કોરોનાથી સ્વસ્થ થયા બાદ લોકોને પિત્તાશયમાં થાય છે સમસ્યા, જાણો કઈ નવી બીમારી આવી સામે
કોરોના વાયરસ ખરેખર લોકો અને આરોગ્ય વિભાગ માટે માથાનો દુખાવો બનતો જાય છે. કોરોનાથી બચાવ માટે રસીની શોધ થઈ તો તેનું વેરિયંટ બદલી ગયું. ત્યારબાદ કોરોનાની આડઅસર તરીકે મ્યુકર સહિતની ગંભીર અને જીવલેણ સમસ્યાઓ સામે આવવા લાગી અને હવે સામે આવ્યું છે કે કોરોના વાયરસ બાદ સ્વસ્થ થયા પછી લોકોને ગેંગરીનની તકલીફ થઈ રહી છે.
તાજેતરમાં જ આવા પાંચ લોકોને પિત્તાશયમાં ગેંગરીનની તકલીફ થઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે તેમનો જીવ બચાવવા માટે લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા તેમના પિત્તાશયને જ દૂર કરવામાં આવ્યા અને જીવનું જોખમ ટાળવામાં આવ્યું હતું.. આ પાંચ દર્દીઓની જૂન અને ઓગસ્ટ વચ્ચે સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી.
કોરોના બાદ થતી આ સમસ્યા અંગે લિવર, ગેસ્ટ્રોએન્ટરોલોજી અને પેન્ક્રેટીકોબિલરી સાયન્સના પ્રમુખ ડો.અનિલ અરોરાએ જણાવ્યું હતું કે, “અમે જૂન અને ઓગસ્ટની વચ્ચે આવા પાંચ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી જેઓ કોવિડ -19 માંથી સ્વસ્થ થયા હતા. આ દર્દીઓને પથરી વગર પિત્તાશયમાં તીવ્ર બળતરા થતી હતી જેના કારણે તેમને પિત્તાશયમાં ગેંગરીનની સમસ્યા થઈ હતી. આ કેસમાં તાત્કાલિક ઓપરેશન જરૂરી હતું. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે કોવિડ -19 ચેપમાંથી સાજા થયા બાદ પિત્તાશયમાં ગેંગરીનના કેસ નોંધાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ પાંચ દર્દીઓમાં ચાર પુરુષ અને એક મહિલા હતી જેમની ઉંમર 37 થી 75 વર્ષની વચ્ચે છે.
શું છે ગેંગરીન ?
ગેંગરીન એક રોગ છે જેમાં શરીરના કેટલાક અંગમાંથી સ્નાયૂ અને હાડકા નાશ પામવા લાગે છે, જેના કારણે ત્યાં ઘા સતત ફેલાવા લાગે છે. આ સમસ્યામાં દર્દીઓએ તાવ આવે છે અને પેટમાં જમણી તરફ દુખાવો થાય છે અને ઉલટીની ફરિયાદ થાય છે. આ દર્દીઓ એવા હતા જેમણે કોવિડ -19 ની સારવારમાં સ્ટેરોઇડ્સ લીધા હતા.
કોવિડ -19ના લક્ષણો અને સારવાર તેમજ તેમને પિત્તાશયમાં ગેંગરીન રોગની તપાસના સમયગાળા વચ્ચે બે મહિનાનું અંતર હતું. દર્દીઓના પેટનો અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન કરવામાં આવ્યો અને આ રોગનું નિદાન કરી સારવાર કરવામાં આવી હતી. સારવાર માટે દર્દીઓના પિત્તાશયને જ દૂર કરી દેવામાં આવ્યું હતું.