પત્નીને સાસરીમાં શૌચાલય ન મળતાં કંકાસ વધ્યો, વાત ગાંધીનગર કોર્ટ સુધી પહોંચી અને આખરે થયા છૂટાછેડા, વાંચો શું છે ઘટના ?
મોટા ભાગે ફિલ્મોની કહાની અથવા સ્ક્રીન પ્લોટ અસલી પાત્રો અને તેની વાર્તામાંથી પ્રેરણા લઈને બનતો હોય છે, પરંતુ અમુક વાર એવું પણ બને છે કે એકદમ ફિલ્મો જેવી જ ઘટના રિયલ લાઈફમાં પણ બને છે, અને તેના વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ જવાય છે, હાલમાં જ ગુજરાતના પાટનગર ગાંધીનગરની અદાલતમાં આવી જ એક ઘટના સામે આવી છે.
સ્વચ્છતા અને હાઈજિનનો મેસેજ આપતી અક્ષય કુમારની હિન્દી ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમ કથા’ ઘણી જ વખણાઈ હતી, આ ફિલ્મમાં એક એવા પતિ પત્નીની વાર્તા હતી જેમાં એક પત્ની એટલે પતિનું ઘર છોડીને જતી રહે છે, કારણ કે તેની સાસરી એટલે કે પતિના ઘરમાં શૌચની એટલે કે ટોઈલેટની સુવિધા નથી, અને પછી તો આ મામલો કોર્ટ સુધી પહોંચી જાય છે, અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે, આવી જ એક ઘટના ગાંધીનગરની કોર્ટ સમક્ષ આવી હતી. ગાંધીનગરમાં રહેતા એક દંપતીની પરિણીતાને સાસરીમાં શૌચાલય ન હોવાના કારણે તેના પતિ સાથે ઘરકંકાસની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. જે મામલો ગાંધીનગર કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયો હતો. આ પછી ત્રણ વર્ષની લાંબી કાનૂની લડાઈ ચાલી. જેના અંતે દંપતીના છૂટાછેડાને અદાલતે મંજૂરી આપી હતી. આ પછી અદાલતે પતિને તેની સજાનાં ભાગરૂપે પરિણીતાને દર મહિને ભરણ પોષણ પણ ચૂકવી આપવાનો ચુકાદો આપી દીધો છે. જેનું પતિએ પાલન કરવું ફરજિયાત છે.
અક્ષય કુમારની બહુચર્ચિત હિન્દી બોલિવૂડ ફિલ્મ ‘ટોઈલેટ એક પ્રેમકથા’ની કહાની વિશે તો સૌ કોઈને ખ્યાલ હશે. જેમાં એક રૂઢિચુસ્ત પરિવારમાં અક્ષય કુમાર પુત્રનો રોલ ભજવે છે, અને આ ફિલ્મમાં તેની સામે હિરોઈન તરીકે ભૂમિ પેડનેકરને તેની પત્નીના રોલમાં લેવામાં આવી છે. જે એક ભણેલા ગણેલા પરિવારની અને સ્વતંત્ર વિચારો ધરાવતી અર્બન લાઈફ વાળી યુવતી છે. તેને અક્ષય કુમારની સાથે પ્રેમમાં પડતા દર્શાવવામાં આવી છે. જેના પછી ભૂમિ પેડનેકરનાં લગ્ન અક્ષયકુમારની સાથે થાય છે. આ ફિલ્મમાં પતિ અને પત્નીનો રોમાન્સ તો દેખાડવામાં આવ્યો છે, પરંતુ તેમને હેરાન કરવા માટે અથવા તેમને અલગ કરવા માટે કોઈ વિલન નજરે નથી પડતું, પરંતુ આ પાત્ર શૌચાલય ભજવે છે. પોતાની સાસરીમાં શૌચાલય ન હોવાના કારણે હિરોઇન ખૂબ જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જાય છે, અને અનેક વખત તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, અને અંતે હિરોઈન તેના પતિને શૌચાલયને બનાવડાવી આપવાની વાત કરે છે, જેને તેના સાસરી પક્ષમાં માનવામાં નથી આવતી, અને જેના કારણે તેને તેના પતિનું ઘર છોડીને પોતાના પિયરમાં રહેવા આવવા માટે મજબૂર થઈ જવું પડે છે.
