સચેત રહેજો..કોરોનાની ત્રીજી લહેર નજીકના આ મહિનામાં આવવાની આશંકા, જાણો અને બાળકોનું ખાસ રાખો ધ્યાન, જે થઇ શકે છે ખતરનાક સાબિત
કોરોના વાઈરસની બીજી લહેર દેશમાં ધીમે-ધીમે મંદ પડી રહી છે. પ્રતિદિન સામે આવી રહેલા કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, તો મૃત્યુઆંક પણ સતત ઘટી રહ્યો છે. કોરોના મહામારીએ જે તાંડવ એપ્રિલ-મે મહિનામાં મચાવ્યું હતું, તેની સરખામણીમાં હવે ઓછા કેસો જોવા મળી રહ્યાં છે. એવામાં નીતિ આયોગના સભ્યનું મોટું નિવેદન સામે આવ્યું છે. નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વતે કહ્યું કે ભારતે કોવિડ-19ની બીજી લહેરનો સામનો ખૂબ જ સારી રીતે કર્યો અને આથી સંક્રમણના નવા કેસોની સંખ્યામાં ખૂબ ઘટાડો આવ્યો છે.
સાથો સાથ તેમણે એ વાત પર પણ જોર આપ્યું કે ત્રીજી લહેરને નાથવા માટે તૈયારીઓ પૂરી થવી જોઇએ, યુવાન વસતીને વધુ પ્રભાવિત કરે તેવી આશંકા છે. સારસ્વતે કહ્યું કે ભારતના નિષ્ણાતોએ ખૂબ જ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોવિડ-19ની ત્રીજી લહેરની સંભાવના છે અને તે સપ્ટેમ્બર-ઑક્ટોબરથી શરૂ થવાની આશંકા છે. આથી દેશમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થવું જોઇએ.
સારસ્વતે કહ્યું કે મને લાગે છે કે આપણે કેટલીક હદ સુધી સારું કર્યું છે. આપણે કોવિડ-19ની બીજી લહેરનો સારી રીતે સામનો કર્યો અને આ તેનું જ પરિણામ છે કે સંક્રમણના નવા કેસ ખૂબ જ ઓછા થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે આપણી વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી ગતિવિધિઓની મદદ, ઓક્સિજન બેન્ક બનાવી, મોટી સંખ્યામાં ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા માટે ઉદ્યોગ સ્થાપિત કરી આપણે મહામારીને ઉકેલવા માટે સફળ રહ્યા. રેલવે, એરપોર્ટ, સૈન્ય બળનો ઉપયોગ તરલ ઑક્સિજનને લઇ જવા માટે કરાઇ રહ્યો છે.
છેલ્લાં કેટલાંક દિવસમાં સંક્રમણના નવા કેસમાં ઘટાડો
દેશમાં પહેલા ચાર લાખથી વધુ દરરોજ નવા કેસ સામે આવી રહ્યા હતાં પરંતુ છેલ્લાં કેટલાંક દિવસમાં સંક્રમણના નવા કેસની સંખ્યા ઘટીને લગભગ 1.3 લાખ પર આવી ગઇ છે. સારસ્વતે કહ્યું કે કોવિડ-19 વૈશ્વિક મહામારીની પહેલી લહેર દરમ્યાન પણ ભારતનું મેનેજમેન્ટ સારું હતું અને તેને જ દેશને વૈશ્વિક મહામારીની બીજી લહેરને કાબૂમાં કરવાનો આત્મવિશ્વાસ પણ વ્યકત કર્યો.
કોરોનાની આગામી લહેર પોતાના પીક પર ઝડપથી પહોંચશે
સરકારે એક વખત ફરીથી કોરોનાને લઈને ચેતવણી જાહેર કરી છે. નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, જો લોકો આવું જ ફરીથી કરવા લાગશે, જેમ ડિસેમ્બર-જાન્યુઆરીમાં કરી રહ્યાં હતા, તો એક વખત ફરીથી મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, કોરોનાની બીજી લહેરની પીકની સરખામણીમાં હવે સામે આવી રહેલા દૈનિક કેસોમાં 68 ટકાનો ઘટાડો થયો છે. લગભગ 377
જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી પણ ઓછો છે અને માત્ર 257 જિલ્લા એવા છે, જ્યાં પ્રતિદિન 100થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે.
ડૉ.પોલે જણાવ્યું કે, આ બધુ એમ જ નથી થઈ રહ્યું. આપણે વાઈરસને ટ્રાવેલ કરવું મુશ્કેલ કરી નાંખ્યું છે. જો કે આપણે યાદ રાખવું પડશે કે, જ્યારે પીક ઓછી થઈ જાય છે, ત્યારે આપણે ફરીથી એવું જ કરવા લાગીએ છીએ, જેમ જાન્યુઆરીમાં કરતા હતા. જો આવું કરીશું તો, પીક ફરીથી પરત આવશે.