હવે દર્દીના કેસ પેપર પર લખવાની રહેશે વેક્સિનેશનની વિગતો, કેટલા ડોઝ લીધા તે વિગત જણાવવી પડશે
કોરોનાના કહેરે જે પ્રકારે હાહાકાર મચાવ્યો હતો.. તેને નાથવા માટે જે પ્રકારે કેન્દ્ર સરકારે રસીનુ શસ્ત્ર ઉગામ્યું કે કોરોના લગભગ નેસ્ત નાબૂદ થઇ રહ્યો છે.. આંગળીના વેઢે ગણાય તેટલા કેસ દરરોજ નોંધાઇ રહ્યા છે.. જો કે સરકાર હજી પણ સહેજ પણ કચાશ રાખવા નથી માંગતી અને માટે જ હવે વધારે ચોકસાઇ વર્તવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે.. જે અનુસાર સરકારી અને ખાનગી હોસ્પિટલોને આરોગ્ય વિભાગે સૂચના આપી છે કે દર્દીના કેસ પેપર પર રસીકરણના ડોઝની વિગતો લખવાની રહેશે.. આરોગ્ય કમિશ્નરે તમામ કલેક્ટર-DDOને પત્ર લખીને જાણ કરી છે..
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે. જો કે ત્રીજી લહેરની આશંકાને જોતા વહીવટી તંત્ર દ્વારા વૅક્સિનેશન અભિયાનને સતત વેગ આપવામાં આવી રહ્યો છે. આ રણનીતિ અંતર્ગત ગવે રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોને ખાસ સૂચના આપી છે. જેમાં દર્દીને સારવાર આપતા પહેલા રસીકરણની માહિતી આપવાની રહેશે.
આ અંગે રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ તમામ જિલ્લા કલેક્ટર અને DDOને પત્ર લખીને સૂચના આપી છે. જેમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે આવતા દર્દીના કેસ પેપર ઉપર રસીકરણના ડોઝની વિગતો પણ આપવાની રહેશે.
તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને રાજ્યના આરોગ્ય વિભાગે સૂચના આપી છે કે, દરેક દર્દીના કેસ પેપર ઉપર તેણે કેટલા ડૉઝ લીધા છે? તેની માહિતી લખવાની રહેશે.
આનાથી શું ફેર પડશે..?
દર્દીના કેસ પેપર પર જો વેક્સિનના ડોઝની માહિતી હશે તો ડૉક્ટરને તે મુજબ સારવાર કરવાની ખબર પડશે.. અને જો કોઇ દર્દીએ એકપણ ડોઝ નહીં લીધો હોય તો તેને તાત્કાલીક વેક્સિનેટેડ કરાશે.. જેના થકી વેક્સિનેશનના 100 ટકાના લક્ષ્યાંકને પાર પાડી શકાય.. હવે આરોગ્ય વિભાગનો આ કિમીયો કેટલો કારગત નિવડે છે તે મહત્વનુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, 16 ઑક્ટોબર સુધી ગુજરાતમાં 4.38 કરોડ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો. જ્યારે 2.24 કરોડ લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે. જો ગઈકાલની વિગતો પર નજર નાંખીએ તો, સાંજે 4 વાગ્યા સુદધી રાજ્યમાં કુલ 3,61,852 લોકોએ કોરોનાની વૅક્સિન લીધી હતી.