યુવાન પુત્રનું અકાળે થયું અવસાન, પિતાએ વરરાજાની જેમ શણગારી કાઢી અંતિમયાત્રા
કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક એવી ઘટના જોવા મળી હતી જેમાં લોકોની એવી રીતે અણધારી વિદાય થઈ કે જેના કારણે આખો પરીવાર શોકમગ્ન થયો હતો. કોરોના દરમિયાન અનેક લોકો લગ્ન પછી તુરંત દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા હોય તો કેટલાક લોકો લગ્ન થાય તે પહેલા મોતને ભેટ્યા છે. પરંતુ કોરોના પણ ન હોય અને કોઈ અકસ્માતે જુવાનજોધ દિકરાને કાળ છીનવી લે તેવી ઘટના ભાગ્યે જ બને છે.
આવું જે પરીવાર સાથે થાય છે ત્યાં તો રીતસર આભા તુટી પડે છે પરીવારના સભ્યો પર. આવી જ એક ઘટના બની હતી તાજેતરમાં ગોંડલમાં. અહીં આખું ગામ હીબકે ચઢ્યું હતું કારણ કે અહીં એક અંતિમયાત્રા જ એવી રીતે નીકળે કે જેને જોઈ ગ્રામજનો પણ પડી પડ્યા હતા. ગોંડલમાં એક પરીવારનો પુત્ર અકસ્માતે મૃત્યુ પામ્યો અને ત્યારબાદ તેની અંતિમ યાત્રામાં તેને વરરાજાની શણગારવામાં આવ્યો હતો.
ગોંડલના શ્રીરામ બિલ્ડર્સવાળા તરીકે જાણીતા એવા મનસુખભાઇ ચૌહાણને એક જ પુત્ર હતો. આ પુત્રના હોંશે હોંશે લગ્ન લેવામાં આવ્યા હતા. દિવાળી બાદ એકના એક દીકરાના લગ્ન હોવાથી પરીવારની ખુશીઓ સાતમા આસમાને હતી અને તેમણે તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દીધી હતી જેથી પુત્રના લગ્નમાં કોઈ કચાસ રહી જાય નહીં. પરંતુ કાળને કદાચ આ મંજૂર ન હતું. ચૌહાણ પરીવારના એકના એક પુત્રને અકાળે ઈલેક્ટ્રિક શોક લાગતા અવસાન થયું.
જે દીકરાના લગ્ન દિવાળી પછી લેવાયા હતા તે દીકરાની અંતિમયાત્રાનો સમય આવ્યો. ચૌહાણ પરિવાર અજયના લગ્ન કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ અજય આ દુનિયાને અલવિદા કહી ગયો. અકાળે પુત્રનું મોત તો થયું પરંતુ ચૌહાણ પરીવારે તેની અંતિમયાત્રા ખાસ રીતે કાઢી હતી.
અજયને અગ્નિદાહ આપતા પહેલા તેના હાથે મીંઢોળ બંધાયું. જે બહેન ભાઈના લગ્નમાં ઉત્સાહથી નાચવા-ગાવાના અરમાન સજાવતી હતી તેણે ચોધાર રડતી આંખો સાથે ભાઈને પીઠી ચોરી અજયને તેના પિતાએ છેલ્લીવાર વરરાજાની જેમ જ શણગાર્યો. એટલું જ નહીં જે વાહનમાં તેની અંતિમ યાત્રા કાઢવાની હતી તેને પણ ફુલ વડે શણગારવામાં આવી.
અંતિમ સંસ્કાર પહેલાની દરેક વિધિ બ્રાહ્મણોની હાજરીમાં કરવામાં આવી. પિતાની ઈચ્છા અનુસાર અજયને તૈયાર કરી તેને હાર પહેરાવવામાં આવ્યો અને અત્તર છાંટી તેને અંતિમ સફર પર લઈ જવામાં આવ્યો. પિતાની ઈચ્છા તેના લગ્ન ધામધૂમથી કરવાની હતી. પરંતુ ઈશ્વરની ઈચ્છા આગળ કોઈ શું કરી શકે. અજયના અકાળે અવસાનથી પરીવાર પર તો આભ તુટી પડ્યું હતું પરંતુ અજયની આવી અંતિમયાત્રા જોઈ ગામ લોકો પણ હીબકે ચઢ્યા હતા.