રસીના બે ડોઝ લીધા પછી પણ શરીરમાં દેખાય છે કોરોનાના લક્ષણ તો જાણી લો ખાસ કામની વાત
2 વર્ષથી લોકોની અને સરકાર અને વિશ્વભરના દેશોના નાકમાં દમ કરી દેનાર કોરોના વાયરસને જડમૂળથી દૂર કરવા માટે ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઝડપથી રસીકરણ ચાલી રહ્યું છે. તેની સામે કોરોનાના નવા નવા પ્રકારો સામે આવતા જાય છે અને તેના લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળે છે. તેવામાં હવે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેમણે કોરોનાની રસી લઈ લીધી છે તેઓ પણ કોવિડ જેવા જ લક્ષણોનો ભોગ બની રહ્યા છે. લંડનમાં હાથ ધરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે તેઓ હજુ પણ સતત ઉધરસ, તાવ અને સુગંધ ન આવવી જેવા લક્ષણો સામે સંઘર્ષ કરી રહ્યા છે.
આ અભ્યાસ મુજબ જે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે તેમને છીંક આવવી કોરોના વાયરસના લક્ષણ તરીકે જોવામાં આવી રહી છે. કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોના જણાવ્યા મુજબ જે લોકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી તેમને છીંક, તાવ અને એલર્જી જેવા લક્ષણો દેખાવાની શક્યતા વધારે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, જેમને રસી આપવામાં આવી છે તેવા લોકો રસી વગરના લોકો જેવા જ લક્ષણો અનુભવે છે. જો કે રસી લીધેલા લોકોમાં આવા લક્ષણો ખૂબ જ હળવા અથવા ઓછા સમય માટે હોય છે.
આ રિપોર્ટમાં સંક્રમિત લોકોએ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા તેમના કોવિડ લક્ષણોની જાણ કરી છે. તેના તારણો અનુસાર કોવિડ -19 ના લક્ષણો નોંધપાત્ર રીતે બદલાયા છે. તેનું કારણ ડેલ્ટા વેરિયન્ટ કારણ હોઈ શકે છે. કારણ કે હાલ યુકેમાં ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં 99% કેસ માટે જવાબદાર છે.
જો કે જેમને પહેલાથી રસી આપવામાં આવી હતી તેઓએ આ લક્ષણો ખૂબ ઓછા સમય માટે અથવા તો હળવા લક્ષણોનો અનુભવ કર્યો હતો.. તેનો અર્થએ થયો કે હવે રસીકરણ કરાયેલા લોકો પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.
જો કે આ અગાઉ થયેલા કેટલાક સંશોધનના ડેટા પણ એ વાતની પુષ્ટિ કરે છે કે રસી લઈ ચુકેલા લોકો સંક્રમિત થાય તો તેમને સામાન્યથી હળવા લક્ષણો જ જણાય છે અને રસીકરણના કારણે તેમના પર કોરોના ગંભીર રીતે કે જીવલેણ અસર કરી શકતો નથી.
આવામાં નિષ્ણાંતોનું કહેવું છે કે છીંક આવવીએ વાયરસ ફેલાવવામાં ‘મહત્વનું પરિબળ’ સાબિત થાય છે. તેથી લોકોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ જાહેર સ્થળોએ છીંક ખુલ્લા મોઢે ખાઈ અને ડ્રોપલેટ્સ ફેલાવે નહીં. આ સિવાય હાથને બરાબર સાફ કરવા અને નાક તેમજ મોંને ઢાંકી રાખવા જોઈએ.