કોરોના કાળ પછી સાવ ઓછા બજેટમાં આ રીતે કરી લો ઉત્તરાખંડની ટ્રિપ, આવશે જોરદાર મજા અને થઇ જશો સ્ટ્રેસ ફ્રી
દેશમાં કોરોના કાળને લીધે ઘણા ખરા શહેરોમાં સરકાર કડક હાથે કામ લઈ રહી છે અને તેના કારણે લોકોને ફરી એક વખત ઘરમાં બંધ રહેવાનો વારો આવ્યો છે. આ પહેલા પણ જ્યારે ગયા વર્ષે કોરોના વાયરસનો ભારતમાં પ્રવેશ થયો હતો ત્યારે સરકાર દ્વારા કડક પગલાં રૂપે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને તેના કારણે લોકો કદાચ પ્રથમ વખત પોતાના જ ઘરોમાં કેદ થઈને રહ્યા હતા.
પરંતુ જે લોકો બહાર હરવા ફરવાના શોખીન છે તેઓ આ સરકારી કડક પગલાં ક્યારે પૂરા થાય તેની રાહ જોઈને બેઠા છે. આશા છે કે જ્યારે સ્થિતી પૂર્વવત થઇ જશે ત્યારે ફરી એક વખત લોકો બહાર ફરવા જઈ શકશે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ઉત્તરાખંડની એવી ચાર જગ્યાઓ વિશે જણાવવાના છીએ જ્યાં તમે લોકડાઉન બાદ ફરવા જઈ શકો છો અને તમારો થાક પણ ઉતારી શકો છો.
રાનીખેત
ઉત્તરાખંડના કુમાઉંમાં સ્થિત રાનીખેતની સુંદરતાની તો એવી છે કે તેની વાત જ ક્યાંથી શરૂ કરવી ? અહીં ભારતીય સેનાની કુમાઉં રેજીમેન્ટનું મુખ્યાલય પણ આવેલુ છે. સવારે અને સાંજે આ છાવણી પાસેથી ફરવા નીકળવાનો એક અલગ જ આનંદ છે. અહીંથી તમે ટ્રેકિંગ પણ કરી શકો છો અને અનેક પ્રાચીન ઇમારતોને પણ નિહાળી શકો છો. ખાસ કરીને રાનીખેતના સફરજન બહુ પ્રખ્યાત છે. જો તમે રાનીખેત જવાનો પ્લાન કરો તો ત્યાં જઈને સફરજન ખાવાનો આનંદ અચૂક માણજો.
ઘંગારીયા
ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લામાં સ્થિત ઘંગારીયા ગામ પણ પોતાની સુંદરતાને કારણે પ્રખ્યાત છે. ગોવિંદ ઘાટથી 13 કિલોમીટર ટ્રેકિંગ કરીને તમે આ ગામમાં આવી શકો છો. ઘંગારીયા પુષ્પાવતી અને હેમગંગા નદીઓના સંગમ પર સ્થિત છે. તમે અહીં કેમ્પ પણ લગાવી શકો છો સાથે જ અહીં રોકાવા માટે તમને અહીંની સારી હોટલો અને સરકારી ગેસ્ટ હાઉસ પણ આવેલા છે. અહીંનું વાતાવરણ એટલું શાંત છે કે તમને અહીંથી પાછા જવાનું મન જ નહીં થાય.
રામનગર
જો તમે ઉત્તરાખંડમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમે અહીંના રામનગર ખાતે પણ ફરવા જઈ શકો છો. કુમાઉં ક્ષેત્ર અને નૈનીતાલ જિલ્લામાં વસેલું આ ગામ રમણીય અને સુંદર છે. અહીં જિમ કાર્બેટ નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર પણ આવેલું છે. અને એ સિવાય પણ અહીં ફરવા લાયક અનેક જગ્યાઓ આવેલી છે.
ચૌકોરી
જો તમે નૈનીતાલ ગયા હોવ તો તમારે અહીંના ચૌકોરી ગામે પણ ફરવા જવું જોઈએ. કારણ કે અહીં પણ તમને નૈનીતાલની જેમ જ ફરવાની મજા આવશે. નૈનીતાલથી ચૌકોરીનું અંતર 173 કિલોમીટર છે. જો પ્રકૃતિ તમારો પસંદગીનો વિષય છે અને પ્રાકૃતિક જગ્યાઓએ ફરવા જવું તમને ગમે છે તો ચૌકોરી તમને ખૂબ પસંદ પડશે. અહીંથી તમને નંદા દેવી અને પંચચુલી પહાડીઓના સુંદર અને રમણીય દ્રશ્યો પણ જોવા મળશે. એ સિવાય અહીંના ચા ના બગીચાઓ પણ તમારું મન મોહી લેશે.