45 વર્ષથી સંતાન ઝંખતા 70 વર્ષના જીવુબેનને મળ્યો ખોળાનો ખુંદનાર
નવરાત્રીમાં ગાવામાં આવતો એક ગરબો ખૂબ પ્રચલિત છે જેમાં ભક્ત માતા પાસેથી ખોળાનો ખુંદનાર આપવા પ્રાર્થના કરે છે. ત્યારે કચ્છમાં ખરેખર નવરાત્રી દરમિયાન એક માતાની પ્રાર્થના જગદંબાએ સાંભળી અને તેને ખોળાનો ખુંદનાર આપ્યો. આ ઘટના ખાસ એટલા માટે છે કારણ કે અહીં માતા બન્યા છે 70 વર્ષના જીવુબેન.
કચ્છના રાપર તાલુકાના મોરા ગામના રહેવાસી એવા જીવુબેન રબારી અને તેમના પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકાથી સંતાનસુખ ઝંખતા હતા. જો કે આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે યોગ્ય ઉંમરે સંતાનપ્રાપ્તિ થઈ જાય તો તેનું સુખ વિશેષ હોય છે. આ વાત સાચી તો ખરી પણ ખરેખર તો માતૃત્વ સુખ પ્રાપ્ત કરવા માટે કોઈ ઉંમર હોતી નથી. માતૃત્વ એક લાગણી છે જેને ઉંમરની મર્યાદા નડે નહીં. એટલે જ તો આધુનિક ટેકનોલોજી હવે એટલી વિકસી છે કે સ્ત્રીને કોઈપણ ઉંમરે સંતાન સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે 70 વર્ષી જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી
છેલ્લા 45 વર્ષથી સંતાન સુખ ઝંખતા જીવુબેન અને તેમના પતિએ કરેલા અનેક પ્રયાસ નિષ્ફળ ગયા પરંતુ તેમણે નિરાશ થઈ હાર માની નહીં અને અંતે આ નવરાત્રીમાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો. જીવુબેન આધુનિક ટેકનોલોજી ટેસ્ટટ્યૂબ થકી માતા બન્યા છે. આ ચમત્કાર થયો છે ભૂજની એક ખાનગી હોસ્પિટલમાં. અહીંના ડો નરેશ ભાનુશાળીએ જીવુબેનની આઈવીએફ ટ્રીટમેન્ટ કરી હતી અને હવે તેમની માતા બનવાની ઈચ્છા પુરી થઈ છે. જીવુબેન અને વાલજીભાઈને ત્યાં પુત્ર રત્નનો જન્મ થતા તેમણે તેમના દીકરાનું નામ પણ લાલો રાખ્યું છે.
આજના આધુનિક સમયમાં મોટાભાગના દંપત્તિઓને સંતાન સુખ પ્રાપ્ત કરવામાં સમસ્યા નડતી હોય છે. આવા દંપતિઓ માટે આઈવીએફ સહિતની સારવાર ઉપલબ્ધ હોય છે. આ સારવાર શું છે તેના વિશે પણ જાણીએ વિગતવાર.
આઈવીએફ શબ્દ આજકાલ ખૂબ સાંભળવા મળે છે. આઈવીએફનો અર્થ થાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. આ એવી પદ્ધતિ છે જેમાં કુદરતી રીતે જેમને ગર્ભ રહેતો ન હોય તેમને કૃત્રિમ રીતે ગર્ભાધાપણ કરવામાં મદદ કરે છે. આ થોડી લાંબી પ્રક્રિયા છે અને તેનાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી કહેવાય છે. આ પદ્ધતિથી જ 70 વર્ષના જીવુબેન પણ માતા બન્યા છે. આ પદ્ધતિની સારવારમાં મહિલાના બીજ અને પુરુષના શુક્રાણુને લઈ લેબમાં સાથે રાખી ફલિત કરવામાં આવે છે. કેટલાક સપ્તાહનો ગર્ભ થાય પછી તેને મહિલાના ગર્ભાશયમાં નળી વડે મુકવામાં આવે છે. આ રીતે ગર્ભધારણ થયા પછી સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે
સામાન્ય રીતે લોકો આઈવીએફ અને સરોગસીને એક સમાન માનવાની ભુલ કરી બેસે છે. જો કે આઇવીએફ અને સરોગસી બે અલગ અલગ પ્રકારની પદ્ધતિ છે. આઈવીએફમાં બાળક માતાના જ ગર્ભમાં મુકવામાં આવે છે જ્યારે સરોગસીમાં ગર્ભને કોઈ બીજી મહિલા નવ મહિના પોતાના ગર્ભમાં રાખે છે.