કેન્દ્ર સરકારની ચિંતામાં થયો વધારો, અનેક રાજ્યોમાં કોરોનાની R વેલ્યૂમાં થઈ રહ્યો છે ઝડપથી વધારો
કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે સરકારે મંગળવારે કહ્યું કે કોરોનાવાયરસનું રાષ્ટ્રીય ‘R’મૂલ્ય 1.0 કરતા વધારે છે. દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની બ્રીફિંગમાં, આરોગ્ય મંત્રાલયે ડેટા દર્શાવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય ”R” મૂલ્ય ગયા મહિને 1.0 નો આંકડો પાર કરી ગયું હતું. છેલ્લી વખત જ્યારે માર્ચમાં તે 1.32 હતું. આ આંકડો બીજા લહેર પહેલાનો હતો. સરકારના જણાવ્યા અનુસાર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ‘R’ મૂલ્ય 1.3, ઉત્તર પ્રદેશમાં 1.1 અને આંધ્રપ્રદેશમાં 1.0 છે. ઉચ્ચ ‘R’ મૂલ્યો ધરાવતા અન્ય રાજ્યોમાં ગુજરાત અને મધ્યપ્રદેશ (બંને 1.1), અને ગોવા અને નાગાલેન્ડ (બંને 1.0) છે. આ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ સ્થિર છે.
આર-વેલ્યુ એ પદ્ધતિ છે જેના દ્વારા કોરોનાના કેસો વધી રહ્યા છે કે નીચે જઈ રહ્યા છે તે સમજવાની કોશિશ કરવામાં આવી છે. હાલમાં આર મૂલ્ય 1.01 છે. આનો અર્થ એ છે કે એક વ્યક્તિ એકથી વધુ વ્યક્તિને ચેપ લગાવી રહ્યો છે. વરિષ્ઠ વાઇરોલોજિસ્ટ ડો ટી જેકબ જ્હોને જણાવ્યું હતું કે માર્ચમાં કેસો વધ્યા હોવાથી આર મૂલ્ય 1.4 ની આસપાસ હતું, પરંતુ મે મહિનામાં જ્યારે કુલ કેસ ઘટવા લાગ્યા ત્યારે તે ઘટીને 0.7 ની આસપાસ આવી ગયા. હવે ફરી એકવાર R મૂલ્યમાં વધારો ચિંતાનો વિષય છે. નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર R મૂલ્ય વધારવાથી કોઈપણ જિલ્લા અથવા રાજ્યને રેડ ઝોનમાં રાખી શકાતું નથી.
આ રાજ્યોમાં R ની વેલ્યૂ 1 થી વધુ
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એપીડેમીયોલોજીના ડિરેક્ટર ડોક્ટર મનોજ મુર્હેકર કહે છે કે ચેપનો વધતો દર, મૃત્યુની વધતી સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા જોખમ સૂચવે છે. ઓછામાં ઓછા 10 રાજ્યોમાં આર મૂલ્યો રાષ્ટ્રીય સરેરાશ 1.01 કરતા વધારે છે, દિલ્હી અને મહારાષ્ટ્ર (બંને 1.01 પર) રાષ્ટ્રીય સરેરાશની નજીક છે.
સરકારે કહ્યું, ” ભલે ગમે તેટલા ઓછા (દૈનિક) કેસ નોંધવામાં આવે પંરતુ જો ‘R’ મૂલ્ય 1.0 કરતા વધારે હોય, તો તે ચિંતાનો વિષય હોવો જોઈએ. ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં આજે એક જ દિવસમાં કોરોનાના 28,204 નવા કેસ નોંધાયા છે. આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 36.91 લાખ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 8.25 લાખથી વધુ, મધ્યપ્રદેશમાં આશરે આઠ લાખ અને પંજાબમાં આશરે છ લાખ કેસ નોંધાયા છે. હિમાચલ પ્રદેશમાં બે લાખથી વધુ, ગોવામાં 1.7 લાખ અને નાગાલેન્ડમાં 28,000 કેસ નોંધાયા છે.
કેરળમાં હાલમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સરકારે કાલે કહ્યું કે ગયા અઠવાડિયે નવા કેસોમાં 51.51 ટકા કેરળના હતા. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 13,000 નવા કેસ નોંધાયા છે. હવે 1.7 લાખથી વધુ સક્રિય કેસ છે અને કુલ 35.66 લાખ કેસ નોંધાયા છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી, નિષ્ણાતો વારંવાર ‘R’ મૂલ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં 147 દિવસ પછી, કોવિડ -19 ના સૌથી ઓછા 28,204 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,19,98,158 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના કેસોની સંખ્યા 139 દિવસ પછી સૌથી ઓછી 3,88,508 હતી. આ મુજબ, દેશમાં ચેપને કારણે વધુ 373 લોકોના મોત બાદ, મૃત્યુઆંક વધીને 4,28,682 થયો છે.