ધનુષથી અલગ થઈને કામમાં વ્યસ્ત થઈ ઐશ્વર્યા રજનીકાંત, આ મ્યુઝિક વિડીયોને કરશે ડાયરેકટ
ઐશ્વર્યા રજનીકાંત અને તેના પતિ અને અભિનેતા ધનુષ કાયમ માટે અલગ થઈ ગયા છે. વીતેલા દિવસોમાં, બંનેએ સોશિયલ મીડિયા પર ફેન્સને તેમના અલગ થવાની માહિતી આપી હતી, જેના કારણે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તો ઐશ્વર્યા રજનીકાંત પતિ ધનુષથી અલગ થયાના થોડા સમય પછી તેના કામ પર પરત ફરી છે. ઐશ્વર્યા રજનીકાંત હાલમાં તેના આગામી મ્યુઝિક વીડિયોની તૈયારીમાં વ્યસ્ત છે, જેનું તે દિગ્દર્શન કરશે. આ મ્યુઝિક વીડિયો ટિપ્સના સહયોગથી બનાવવામાં આવશે
ઐશ્વર્યા રજનીકાંતના જીવનમાં આ દિવસોમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે, પરંતુ તેમ છતાં તે પોતાના કામના પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ, ઐશ્વર્યા રજનીકાંત આ દિવસોમાં હૈદરાબાદમાં છે અને અહીં તે પોતાના મ્યુઝિક વીડિયોના પ્રી-પ્રોડક્શનના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. તેમનો આ મ્યુઝિક વીડિયો વેલેન્ટાઈન ડેના અવસર પર રિલીઝ કરવામાં આવશે. જોકે, ઐશ્વર્યાની જેમ ધનુષ પણ પોતાના કામ પર પાછો ફર્યો છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે બંને કામના સંબંધમાં એક જ હોટલમાં રોકાયા છે.
ઐશ્વર્યાએ પોતાના કરિયરની શરૂઆત તમિલ ફિલ્મોમાં નિર્દેશક તરીકે કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘3’ હતી. આ ફિલ્મમાં ધનુષની સાથે શ્રુતિ હાસન લીડ રોલમાં જોવા મળી હતી. આ પછી ઐશ્વર્યાએ તમિલ કોમેડી ફિલ્મ ‘વાઈ રાજા વાઈ’ પણ ડિરેક્ટ કરી. આ સિવાય વર્ષ 2017માં ઐશ્વર્યાએ એક ડોક્યુમેન્ટ્રી ‘સિનેમા વીરન’ પણ ડિરેક્ટ કરી હતી જે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટંટમેનના જીવન પર આધારિત હતી.
ગયા અઠવાડિયે ઐશ્વર્યા અને ધનુષે સોશિયલ મીડિયા પર આ જ નિવેદન શેર કર્યું હતું, જેમાં લખ્યું હતું, ’18 વર્ષ એકસાથે મિત્રો તરીકે, કપલ તરીકે, માતા-પિતા તરીકે અને એકબીજાના શુભચિંતક તરીકે રહ્યાં’. તે સમજણ, વૃદ્ધિ, ગોઠવણ અને અનુકૂલનની સફર રહી છે. આજે અમે એવી જગ્યાએ ઉભા છીએ જ્યાં અમારા રસ્તા અલગ છે.” વધુમાં, બંનેએ ચાહકોને તેમના નિર્ણયનું સન્માન કરવા અને તેમની પ્રાઇવસીનું ધ્યાન રાખવાની વિનંતી પણ કરી હતી.
તમને જણાવી દઈએ કે ધનુષે 2004માં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો છે – યાત્રા અને લિંગા. બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સંયુક્ત નિવેદન જારી કરીને તેમના અલગ થવાની માહિતી આપી હતી.