ભુપેન્દ્ર પટેલને ગુજરાતના તાજ સાથે સામનો કરવો પડશે આ મોટા અને સળગતા પ્રશ્નોનો, જાણો તમે પણ
ગુજરાત ભાજપમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટો ફેરબદલ થયો છે. શનિવારે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ આજે અચાનક જ નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જે રીતે વિજયભાઈ રૂપાણીનું રાજીનામું આકસ્મિક હતું તે ભુપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થાય તે પણ કલ્પના બહારની વાત હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બની ચુક્યા છે અને હવે તેઓ ગુજરાતનું સુકાન સંભાળશે. તેવામાં તેમના માટે હાલની ચાર સળગતી સમસ્યા મોટો પડકાર બની શકે છે. કયા કયા છે આ ચાર મુદ્દા તેના પર કરીએ એક નજર.
2022 ની વિધાનસભાની ચૂંટણી
નવા મુખ્યમંત્રી માટે સૌથી મોટો પડકાર હશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી. કારણ કે આગામી વર્ષમાં થનાર ચૂંટણીમાં ભાજપને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ટક્કર આપવા તૈયાર થઈ છે. વર્ષ 2017માં ભાજપે ગુજરાતમાં સરકાર તો બનાવી પરંતુ સાથે જ કોંગ્રેસ નું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. જેના કારણે ભાજપે 99 બેઠકો સાથે સંતોષ માનવો પડયો હતો. આ ઉપરાંત ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેવામાં કાર્યકર્તાઓમાં ફરીથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા નવી ઉર્જાનો સંચાર કેવી રીતે કરવો તે કામ મુખ્યમંત્રીએ કરવું પડશે.
કોરોના વાયરસમાં મેનેજમેન્ટ
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી ના રાજીનામાં પાછળનું એક કારણ કોરોના સમયમાં થયેલું મિસમેનેજમેન્ટ પણ છે. કોરોના ની બીજી લહેર દરમિયાન અનેક વખત હાઇ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. આ સિવાય કોરોના થી થયેલા મૃત્યુના આંકડાઓને લઈને પણ વિવાદ મોટો થયો હતો. હવે જ્યારે ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે આવનાર નવા મુખ્યમંત્રીએ ફરીથી ગુજરાતની સ્વાસ્થ્ય વ્યવસ્થાને પાટા પર લાવવી પડશે અને કોરોના કાળ દરમ્યાન લોકોમાં ઉદ્ભવેલી નારાજગી દૂર કરવી પડશે.
પાટીદાર સમાજને ખુશ કરવો
રાજનૈતિક સમીકરણની દ્રષ્ટિએ પણ નવા મુખ્યમંત્રી સામે મોટો પડકાર હશે. ઉપરોક્ત બંને મુદ્દાને નવા મુખ્યમંત્રી સારી રીતે પાર પાડી દેશે તો પણ ચૂંટણીની દ્રષ્ટિએ પાટીદારનો મુદ્દો રાજ્યની સત્તા નું ચિત્ર બદલી શકે છે. વર્ષ 2017 ની ચૂંટણી અને ભાજપ માટે સંઘર્ષ પૂર્ણ પાટીદાર આંદોલનને બનાવી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થયું હતું. તેવામાં આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજને ભાજપ નારાજ કરી શકે તેમ નથી. તેથી નવા મુખ્યમંત્રી એ સૌથી પહેલા પાટીદાર સમાજને રાજી રાખવો પડશે.
પ્રતિભાશાળી નેતૃત્વ
ગુજરાત વડાપ્રધાન મોદીની કર્મભૂમિ રહી છે. ખૂદ પીએમ મોદી ત્રણ વખત રાજ્યના મુખ્ય મંત્રી બની ચૂકયાં છે. તેવામાં હવે ભાજપને ગુજરાત રાજ્ય માટે એક પ્રતિભાશાળી નેતૃત્વની જરૂર છે. આનંદીબેન પટેલ વિજય રૂપાણી એ તેમના કાર્યકાળમાં અનેક કાર્યો કર્યા પરંતુ તેઓ પ્રતિભાશાળી નેતા સાબિત થવામાં નિષ્ફળ રહ્યા. તેવામાં નવા મુખ્ય મંત્રીને સૌથી પહેલા જનતા વચ્ચે પોતાની પ્રતિભા સાબિત કરવી પડશે અને લોકપ્રિયતા હાંસલ કરવી પડશે જેથી તેમના ચહેરાના આધારે ભાજપને આગામી ચૂંટણીમાં મત મળે.