UIDAI એ આધાર ચકાસણીની રકમમાં કર્યો ફેરફાર, જાણો આ ફેરફાર વિશે
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ગ્રાહકો માટે આધાર ચકાસણીની રકમ 20 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી દીધી છે. NPCI-IAMA દ્વારા આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટને સંબોધતા UIDAI ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સૌરભ ગર્ગે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નાણાકીય ટેકનોલોજી ક્ષેત્રમાં આધારનો લાભ લેવાની અપાર સંભાવના છે.
ચકાસણીનો દર 20 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી દીધો
સૌરભ ગર્ગે કહ્યું, ‘અમે દર ચકાસણીનો ચાર્જ 20 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કર્યો છે. તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓ સરકાર દ્વારા બનાવેલ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે. લોકોનું જીવન સરળ બનાવવા માટે આ માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરવો જરૂરી છે.
99 કરોડ લોકોએ ઉપયોગ કર્યો
અત્યાર સુધી, 99 કરોડ ઇ-કેવાયસી માટે આધાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. UIDAI કોઈની સાથે બાયોમેટ્રિક્સ શેર કરતું નથી અને તેના તમામ ભાગીદારો પાસેથી અપેક્ષા રાખે છે કે સત્તા અને સુરક્ષાની સમાન સ્તર જાળવે.
ખરેખર, નવું આધાર કાર્ડ મેળવવા માટે પૈસા ચૂકવવા પડતા નથી. પરંતુ, તમારે આધાર અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, ઈ-મેલ વગેરેમાં સુધારો કરવા અથવા ડેમોગ્રાફિક અપડેટ માટે રૂ .50 અને બાયોમેટ્રિક અપડેટ માટે રૂ. 100 ચૂકવવા પડશે.
દેશમાં આધાર ફરજિયાત દસ્તાવેજ
દેશમાં આધાર એક ફરજિયાત દસ્તાવેજ છે. આધાર કાર્ડ એ દરેક ભારતીય માટે એક ઓળખ છે, 1 વર્ષનું બાળક હોય કે 80 વર્ષના દાદા દરેક માટે સરકારે આધાર કાર્ડ ફરજીયાત બનાવ્યું છે. આધાર કાર્ડ બેંકથી લઈને કોઈપણ સરકારી ઓફિસમાં કોઈપણ કામ માટે જરૂરી દસ્તાવેજોમાંથી એક છે. કેન્દ્ર સરકારે તમામ યોજનાઓને આધાર સાથે જોડી દીધી છે. 54 મંત્રાલયોની લગભગ 311 કેન્દ્રીય યોજનાઓ આધારનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્લેટફોર્મ હેઠળ આવરી લેવામાં આવી છે.
સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજનાઓ જેવી કે- PM-કિસાન નિધિ યોજના આધાર પ્લેટફોર્મ પર આધારિત છે, જે અંતર્ગત લગભગ 10 કરોડ ખેડૂતોને દર ચાર મહિના પછી 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. આધાર ચકાસણીનો અર્થ એ છે કે આધાર નંબરનો ઉપયોગ યોજનાના લાભાર્થીને યોગ્ય રીતે ઓળખવા માટે કરવામાં આવી રહ્યો છે.