લગ્ન કરનાર દંપતિ નીકળ્યા કોરોના પોઝીટીવ, જાનૈયા લાગી ગયા ધંધે
ઉત્તર પ્રદેશના આઝમગઢથી લગ્ન કરી રાજસ્થાનના હનુમાનગઢ પહોંચેલા વર અને કન્યા કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. નવદંપતિ રાજસ્થાન ફરવા આવ્યા હતા. પરંતુ અહીં સરહદ પર ચેકિંગ દરમિયાન બંનેના મેડિકલ ટેસ્ટ થયા અને તે રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા હતા.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વર અને કન્યા કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યા બાદ સ્થાનિક અધિકારીઓએ આ વાતની જાણ આઝમગઢ જિલ્લા પ્રશાસન અને સ્થાનિક અધિકારીઓને કરી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. તેવામાં આ લોકો જે ગામમાંથી આવ્યા હતા તે ગામને પણ સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત લગ્નમાં અને ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢના છતરપુર ગામની છે. અહીં પોલીસને જાણકારી મળ્યા બાદ તેમણે ગામને સીલ કરી દીધું છે અને વિસ્તારને સેનિટાઈઝ કરાવ્યો છે. હવે આરોગ્ય વિભાગે દુલ્હા અને દુલ્હનના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કરવાનું અને ચેકિંગ કરવાનું શરુ કરી દીધું છે.
આઝમગઢના એસપીની જાણકારી અનુસાર આ બંનેના લગ્ન 14 એપ્રિલે થયા હતા. જાન આઝમગઢથી ગાઝીપુર ગઈ અને ત્યાંથી કારમાં તેઓ રાજસ્થાન નીકળી ગયા. કન્યાનો પરીવાર છતરપુર ગામ રહે છે. આ ગામને પોલીસે સીલ કરાવી દીધું છે અને લગ્નમાં જોડાયેલા લોકોને કોરોન્ટાઈન કરાયા છે.
મહત્વપૂર્ણ છે કે આ પહેલી ઘટના નથી કે કોઈ દંપતિએ લોકડાઉનમાં લગ્ન કર્યા હોય. આ સિવાય દેશભરના અલગ અલગ રાજ્યોમાં એપ્રિલ માસમાં લેવાયેલા લગ્નના મુહૂર્ત સાચવવા લગ્ન થયા છે. આ લગ્નમાં યુવક અને યુવતી તેમજ પરીવારના લોકો પુરતી સાવચેતી રાખતા પણ જોવા મળ્યા હતા.
પરંતુ આ પહેલા લગ્ન છે જેમાં વર અને કન્યા પોતે કોરોના પોઝીટીવ હોય તેવી વાત સામે આવી છે. આ કારણે લગ્નમાં જનાર દરેક વ્યક્તિ પર કોરોનાનું જોખમ તોળાવા લાગ્યું છે. તેના વધારે ગંભીર વાત એ છે કે આ દંપતિ લગ્ન કર્યા બાદ રાજસ્થાન ફરવા માટે પણ નીકળી પડ્યું હતું.