણકારી હળદર શરીર માટે નુક્શાનકારક સાબિત થઇ રહી છે.. માટે જ વલ્લ્ભભાઇ પટેલે પ્રાકૃતિક હળદરનુ ઉત્પાદન અને તેને પોતાના ખેતરેથી જ વેચાણ કરવાનુ જોખમ લીધું..
એક રોપામાંથી 2 કિલો હળદરનુ ઉત્પાદન
વલ્લભભાઇ પટેલ છેલ્લા પાંચેક વર્ષથી પ્રાકૃતિક હળદરનુ ઉત્પાદન પોતાના પાંચ વિઘાના ખેતરમાં કરી રહ્યા છે.. અને આજે તેમને વર્ષે દહાડે 8 લાખ રૂપિયાનુ ઉત્પાદન મળે છે.. હળદરની વાવણી માટે ખાસ પાળા ઉભા કરવામાં આવ્યા.. અને તેના માટે ટ્રેક્ટર તથા અન્ય સાધન સામગ્રી સુરતથી મંગાવી.. ત્યાર બાદ ઢોળાવ ઉભા કરી હળદરની ગાંઠો એટલે કે બિયારણનુ વાવેતર કર્યું.. હળદરને ઉગતા આશરે 8 માસ જેટલો સમય લાગે છે.. અને તેને ખાસ ટપક સિંચાઇ પધ્ધતિથી તેનો ઉછેર કરવો પડે છે.. અને પ્રત્યેક રોપામાંથી બે કિલો હળદરનુ ઉત્પાદન થાય છે..
પ્રાકૃતિક હળદર માટેની મહેનત
પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત ખૂબ જ જરૂરી છે.. જેમાં ગૌમૂત્ર, છાણ, લીંબોળી, ચણાનો લોટ, વડલાના ઝાડની માટી સહિતનુ મિશ્રણ એક પીપમાં તૈયાર કર્યું.. અને જરૂરિયાત પ્રમાણે પિયત સાથે ભેળવી દીધું.. 8 માસ બાદ જ્યારે પાક તૈયાર થાય ત્યારે તેને લણવામાં આવે છે.
ખેડૂતની પડખે પરિવાર
બજારમાં મળતી હળદર મોટાભાગે ભેળસેળયુક્ત હોય છે.. અને આવી હળદર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જગ્યાએ નુક્શાન કરે છે.. માટે વલ્લ્ભભાઇ પટેલે વિચાર્યું કે તેમણે તૈયાર કરેલી હળદરને જો બજારમાં વેચવામાં આવે અને તેમાં ભેળસેળ થાય તો તેમની મહેનત પર પાણી ફરી વળે.. માટે વલ્લભભાઇએ પોતાના ખેતરમાં જ ઉત્પાદિત હળદર પર પ્રોસેસ કરવાનુ નક્કી કર્યું.. અને તેને પાવડર સ્વરૂપે વેચવાનુ જોખમ પણ ઉપાડ્યું.. અને તેમના આ જોખમમાં તેમના પડખે આવ્યું તેમનુ પરિવાર.. વલ્લભભાઇએ લીલી હળદરને સૂકવવા માટે બોઇલર અને દળવા માટે ક્રશર એટલે કે ઘંટી વસાવી લીધી.. હળદરના પેકિંગની જવાબદારી પરિવારે ઉપાડી લીધી.. અને ઓર્ગેનિક હળદરનો તૈયાર પાવડર સીધા જ ફાર્મ પરથી વેચાણ શરૂ કરી દીધું..
હળદર જેમ રસોઇમાં રંગ લાવે તેમ ખેડૂત વલ્લભભાઇ પટેલની મહેનત પણ રંગ લાવી.. જો વલ્લભભાઇ પટેલના ફાર્મની હળદર ખરીદવી હોય તો હાલ એડવાન્સ બુકિંગ કરાવવુ પડે છે.. વર્ષે દહાડે વીઘે 40 મણ એટલે કે પાંચ વિઘાની કુલ 200 મણ હળદર ઉત્પાદન કરીને વેચાણ કરે છે.. અને તેના થકી વર્ષે દહાડે રૂપિયા 8 લાખની કમાણી કરે છે.. હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે.. અને તે માટે વલ્લભભાઇ પટેલ લેબોરેટરીમાં તેનો ટેસ્ટ પણ કરાવે છે..આવનારા સમયમાં પોતાની બ્રાન્ડનેમ સાથે હળદરને અલગ ઓળખ આપવાની તૈયારી વલ્લ્ભભાઇ પટેલ કરી રહ્યા છે