વાહનચાલકોને અમદાવાદ ટ્રાફિક વિભાગે આપી મોટી રાહત
મુખ્ય રસ્તા અને ચાર ચોક પર તૈનાત ટ્રાફિક પોલીસથી ભલભલા લોકો ડરી જાય છે. તેના દંડથી બચવા માટે લોકો સતત પ્રયત્ન કરતા રહે છે. ટ્રાફિક પોલીસની ઝપટમાં આવી ન જવાય તેવું ઈચ્છતા લોકોને રાહત મળે તેવી જાણકારી સામે આવી છે.
ટ્રાફિક પોલીસ જે દંડ ફટકારતી હોય છે તેનાથી ભલભલા વાહનચાલકો બચવા માંગતા હોય છે. તેવામાં ગુજરાતના અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી ચુકી છે જેના કારણે વાહનચાલકો હાશકારો અનુભવી રહ્યા છે.
ટ્રાફિકના નિયમોનો ભંગ ન જ કરવો જોઈએ. નિયમ તોડી વાહન ચલાવવા ખૂબ જોખમી છે અને આમ કોઈએ ન કરવું પરંતુ તેમ છતાં આજકાલની દોડધામ ભરેલી જીંદગીમાં અજાણતા પણ ક્યારેક નિયમનો ભંગ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો હજાર રૂપિયાનો દંડ ભરવો પડે તો સામાન્ય માણસનો તો જીવ જ કપાઈ જતો હોય છે.
ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારું રીતે ચાલે તે માટે ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેનું પાલન પણ કરાવવામાં આવે છે. આ સ્થિતિ રાજ્યના દરેક શહેરની છે. રાજ્યના દરેક મહાનગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન સારી રીતે થાય તે માટે સીસીટીવી પણ ચોકે ચોકે ગોઠવાયા છે. જો કોઈ વ્યક્તિ ટ્રાફિક પોલીસની નજરમાંથી બચી જાય તો પણ સીસીટીવીથી તો બચી ન જ શકે.
આ કડીમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે એક પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ પ્રોજેક્ટ એવો છે જેને લઈ શહેરીજનોને થોડી રાહત થઈ છે. આ નવા નિયમ અનુસાર શહેરના રિંગરોડ પર વાહનચાલકો પાસેથી દંડ લેવાશે નહીં. અહીંથી પસાર થતા વાહનચાલકોની ગંભીર બેદરકારી પર જ નજર રાવામાં આવશે. બેદરકાર વાહન ચાલકો પર ઈન્ટર સેપ્ટર કારથી નજર રાખવામાં આવશે. આવું કરવાનું કારણ ટ્રાફિક વ્યવસ્થાને સરળ અને ઝડપી કરવાનું છે.
ટ્રાફિક પોલીસે આ પગલું ભર્યું છે જેનો આશય દંડ ઉઘરાવવાનો નહીં પરંતુ લોકોના હિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. વાહનચાલકોને આ રીતે બેવડો ફાયદો થશે. એક તો રાહદારીઓની સુરક્ષા વધશે, બેદરકાર વાહન ચાલકો સામે જ કાર્યવાહી થશે અને જાણે-અજાણે નિયમ ભંગ કરતા લોકો મસમોટા દંડથી બચી જશે. શહેરના ધમધમતા રોડ પર વાહનવ્યવહાર ઝડપી બને તે માટે ટ્રાફિક વિભાગે આ પ્રયોગ કર્યો છે જો તે સફળ જશે તો તેને આગળ વધારવામાં આવી શકે છે.