રાજકોટમાં ઘટ્યું રૂપાણીનું વર્ચસ્વ, મોકરિયાનો પ્રભાવ વધ્યો, MPને ભાજપના કાર્યાલયમાં ફાળવી ચેમ્બર
નેતૃત્વ ફેરફાર થયા પછી એની રાજકીય અસર રાજકોટમાં સૌથી વધુ જોવા મળી રહી છે. રાજકોટ શહેર ભાજપનું સંગઠન આજે બે જૂથના મતભેદમાં ફેરવાઈ ગયું છે.
વિજય રૂપાણીના મુખ્યમંત્રીપદેથી રાજીનામા બાદ રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની જબરદસ્ત સક્રિયતાના કારણે તેમને એક અલગ જ ધરી ઊભી કરી હોય એમ શહેરમાં રીતસરના ભાજપમાં બે જૂથ દેખાવા લાગ્યા છે, જેની અસર રાજકોટ ભાજપના કાર્યાલયમાં પણ જોવા મળી હતી. હાલ રાજકોટ ભાજપ કાર્યાલયમાં MP રામ મોકરિયાને ચેમ્બર ફાળવવામાં આવી છે.
હાલ પક્ષના કાર્યાલયમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણીની ચેમ્બર MP રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી છે, એ સાથે જ તેમના નામનું લેટર બોક્સ પણ કાર્યાલયની બહાર લગાડી દેવામાં આવ્યું છે. 9 મહિના પહેલાં રામ મોકરિયા સાંસદ બન્યા એ પછી આજે તેમને ભાજપની ઓફિસમાં ચેમ્બર ફાળવવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે વિવાદ થયા બાદ સાંસદ મોકરિયાને જે સગવડો આપવામાં આવી રહી છે એ સાંસદ મોહન કુંડારિયાને હજુ ફાળવવામાં નથી આવી. એટલું જ નહીં તેમને હજી સુધી પક્ષ દ્વારા કાર્યાલયમાં ઓફિસ પણ ફાળવવામાં નથી આવી. જ્યારે CM પદ પરથી રાજીનામું આપ્યા પછી પણ હજી જાણે રાજકોટ ભાજપ માટે રૂપાણી જ મુખ્યમંત્રી હોય એમ ‘CM વિજય રૂપાણી’ના નામનું લેટર બોક્સ હજુ પણ એવુંને એવું જ રાખવામાં આવ્યું હતું, પરંતુ મીડિયાના અહેવાલથી ભાજપ કાર્યાલય સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ‘પૂર્વ CM વિજય રૂપાણી’ લખી વિવાદને સગે વગે કર્યો હતો
બે દિવસ પહેલાં રૂપાણી અને મોકરિયા વચ્ચે થયેલા વિવાદ બાદ પ્રદેશમાંથી શહેર ભાજપમાં રામભાઇ મોકરિયાને સ્થાન મળવું જોઈએ એવા આદેશ આપવામાં આવ્યા હતા, જેને કારણે હવે શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીની ઓફિસ રામભાઈ મોકરિયાને ફાળવવામાં આવી છે, જેથી હવે કમલેશ મીરાણી હવે ગ્રાઉન્ડ ફ્લોરમાં બેસશે, પણ હવે રાજકોટ ભાજપમાં રૂપાણી અને મોકરિયાના સમર્થકોએ બે જૂથ પડી ગયા છે.
રાજકોટમાં 15મી તરીખે યોજાયેલા ભાજપના સ્નેહમિલનમાં થયેલા વિવાદ બાદ પ્રદેશમાં તેના આકરા પડઘા પડ્યા છે. તમને જણાવી દઈએ કે સ્નેહમિલનમાં રૂપાણી અને મોકરિયા વચ્ચે જે તડાફડી થઈ એ ક્ષણિક અને ગર્ભિત હતી, પરંતુ રાજકીય રીતે એને બહુ મોટી માનવામાં આવે છે.
મોકરિયા અને રૂપાણી વચ્ચેની નારાજગીનું રિએક્શન એ આવ્યું છે કે તા.20મીએ રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મોરિયા જૂથે રાખેલો ‘જનસંઘથી ભાજપ’ નામનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
શું હતો રૂપાણી અને મોકરિયાનો વિવાદ
આજથી 2 દિવસ પહેલાં એટલે કે 15મી તારીખે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ છતો થયો હતો. ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણ પત્રિકામા શું લોચો છે એમ કહી તેમને ખખડાવ્યા હતા. આ સમયે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. ત્યારે રૂપાણીએ રામ મોકરિયાને મોઢે જ કહી દીધું હતું કે તમે બેસો, તમારી સાથે વાત નથી કરતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.