Air India બાદ હવે સરકાર આ સરકારી કંપની વેચવા કાઢશે
નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, સરકારે સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (CEL-Central Electronics Limited ) માં 100% હિસ્સો અને મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે બિડ મંગાવી હતી. તો બીજી તરફ, હવે નાણાકીય બિડ પ્રાપ્ત થઈ છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ કેન્દ્ર સરકારની એક એન્જિનિયરિંગ કંપની છે. તેનું એકમ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદમાં છે. આ ઉપરાંત, આ કંપની સોલર ફોટોવોલ્ટેઇક્સ, ફેરિટ્સ અને પીઝો સિરામિક્સનું ઉત્પાદન કરે છે. તેણે ભારતમાં સૌપ્રથમ વર્ષ 1977 માં સોલર સેલ અને 1978 માં સૌર પેનલ બનાવવાનું કામ કર્યું હતું.
સરકાર શું કરવા માંગે છે
સરકાર સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (CEL-Central Electronics Limited )માં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા સાથે તેના મેનેજમેન્ટ કંટ્રોલને પણ ટ્રાન્સફર કરશે. સરળ શબ્દોમાં, સરકાર તેનો 100% હિસ્સો વેચશે.
કોણ ખરીદશે?
સરકારે જારી કરેલી શરતો અનુસાર, CEL ખરીદતી કંપનીની માર્ચ 2019 સુધીમાં ઓછામાં ઓછી 50 કરોડ રૂપિયાની નેટવર્થ હોવી જોઈએ. તે CEL માં ખરીદેલ હિસ્સો આગામી ત્રણ વર્ષ સુધી અન્ય કોઈને વેચી શકે નહીં.
હવે શું થશે?
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. જોકે, સરકાર તરફથી કર્મચારીઓ અંગે કોઈ માહિતી આવી નથી.
વિનિવેશ શું છે
રોકાણની વિપરીત વિનિવેશ છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, રોકાણનો અર્થ વ્યવસાયમાં, સંસ્થામાં, પ્રોજેક્ટમાં નાણાંનું રોકાણ કરવું છે. જ્યારે, વિનિવેશનો અર્થ એ છે કે તે રકમને પાછી કાઢી લેવી.સરકારે રોકાણ કરીને ઘણી કંપનીઓના શેર ખરીદ્યા છે અથવા એમ કહીએ કે કંપનીઓને શરૂ કરી છે. સરકાર ઘણી કંપનીઓની માલિકી ધરાવે છે. તે જ સમયે, હવે ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા દ્વારા, સરકાર તેના શેર બીજા કોઈને વેચીને તેમાંથી બહાર નીકળી રહી છે. આમ કરીને સરકાર દ્વારા એકત્ર કરવામાં આવતી રકમ અન્ય યોજનાઓ પાછળ ખર્ચવામાં આવે છે.
તો બીજી તરફ એર ઇન્ડિયાની હરાજી બાદ તેના કર્મચારીઓ પર સંકટનાં વાદળો ઘેરાવા લાગ્યા છે. એર ઇન્ડિયા ટાટા સન્સના હાથમાં ગયા બાદ હવે એર ઇન્ડિયાના યુનિયને હડતાલ પર જવાની યોજના બનાવી છે. વાસ્તવમાં, કંપની દ્વારા એર ઇન્ડિયાના કર્મચારીઓને ફાળવેલ મકાનો 6 મહિનાની અંદર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ સામે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એર ઇન્ડિયા યુનિયને 2 નવેમ્બર, 2021 થી હડતાલ પર જવા અંગે મુંબઇ શ્રમ કમિશનરને જાણ કરી છે. તમને જણાવી દઈએ કે ટાટા સન્સે એર ઈન્ડિયાની ખરીદીની બોલી જીતી હતી.