તારક મહેતા શોના નટુકાકા 7 દિવસથી છે હોસ્પિટલમાં: આ ગંભીર બિમારીનું કર્યું ઓપરેશન
તારક મહેતા શોના નટુકાકાની અચાનક તબિયત લથડતાં દવાખાને લઈ ગયા, પછી નીકળી આ ગંભીર બિમારી, 7 દિવસ થયાં છતાં હજુ….
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું એક એક પાત્ર ઘરે ઘરે ફેમસ છે. એ પછી જેઠાલાલ હોય કે બબીતાજી, દયા ભાભી હોય કે નટુકાકા. બધાનો એક અલગ જ અંદાજ છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હસાવી રહ્યો છે. પરંતુ 4 દિવસ પહેલાં આ શો માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા. નટુકાકાનો રોલ પ્લે કરનાર 75 વર્ષીય ઘનશ્યામ નાયકને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા અને સાત સપ્ટેમ્બરના રોજ ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ બધાને ચિંતા હતી કે આખરે કાકા હવે કઈ હાલતમાં છે. તો અહીં જાણો કે નટુકાકા હવે કંઈ પરિસ્થિતિમાં છે.
પહેલા ત્રણ દિવસ બહુ જ તકલીફ પડી
નટુકાકાએ એક અખબાર સાથે વાત કરી હતી અને બધી પરિસ્થિતિની માહિતી આપી હતી. નટુકાકાએ વાત કરી હતી કે, ગળામાં આઠ ગાંઠો હતી અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. મને સાચે જ ખબર નથી કે આટલી બધી ગાંઠો કેવી રીતે થઈ ગઈ? ગાંઠોનો હવે ટેસ્ટ કરવામાં આવશે. મને ભગવાન પર વિશ્વાસ છે, જે પણ કરશે તે સારું જ કરશે. ઓપરેશન અંદાજે ચાર કલાકની આસપાસ ચાલ્યું હતું. પહેલા ત્રણ દિવસ બહુ જ તકલીફ પડી હતી પણ હવે મને ઘણું સારું છે. હું મલાડની સૂચક હોસ્પિટલમાં દાખલ થયો છું. આજે મેં પહેલી જ વાર ભોજન લીધું હતું. મારું ઓપરેશન સોમવાર, સાત સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.
હજી વધુ સાત દિવસ દવાખાનામાં રહેવું પડશે
નટુકાકાએ કહ્યું કે, મને લગભગ બે મહિનાથી ગળામાં તકલીફ હતી. ડૉક્ટર્સના કહેવા મુજબ મેં તમામ રિપોર્ટ કઢાવ્યા હતા અને તેમાં ગળામાં ગાંઠ હોવાની વાત સામે આવી હતી. હોસ્પિટલમાંથી એડમિટ થયે લગભગ એક અઠવાડિયું થઈ ગયું. ડોક્ટર્સના કહ્યા પ્રમાણે, મારે હજી વધુ સાત દિવસ અહીંયા રહેવું પડશે. મેડિકલ ટ્રીટમેન્ટ ઉપરાંત ફિઝિયોથેરપીના સેશન્સ પણ ચાલી રહ્યા છે. આશા છે કે 18 સપ્ટેમ્બર સુધી મને રજા આપી દેવામાં આવે. હોસ્પિટલમાં ઘનશ્યામ નાયકનો દીકરો તથા દીકરી તેમની સંભાળ રાખી રહ્યાં છે. તેમનો દીકરો રાત્રે આવે છે અને આખો દિવસ દીકરી તેમની સાથે રહે છે. ડૉક્ટર્સની ટીમ સતત તેમની દેખરેખ રાખે છે.
કેટલો ખર્ચ થયો
નટુકાકાએ કહ્યું હતું કે, આ બીમારી પાછળ અત્યાર સુધી ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. ભગવાનની કૃપાથી મારે કોઈની મદદની જરૂર પડી નહીં. પ્રોડ્યૂસર અસિત મોદી મારા માટે ભગવાન જેવા છે. છેલ્લાં છ-સાત મહિનાથી હું કામ પર જતો નથી. પહેલા લૉકડાઉનને કારણે અને પછી મારી તબિયતને કારણે શૂટિંગ માટે જઈ શકાયું નહોતું. આમ છતાંય અસિતજીએ મને મારા પૂરા પૈસા આપ્યા છે. આ જ પૈસા મારી સારવાર માટે કામ આવી રહ્યા છે. અસિતજીએ મને આશ્વાસન આપ્યું છે કે જો હું મારી તબિયતને કારણે શૂટિંગ પર ના આવી શક્યો તો પણ તે મારો પગાર કાપશે નહીં.
તારક મહેતાના કલાકારો જોઈ રહ્યાં છે રાહ
આગળ વાત કરતાં ઘનશ્યામ નાયકે કહ્યું હતું, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોએ ફોન કરીને મારા હાલચાલ પૂછ્યાં હતાં. તેઓ સેટ પર મારી આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, મને એક મહિના સુધી આરામ કરવાનું કહ્યું છે. તેથી હું ઓક્ટોબરના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરી શકીશ.’
કોણ છે નટુકાકા
નટુકાકાનું અસલી નામ ઘનશ્યામ નાયક છે. તેનો જન્મ 1945માં મહેસાણાના ઉંધાઈમાં થયો હતો. નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો છે. સ્વ. કેશવલાલ નાયક અને સ્વ. પ્રભાકર નાયકનું ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમના વારસાને ઘનશ્યામ નાયક આગળ વધારી રહ્યા છે. ઘનશ્યામ નાયકે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1960માં માસૂમ ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ઘનશ્યામ નાયકે 200થી વધારે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત