ભારતમાં આ રોગનો વધી રહ્યો છે ખતરો, બની શકે છે સૌથી વધુ મોતનું કારણ
નિષ્ણાતોના મતે, ભારતમાં આશરે 54 ટકા નવજાત બાળકો સેપ્સિસથી મૃત્યુ પામે છે, જે આંકડો આફ્રિકા કરતા પણ ખરાબ છે. આનું મુખ્ય કારણ એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ છે. નિષ્ણાતો આગામી સમયમાં સેપ્સિસને મોટું જોખમ ગણાવી રહ્યા છે.
કોરોના વાયરસ રોગચાળો ક્યારે સમાપ્ત થશે તેને લઈને હજુ કોઈ આગાહી શક્ય નથી, પરંતુ તેના દર્દીઓને તો ઠીક થયા પછી પણ ઘણી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે, આ વાયરસ ઠીક થયા પછી પણ આપણા શરીરને ખોખલું કરી રહ્યું છે. ખાસ કરીને જે લોકો નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અથવા જેઓ પહેલાથી જ કોઈ ગંભીર રોગથી પીડિત છે, તેમને વધુ જોખમ છે. હાલન દિવસોમાં જોવા મળ્યું છે કે કોઈ પણ જ્યારે કોરોના સંક્રમિત થાય છે ત્યારે તેમને સેપ્સિસનું જોખમ વધી રહ્યું છે. WHO એ ચેતવણી પણ આપી છે કે સેપ્સિસ કેન્સર અને હાર્ટ એટેક કરતા પણ વધુ ખતરનાક બનશે.
બિહામણા છે આંકડા
ડોકટરો અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 2050 સુધીમાં કેન્સર અને હાર્ટ એટેક કરતાં સેપ્સિસથી વધુ લોકોના મોત થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, સેપ્સિસ સંક્રમણ માટે સિન્ડ્રોમિક પ્રતિક્રિયા છે અને ચેપી રોગો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે 2017 માં વિશ્વભરમાં 4.89 કરોડ કેસ સામે આવ્યા અને 1.1 કરોડ કેસમાં મોત નિપજ્યાં. જે વૈશ્વિક મૃત્યુ સરેરાશના લગભગ 20 ટકા જેટલું પ્રમાણ છે.
શું છે કારણ ?
અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે અફઘાનિસ્તાન સિવાય અન્ય દક્ષિણ એશિયાઈ દેશોની સરખામણીમાં ભારતમાં સેપ્સિસથી મૃત્યુદર વધારે છે. ઈન્સ. ઓફ ક્રિટિકલ કેર એન્ડ એનેસ્થેસિયોલોજી, મેદાંતા – ધ મેડિસીટી ગુરુગ્રામના ચેરમેન, યતિન મહેતાએ જણાવ્યું હતું કે, ”સેપ્સિસ 2050 સુધીમાં કેન્સર અથવા હાર્ટ એટેક કરતાં વધુ લોકોને મારી નાખશે. આ સૌથી મોટો જીવલેણ રોગ બનવાનો છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં, એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ સંભવત ઉચ્ચ મૃત્યુદરનું કારણ બની રહ્યો છે.”
બિનજરૂરી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ટાળો
હકીકતમાં, ડેન્ગ્યુ, મેલેરિયા, યુટીઆઈ અથવા તો ઝાડા જેવા ઘણા સામાન્ય રોગો સેપ્સિસનું કારણ બની શકે છે. ડો.મહેતા તાજેતરમાં આરોગ્ય જાગૃતિ સંસ્થા અને ઈન્ટિ. હેલ્થ એન્ડ વેલબિઈંગ કાઉન્સિલ દ્વારા આયોજિત સેપ્સિસ સમિટ ઇન્ડિયા 2021 માં સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, એન્ટિબાયોટિક્સના ઉપયોગ સિવાય, જાગૃતિનો અભાવ અને તાત્કાલિક સારવારનો અભાવ પણ ભયનું મોટું કારણ છે. ડો.મહેતાએ ગ્રાઉન્ડ લેવલ પર સેપ્સિસ અંગે જાગૃતિ અને શિક્ષણ વધારવાનું આહ્વાન કર્યું હતી. નિષ્ણાતો કહે છે કે મેડિકલ સેક્ટરમાં પ્રગતિ છતાં, ઘણી હોસ્પિટલોમાં 50-60 ટકા દર્દીઓ સેપ્સિસ અને સેપ્ટિક શોક વિકસાવે છે. આ માટે, સૌ પ્રથમ બિનજરૂરી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ટાળવો જોઈએ.
આ દર્દીઓને વધારે જોખમ હોય છે
ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ વર્માએ જણાવ્યું હતું કે, “સેપ્સિસને તેની માન્યતા આપવામાં આવી નથી જે જરુરી છે અને હાલની નીતિ તેને પહોંચી વળવાની જરૂરિયાતો કરતાં ઘણી પાછળ છે. આપણે ICMR, CME દ્વારા સંશોધનમાં સેપ્સિસના કેસોને ઓળખવાની જરૂર છે અને તેને નીતિ નિર્માતાઓ દ્વારા પ્રાથમિકતા પર લેવી જોઈએ. નવજાત શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓમાં મૃત્યુનું મુખ્ય કારણ સેપ્સિસ છે. સેપ્સિસ વૃદ્ધો, ICU માં દર્દીઓ, HIV/AIDS, લીવર સિરોસિસ, કેન્સર, કિડની રોગ અને સ્વયંપ્રતિરક્ષા બિમારીઓને નોંધપાત્ર રીતે અસર કરે છે. નિષ્ણાતો કહે છે કે કોવિડ -19 રોગચાળા દરમિયાન રોગ પ્રતિરક્ષાને કારણે મોટાભાગના મૃત્યુમાં સેપ્સિસે મુખ્ય ભૂમિકા ભજવી હતી.