આવી જ કહાની ગાંધીનગરની યુવતી સાથે પણ બનવા પામી છે. તેના લગ્ન પછી તેને પણ બિલકુલ તેવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, જેવો સામનો ભૂમિ પેડનેકરે કરવો પડ્યો હતો. ન્યુ ગાંધીનગર વિસ્તારના ગામમાં રહેતી એક યુવતીએ ધોરણ-10 સુધી શાળાનો અભ્યાસ કર્યો છે. જોકે, પોતાના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી ઘરના કામકાજ અને કમાણીમાં પોતાના પિતાને મદદરૂપ થવાના હેતુંથી અભ્યાસ અધૂરો મૂકીને તેણે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો.જેના પછી ગાંધીનગરમાં તેણે પોતાનું બ્યુટી પાર્લર પણ ખોલ્યું અને કમાવવાનું શરુ કર્યું. સમય જતાં પુત્રીના લગ્નની ઉંમર થઈ એટલે પરિવારજનોએ સારો અને યોગ્ય મુરતિયો શોધવાની શરૂઆત કરી દીધી હતી. લગ્નનું માંગુ મહેસાણાનાં મેંઉ ગામથી આવ્યું એટલે પરિવારજનો સાથે તે પણ પોતાની થનાર સાસરી ગઈ હતી. જ્યાં પોતાના ભાવિ પતિ સાથે મુલાકાત કરી હતી. આ યુવતીના સાસરીમાં તેમના વડીલોની માલિકીની છ એકર જેટલી જમીન તેમની પાસે તેઓ ધરાવતા હતા અને ખેતીથી પણ આ પરિવારને આશરે નવ હજાર રુપિયાની આવક થતી હતી. પશુ પાલનના વ્યવસાયથી મહિને દર મહિને 10 હજાર રૂપિયાની દૂધની આવક હતી અને યુવક પોતે પણ નોકરી કરતો હતો. આમ સાસરી ખાધે-પીધે સુખી જણાઈ આવી હતી, આમ બંને પક્ષો તરફથી લગ્ન માટે નારજગીનો કોઈ સવાલ નહોતો.
આ યુવતીના થનાર ભાવિ પતિની બહેન માટે પણ માગાની વાત ચાલી રહી હતી, અને તેના માટે પણ યોગ્ય મુરતિયાની શોધ ચલાવાઈ રહી હતી અને આ બાજુ યુવતીનો ભાઈ પણ લગ્નની ઉંમરનો થઈ ગયો હતો, તેના માટે પણ વિવિધ માગા જોવાઈ રહ્યા હતા અને અલગ અલગ કુટુંબની છોકરીઓ જોવાનું ચાલુ હતું. આમ બન્ને પરિવારો ભેગા થતાં તેમના સમાજના જૂનાં સાટા પાટાનાં રિવાજ મુજબ લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સુખી સંપન્ન સાસરીમાં ક્યાંય શૌચાલય જોવા ન મળતાં યુવતીને થોડું અજુગતું લાગ્યું હતું. જેથી આ બાબતને લઈને તેણે પોતાના પતિ સાથે ચર્ચા પણ કરી હતી. જેથી તેના પતિએ તેના માટે થોડા વખતમાં શૌચાલય બનાવી દેવાની ખાતરી પણ આપી હતી. જેના પછી વર્ષ 2013 માં આ બન્ને યુગલના સામસામે લગ્ન થઈ જાય છે. આમ એક તરફ યુવક યુવતી અને બીજી તરફ યુવકની બહેન સાથે તેના ભાઈના પણ લગ્ન થઈ જાય છે. લગ્ન પછી બંને યુવતીઓ પોત પોતાની સાસરીઓમાં રહેવા માટે જતી રહે છે. જો કે ઘરમાં શૌચાલય ન હોવાના કારણે આ યુવતીને શરુઆતમાં તો બહાર જવાની ફરજ પડે છે. લગ્નજીવનની શરુઆતનો સમય હોવાથી થોડા સમય સુધી તો આ યુવતીએ આ બધું ચલાવી લીધું પણ સમય જતાં તેના પતિનો શૌચાલય બનાવવાનો વાયદો યુવકને વીસરાઈ જતાં દંપતી વચ્ચે માથાકૂટ થવા લાગી હતી, અને અંતે આ વાત સંઘર્ષ સુધી પહોંચી ગઈ હતી.
