પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપૂએ શું કહ્યું વ્યાસપીઠ પરથી, જાણો કોની કરશે મદદ
સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવારે થયેલા તોફાની વરસાદના કારણે જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. આભ ફાટ્યા જેવી સ્થિતિના કારણે લોકો હેરાન પરેશાન થયા છે કારણ કે આખા ગામ બેટમાં ફેરવાઈ જતા લોકોની ઘરવખરી સહિતની વસ્તુઓ પાણીમાં વહી ગઈ અથવા તો પલળી ચુકી છે.
સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લામાં અતિ વરસાદથી પ્રભાવિત અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી પણ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સર્વે બાદ રાજ્ય સરકાર તેમને સહાયની જાહેરાત કરશે. જો કે સરકાર કોઈ રકમ જાહેર કરે તે પહેલા જ સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર મોરારી બાપૂ લોકોની મદદે આગળ આવ્યા છે.
સૌરાષ્ટ્રના અતિ વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ કરવા માટે મોરારી બાપૂએ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂપિયા રપ લાખ અર્પણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ હોય કે અકસ્માત જેવી ઘટના લોકોની મદદ અને સહાય માટે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂ હંમેશા અગ્રેસર રહે છે.
મહત્વનું છે કે રાજ્યના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપૂએ આ રકમના દાનની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તુલસી પત્ર રૂપે તેઓ આ રકમ દાન કરે છે જે પણ રકમ સરકાર જાહેર કરે તેમાં આ રકમને પણ ઉમેરી દે અને જરૂરીયાતમંદ લોકોને જરૂરી તમામ મદદ પુરી પાડે.
સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂએ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે. મહત્વનું છે કે હાલ મોરારીબાપૂ દાર્જિલીંગમાં રામ કથા માટે ગયેલા છે.
સૌરાષ્ટ્રમાં પુરના કારણે લોકોની સ્થિતિ ખરાબ થઈ છે તે વાત જાણી મોરારીબાપૂને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે.