જાણો શું છે સરકારની આપ કે દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના , કેવી રીતે મળશે મોટો ફાયદો
સરકાર દ્વારા દેશમાં ગરીબ વર્ગને આરોગ્યલક્ષી ખર્ચની ચિંતાથી મુક્ત કરવા માટે આયુષ્યમાન કાર્ડ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કાર્ડધારકને નિયત કરેલી હોસ્પિટલોમાં સારવાર ફ્રીમાં મળે છે. આ યોજના હેઠળ એક નવી પહેલ ગુજરાત સરકારે કરી છે. રાજ્યમાં લોકોને આરોગ્ય સંબંધિત થતા ખર્ચની ચિંતાથી મુક્તિ મળે તે માટે રાજ્ય સરકારે આપ કે દ્વાર આયુષ્યમાન કાર્યક્રમને મંજૂરી આપી છે. આ કાર્યક્રમ અંતર્ગત 79 લાખ પરિવારોના સભ્યોને વ્યક્તિગત કાર્ડ આપવાની સરકારની યોજના છે. આ કાર્યક્રમની ખાસ વાતએ છે કે આ કાર્ડ ઘર બેઠા બની જશે તેના માટે કોઈપણ વ્યક્તિએ ક્યાંય પણ ધક્કા ખાવા પડશે નહીં.
શું છે આપ કે દ્વાર આયુષ્યમાન કાર્ડ કાર્યક્રમ
આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકારે આપ કે દ્વાર આયુષ્યમાન અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત લોકોને ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડની મદદથી લાભાર્થી અને તેના પરિવારને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાની સારવાર ફ્રીમાં કરાવવાનો અધિકાર મળે છે. પરંતુ આ કાર્ડ કઢાવવા માટે લોકોને આરોગ્ય કેન્દ્ર સુધી ધક્કા ખાવા પડતા અને દસ્તાવેજો લઈ દોડધામ થતી. પરંતુ હવે સરકારે ઈ-સેવા સેતુના માધ્યમથી લોકોને સરળતાથી કાર્ડ મળે તેવી વ્યવસ્થા કરી છે.
આ કાર્ડ જેમણે હજુ સુધી કઢાવ્યું નથી અને તેઓ કાર્ડના લાભ મેળવવા પાત્ર છે તો તેના માટે ખાસ વાત એ છે કે તેના માટે હવે તેમણે કે તેમના પરિવારના કોઈ સભ્યે આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલના ધક્કા ખાવા પડશે નહીં. તેમને ઈ-સેવા સેતુના માધ્યમથી સરળતાથી આયુષ્યમાન કાર્ડ મશી જશે.
રાજ્ય આરોગ્ય વિભાગે આયુષ્યમાન કાર્ડનો લાભ વધુ લોકો લે તે માટે તેની પ્રક્રિયાને વધુ સરળ કરવાનું આયોજન કર્યુ છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર હવે આરોગ્ય વિભાગની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જશે અને લોકોને એકત્ર કરી તેમને આ કાર્ડ વિશે જણાવશે અને તેમને ઈ સેવા સેતુ અંતર્ગત કાર્ડ કાઢી આપવામાં આવશે.
ખાસ વાત એ પણ છે કે આ યોજનાની શરુઆત થઈ ત્યારે કુટુંબ દીઠ એક જ કાર્ડ આપવામાં આવતું હતુ પરંતુ હવે સરકારે તેના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે અને જેના કારણે પરિવારના દરેક સભ્યને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે.
આરોગ્ય વિભાગનું આયોજન છે કે ગુજરાતમાં 79 લાખ પરિવારોના દરેક સભ્યોને કાર્ડ આપવામાં આવે. હાલની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં બે લાખથી પણ વધુ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું છે.
આ સિવાય રાજ્ય સરકાર દ્વારા એક ખાસ આયોજન પણ કરાયું છે 2 જી ઓગષ્ટના રોજ સરકારના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા આયોજન કરાયું છે.