બંને પક્ષોના સમાધાન થયા બાદ પણ શૌચાલય ના બનતા બંને કુટુંબોમાં વધુ એક વખત વિવાદ થયો, અને હાલ ગાંધીનગરમાં રહેતી યુવતી માટે સાસરીમાં ખુલ્લામાં શૌચ જવાનું ઘણું મુશ્કેલ હતું. પોતાના પતિ અને તેમના ઘરવાાળાઓને તેણે અનેક વાર રજૂઆતો કરી વિનંતીઓ કરી, તેમ છતાં વારંવારની રજૂઆતો કરવા છતાં પણ પતિએ સતત તેની વાતની અવગણના કરે રાખી હતી. અને અંતે પરિસ્થિતિ ત્યાં સુધી વણસી કે આ યુવતી ફૂડ પૉઇઝનિંગનો શિકાર બની અને એક ગંભીર બીમારીમાં સપડાઈ અને જેના માટે તેને વારંવાર શૌચ માટે જવાની નોબત આવી પડતી હતી. જેનાં માટે ગામ વચ્ચેથી જવાનું હોવાથી તે પોતાને ઘણી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયેલું અનુભવતી હતી. જેથી શૌચાલયના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડા દિવસે દિવસે વધવા લાગ્યા હતા.આ વાતના કારણે ઘરકંકાસ વધ્યો અ્ને પતિ આ યુવતીની સાથે મારઝૂડ પણ કરવા લાગ્યો હતો. આખરે કંટાળીને આ યુવતી તેના પિયર આવતી રહે છે. જેની સીધી અસર એ થઈ કે તેના પતિએ તેની બહેનને પણ પોતાના ઘરે પરત બોલાવી લીધી હતી. આમ સાટા પાટાનાં લગ્નમાં આ બે યુગલો વિખૂટા પડી ગયા હતા. એક શૌચાલયની અછતે બે યુગલોના ઘર સંસારને તોડી નંખાવ્યા.જો કે વધુ એકવાર બાદમાં પરિવારના વડીલોની સમજાવટથી સમાધાન પણ થઈ જાય છે. પરતું રૂઢિ ચુસ્ત રિવાજ સાટા પાટાનાં દંડ મુજબ સમાધાન પેટે સાસરીમાં ભેંસ આપવી પડે છે અને પતિને ગાંધીનગરમાં કરિયાણાની દુકાન માટે પૈસા પણ આપવા પડે છે. આ માટેની પણ આ સમાજની પ્રચલિત વ્યવસ્થા છે.
અંતે બન્ને યુગલો ફરી પાછા સુખેથી જીવન પસાર કરવા લાગે છે. જોકે, આટલી માથાકૂટ થયા પછી પણ સાસરીમાં શૌચાલય બન્યું ન હતું અને ફરી આ બંને પાત્રોની વચ્ચે પાછો કંકાસ શરુ થયો અને દંપતી વચ્ચે ઝઘડા પણ શરૂ થઈ જાય છે. આખરે કંટાળીને યુવતીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરી પક્ષની સામે ડોમેસ્ટિક વાયોલેન્સનો કેસ દાખલ કરાવ્યો હતો. ફરી પાછા સાટા પાટામાં પરણેલા બે દંપતીઓ વિખૂટા પડી જાય છે. જે પછી તો વાત છૂટાછેડા સુધી આવે છે અને પોતાના પતિથી છૂટાછેડા લેવા સપના ગાંધીનગર કોર્ટમાં પણ ફરિયાદ કરે છે. જેમાં ત્રણ વર્ષ સુધી કાનૂની લડત ચાલી હતી અને છેલ્લે ગાંધીનગર કોર્ટે છૂટાછેડાને મંજૂર કરી પતિને છ હજાર ભરણ પોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો. આમ આ ઘટનામાં એક નહીં પણ બે યુગલો છૂટા પડ્યા હતા અને બે દંપતીને છૂટાછેડા લેવાની નોબત આવી ગઈ હતી.