વહેલા શિયાળો શરૂ થાય તો ખેતરના પાક પર કેવી અસર પડશે..? પવનની દિશા કઇ તરફની હશે..?
અત્યારથી જ ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે.. ધીમે ધીમે ઠંડી બિલ્લી પગે પગ પેસારો કરી રહી છે.. બાફ અને ઉકળાટનો સામનો કરી ચૂકેલા લોકો માટે આ ઠંડી થોડી રાહતભરી છે.. પરંતુ શિયાળાના વહેલા આગમનથી ખેડૂતોની ચિંતા વધી છે.. ખેતરમાં કરાયેલા વાવેતર અને તૈયાર પાક પર તેની અસર થઇ શકે છે.. કારણ કે ઋતુચક્રની ઘણી મોટી અસર પાક પર થતી હોય છે.. ત્યારે વહેલો શિયાળો પાક માટે કેવો સાબિત થશે તે જાણીએ.
રાજ્યમાં માવઠાંની શક્યતા સેવાઇ રહી છે.. તો પશ્ચિમી વિક્ષેપોની અસર પણ શરૂ થઇ શકે છે.. બીજી તરફ દિવાળી પછી સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થાય તો કપાસના રૂની ગુણવત્તા બગડી શકે છે.. અને જો શિયાળું પવન એટલે ચોખ્ખો ભુખરવા ઉત્તર અને ઈશાનમાંથી પવન આવે તો આ પવનથી પાછોતર પાકને ફાયદો થાય છે
સામાન્ય રીતે હવે વરસાદની વિદાય થઈ છે છતાં પણ ક્યારેક ક્યારેક રાજ્યના ભાગોમાં માવઠાં થવાની શક્યતા રહેશે. દિવાળી કે દિવાળી પછી સામાન્ય રીતે સ્વાતિ નક્ષત્ર આવતું હોય છે. સ્વાતિ નક્ષત્રમાં ચોમાસાની વિદાય સારી રીતે થતી હોય છે. આ વખતે કપાસને ફળ-ફુલ આવવાની શરૂઆત થતી હોય છે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થાય તો કપાસના રૂની ગુણવત્તા બગડે છે. સ્વાતિ નક્ષત્રના વરસાદથી કેળમાં બરાસ કપૂર અને વાંસમાં વાંસ કપૂર જામે છે. પરંતુ આ વખતે ઝેરી જીવજંતુના મોંઢામાં ઝેર વધે છે. કહેવાય છે કે દરિયાઈ છીપોમાં સ્વાતિ નક્ષત્રના વરસાદથી મોતી જામે છે. સ્વાતિ નક્ષત્રમાં જળના છાંટા પડે તો માછલીના પેટમાં મોતી ઉત્પન્ન થાય છે તેમ અંબાલાલ પટેલનુ માનવુ છે.
આ વખતે હવે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ છે. જો શિયાળું પવન એટલે ચોખ્ખો ભુખરવા ઉત્તર અને ઈશાનમાંથી પવન આવે તો આ પવનથી પાછોતર પાકને ફાયદો થાય છે. આસો માસમાં શિયાળો વહેલો વળે તેમ કઠોળના પાકને ફાયદો કરે છે. આ વખતે સામાન્ય રીતે હિમાલય અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તેમજ બરફવર્ષા વરસે છે અને પવનની ગતિથી આ ઠંડી દેશમાં ફેલાતી હોય છે. ઠંડીનો પ્રવાહ પાકને ફાયદો કરે છે. ઘણી વખત શિયાળામાં હિમ પડતો હોય છે. તે કપાસ, ઘઉં વગેરેને નુકસાન કરે છે. શિયાળામાં ઠંડી પડે અને શિયાળો લંબાય અને ઉનાળામાં બરાબર ગરમી પડે તો આવા સંજોગોમાં સારું ચોમાસું આવતું હોય છે.
આસો માસમાં ખાસ વરસાદ સારો નહીં. ઘણી વખત ઉભા પાકને નુકસાન કરે છે. આસો સુદી પૂનમ નિર્મળ અને વાદળ વગરની હોય તો સારું. આસો વદી તેરસ, ચૌદશ અને અમાસ અને નવા વર્ષના કારતક સુદી એકમ તેમ ચાર દિવસ વાદળા હોય તો આવતું વર્ષ સારું આવે તેમ મનાય છે. આ ચાર દિવસ પૈકી બે દિવસથી વધુ દિવસ વાદળા હોય તો સારું. આ ચાર દિવસમાં એક પણ દિવસ વાદળ ન હોય તો આવતું વર્ષ બીજા સંજોગો ખરાબ હોય તો ખરાબ આવવાની શક્યતા રહે છે.
હવે હવામાન અંગે જોઈએ તો દેશના ઉત્તરીય પર્વતીય શહેરોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. તા.27-10થી 30 ઓક્ટોબરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે.