લખીમપુર ઘટના પહેલા બન્યું હતું આ વોટ્સએપ ગૃપ, પોલીસ શોધી રહી છે વોટ્સએપ ગૃપના એડમીનને
દેશભરમાં લખીમપુરની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. લખીમપુરમાં રવિવારે જે ઘટના બની તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સાથે જ ચર્ચાઓ શરુ થઈ છે કે આ ઘટના એક પુર્વઆયોજિત કાવતરું હોય શકે છે. આવું એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કે એક વોટ્સગૃપની ચેટ પ્રકાશમાં આવી છે જે કાવતરાં અંગે નિર્દેશ કરે છે.
મહત્વનું છે કે રવિવારે ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો, 1 ભાજપના નેતાનો ડ્રાઈવર અને એક પત્રકાર હતો. આ મામલે વિરોધ, વિવાદ અને આક્ષેપબાજીથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે આ દરમિયાન લખીમપુર ઘેરી હિંસાની ઘટના અંગે એક મોટો ખુલાસો પણ થયો છે. જાણવા મળતી માહિતી અનુસાર આ હિંસાની ઘટના પહેલા એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને આ ગૃપમાં જ આ ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
લખીમપુર ખેરીની હિંસાની ઘટના પહેલા ‘લલકાર કિસાન’ નામનું એક ગૃપ બનાવવામાં આવ્યું હતું. આ ગૃપમાંથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આ સાથે વોટ્સએપ ગ્રુપમાં લખ્યું હતું કે, ‘મારે બદલો લેવો છે’.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘લલકાર કિસાન’ ગૃપ ખાલિસ્તાન ટાસ્ક ફોર્સના ભૂતપૂર્વ સભ્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે પોલીસ વોટ્સએપ ગ્રુપના એડમીનને શોધી રહી છે. કારણ કે આ ગૃપ દ્વારા લખીમપુર ખેરી હિંસા પહેલા કેટલાક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા હતા.
લખીમપુર ખેરી હિંસાનું કાવતરું કોણે ઘડ્યું અને લોકોના મોત માટે કોણ જવાબદાર છે ? તે પ્રશ્નોના જવાબ શોધવા તપાસ શરુ કરવામાં આવી છે. આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે ખેડૂતોમાં કેટલાક એવા તત્વો પણ સામેલ હતા કે જેણે હિંસા ભડકાવી કે કેમ. આવા કેટલાક પ્રશ્નો છે જેના જવાબ સામે આવે તેની રાહ જોવાઈ રહી છે. યુપી સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા આ ઘટનાની તપાસ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન હિંસા પર રાજકારણ તો ચરમસીમાએ ચાલી જ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. આ સિવાય ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે સમગ્ર મામલાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. હિંસામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયા અને ઘાયલોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનમાંથી યોગ્ય લાયકાત ધરાવતા એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવશે.