શાળા કોલેજોમાં 13 નહીં 21 દિવસનુ છે આ દિવાળી વેકેશન, છેલ્લા બે વર્ષથી 13 દિવસની મળતી હતી રજા
કોરોનાએ સૌકોઇનુ જીવન અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું.. છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ખોરંભે પડ્યો હતો.. કોરોના કાળમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ જ હતું.. છતાં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ.. અને કોરોનાના કેસ નિમ્ન સ્તરે સ્થાયી થતા ફરીથી શાળા – કોલેજો ધમધમવા લાગી છે.. ઓફલાઇન વર્ગો શરૂ થઇ ગયા છે.. ત્યારે રાજ્ય સરકારે પણ વિદ્યાર્થીઓને થોડી રાહત આપી છે.. આ વખતે દિવાળી વેકેશન 21 દિવસનુ રહેશે.. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે..
21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે
કોરોનાની બીજી લહેર શાંત થતાં જ રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. રાજય સરકારે ઉચ્ચત્તર શિક્ષણના વિવિધ કર્મચારી મંડળોની રજૂઆતના પગલે કોલેજોમાં દિવાળી વેકેશન 13 દિવસનું હતું તે લંબાવીને 21 દિવસનું કરવાનો નિર્ણય લીધો છે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ નિર્ણયથી રાજયની ગુજરાત યુનિવર્સિટી અને વિવિધ સ્ટેટ યુનિવર્સિટીઓ સંલગ્ન આટર્સ,કોમર્સ,સાયન્સ સહિતની કોલેજો ઉપરાંત જીટીયુ સંલગ્ન ડિગ્રી-ડીપ્લોમાં ઇજનેરી-ફાર્મસી,એમબીએ-એમસીએ સાથેની તમામ વ્યાવસાયિક અભ્યાસક્રમો ચલાવતી કોલેજોમાં તા. 1 નવેમ્બરથી તા. 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે.
છેલ્લા બે વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું હતું
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.
— Jitu Vaghani (@jitu_vaghani) October 26, 2021
આ વર્ષે સ્કૂલ-કોલેજમાં 21 દિવસના દિવાળી વેકેશનની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. છેલ્લા બે વર્ષથી દિવાળી વેકેશન 13 દિવસનું હતું. ત્યારે આ વર્ષે ફેરફાર કરીને વેકેશનમાં 8 દિવસનો વધારો થયો છે. ટ્વીટમાં શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે, દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યો છે.
22મી નવેમ્બરથી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરાશે
દિવાળી વેકેશન તા. 21મી નવેમ્બરે પૂરું થશે અને તા. 22મી નવેમ્બરથી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય હાથ ધરાશે તેમ શિક્ષણ અગ્ર સચિવ એસ.જે.હૈદરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, જીટીયુ સહિત રાજયની વિવિધ સ્ટેટ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અ્ને શૈક્ષણિક કર્મચારીઓ માટે અગાઉ તા. 1 થી 13 નવેમ્બર સુધીનું વેકેશન હતું, જે લંબાવીને હવે 21 દિવસનું કરવામાં આવ્યું છે. અગાઉ 13 દિવસનું વેકેશન હતું, જે વધારીને 21 દિવસ કરવામાં આવ્યું છે.
ગત 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો
રાજ્યમાં ગત 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, જેમાં હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જેમાં જૂનમાં 20, જુલાઈના 26, ઓગસ્ટના 23, સપ્ટેમ્બરના 25 અને ઓક્ટોબરના 23 દિવસનો સમાવેશ થાય છે. બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઈ શકે છે, જેમાં અભ્યાસના 136 દિવસ રહેશે. નવેમ્બરના 8, ડિસેમ્બરના 26, જાન્યુઆરીના 24, ફેબ્રુઆરીના 24, માર્ચના 25, એપ્રિલના 23 અને મેના 6 દિવસ મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ, પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનું સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય થશે. એમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસના 245 દિવસ બાકી રહેશે.
સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે
7મી મેના રોજ બીજું સત્ર પૂર્ણ થયા બાદ 9મી મેથી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન સુધી ચાલશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આ કેલેન્ડરમાં ફેરફારો થઈ શકે છે. હાલમાં માત્ર સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન 80થી વધુ રજાઓ થવી જોઈએ નહીં, જેથી આ મુજબનું માળખું નક્કી કરવામાં આવ્ચું છે.