કાજુ તકરી અને માવાની મીઠાઈ સસ્તી કરવા ભેળવવામાં આવે છે સ્પાર્ક પાવડર
દિવાળીનો પર્વ ધનતેરસ સાથે શરુ થઈ ચુક્યો છે. આ પર્વની ઉજવણી દરેક ઘરમાં પૂજા-પાઠ, મીઠાઈ, રંગોળી સાથે થાય છે. દિવાળીના પર્વ પર ઘરે આવનાર વ્યક્તિનું મોઢું મીઠું કરાવવા માટે દરેક ઘરમાં મીઠાઈ રાખવામાં આવે છે. જો કે આધુનિક સમય સાથે લોકો પારંપરિક મીઠાઈની સાથે સાથે અવનવી તૈયાર મીઠાઈઓ પણ ઘરમાં રાખતા થયા છે.
ઘર ન બની શકે તેવી મીઠાઈ લોકો દિવાળી સમયે બજારમાંથી લેતા હોય છે. દિવાળી સમયે જે મીઠાઈ સૌથી વધુ લોકોના ઘરમાં જોવા મળે છે તે છે કાજુ કતરી અને માવાની મીઠાઈઓ, આ મીઠાઈ એવી છે જે સૌને ભાવતી હોય છે તેથી લોકો ઘરમાં વધારે રાખતા હોય છે. પરંતુ આ દિવાળીએ જો તમે પણ કાજુ કતરી લેવાનો વિચાર કરતા હોય તો ચેતી જાજો. કારણ કે કાજુ કતરી અને અન્ય માવાની મીઠાઈમાં ભરપુર ભેળસેળ પણ થાય છે.
જી હાં વાત જાણીને ચિંતા થઈ જાય તેવી છે. કારણ કે મીઠાઈમાં વેપારીઓ સ્પાર્ક પાવડર, શિંગોડાનો પાવડર ઉમેરી ભેળસેળ કરતાં હોય છે આ સિવાય જેને તમે ચાંદીનો વરખ સમજો તે વરખ એલ્યુમિનિયમનો પણ હોય શકે છે. આવી મીઠાઈ ખાવાથી દિવાળી તમારી હોસ્પિટલના ધક્કા ખાવામાં પસાર થઈ શકે છે.
મીઠાઈ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ડ્રાયફ્રુટ સહિતની વસ્તુઓ મોંઘી હોવાથી મીઠાઈને સસ્તી બનાવવા માટે વેપારીઓ મીઠાઈમાં શિંગોડાનો પાવડર, સ્પાર્ક પાવડર વાપરે છે. જેથી સસ્તા ભાવે મીઠાઈ વેંચી શકાય. આવી મીઠાઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
દિવાળી સમયે બજારમાં મીઠાઈ ખરીદવા જાવ તો કઈ કઈ વાતોને ધ્યાનમાં રાખવી તે પણ જાણવું જરૂરી છે. તો જાણી લો કે જ્યારે પણ તમે બજારમાં મીઠાઈની ખરીદી કરવા જાવ ત્યારે જો મીઠાઈ ભડકીલા રંગની હોય તો તેનાથી દૂર જ રહેવું કારણ કે તેમાં રંગનો ઉપયોગ ભરપુર થયો હોય છે. આ સિવાય જો મીઠાઈ ઢાંકીને રાખી ન હોય તો પણ તેને લેવાનું ટાળો.
જો મીઠાઈને વેપારીએ સરખી રીતે સાચવીને રાખેલી ન હોય તો પણ તેને લેવાનું ટાળવું જોઈએ. આવી મીઠાઈ જૂની હોય તો તેને ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. કલર અને કેમિકલવાળી મીઠાઈઓ ખાવાથી ચામડીના રોગ થઈ શકે છે. આ સિવાય કિડનીની બીમારીને પણ ખુલ્લુ આમંત્રણ આપે છે આ પ્રકારની મીઠાઈઓ.