અરવિંદ ત્રિવેદી પહેલા રામાયણના આ 14 પાત્રો દુનિયામાંથી લઈ ચૂક્યા છે વિદાય
દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 5 ઓક્ટોબર, મંગળવારે રાત્રે નિધન થયું. અરવિંદ ત્રિવેદીને રામાયણમાં રાવણની ભૂમિકા ભજવવા માટે ઓળખવામાં આવે છે. અભિનેતા અરવિંદ ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલી રહ્યા હતા. 82 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું. તેમના સહ-કલાકાર સુનીલ લહિરી દ્વારા તેમના અચાનક નિધનના સમાચારની પુષ્ટિ કરવામાં આવી. તેમના નિધનના સમાચાર ઈન્ટરનેટ પર આવ્યા બાદ, રામાનંદ સાગરની રામાયણથી દિપીકા ચિખલિયા અને અરુણ ગોવિલ સહિત તેમના સહ કલાકારોએ દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી.
રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે અરવિંદ ત્રિવેદીને “મારા પ્રિય મિત્ર” ગણાવતા ટ્વિટ કર્યું હતું. મહાન અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતા તેમણે લખ્યું કે, “આધ્યાત્મિક રૂપથીરામાવતારનું કારણ અને સાંસારિક રૂપથી એક ખૂબ જ ઉમદા, ધાર્મિક, સરળ સ્વભાવના માણસ અને મારા પ્રિય મિત્ર અરવિંદ ત્રિવેદી જી આજે માનવ સમાજે ખોઈ દીધા. નિ:સંદેહ તેઓ સીધા પરમ ધામ જશે અને ભગવાન શ્રી રામનું સાનિધ્ય મેળવશે. જો કે અરવિંદ ત્રિવેદીના નિધન પહેલા રામાયણના અનેક પાત્ર આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.
કુંભકર્ણ
રામાયણમાં કુંભકર્ણનું પાત્ર નલિન દવેએ ભજવ્યું હતું. નલિન દવેનું 50 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. તેમણે 26 વર્ષની ઉંમરમાં ગુજરાતી ફિલ્મ ‘ભાદર તારા વહેતા પાણી’માં પહેલી વખત કામ કર્યું હતુ. તેમણે અનેક ગુજરાતી ફિલ્મમાં ખલનાયકનો રોલ પણ ભજવ્યો હતો.
ભરત
રામાયણમાં ભરતનું પાત્ર સંજય જોગે ભજવ્યું હતું. 40ની ઉંમરમાં સંજય જોગનું લીવર ફેલ થતાં અવસાન થયું હતું. નોંધનિય છે કે તેમણે 50થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. તમને જણાવી દઈએકે, સંજય જોગને પહેલાં ‘લક્ષ્મણ’નો રોલ ઓફર થયો હતો. જોકે, તેમણે રિજેક્ટ કરી દીધો હતો.
સુનયના
રામાયણમાં સુનયનાનું પાત્ર ઉર્મિલા ભટ્ટ ભજવ્યું હતું. ઉપ્મિલા ભટ્ટે પોતાના કરિયરની શરૂઆત ડ્રામાથી કરી હતી. આ ઉપરાંત રાજકોટમાં ફોક ડાન્સર તથા સિંગર તરીકે સંગીત કળા એકેડેમી જોઇન કરી હતી. 22 ફેબ્રુઆરી, 1997ના દિવેસ 63 વર્ષીય ઉર્મિલા મુંબઈના જૂહુ સ્થિત ઘરમાં કેટલાંક ગુંડાઓ ઘુસી આવ્યા અને લૂંટફાટ કરી તેમની હત્યા કરી.
મંથરા
રામાયણમાં મંથરાનું પાત્ર લલિતા પવારે ભજવ્યું હતુ. લલિતા પવારનું સાચું નામ અંબા હતું. લલિતાએ 700થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. નોંધનિય છે કે, તેમના મોતની જાણ પરિવારને ત્રણ દિવસ બાદ થઈ હતી. 1998માં તેમનુ મોત થયું ત્યારે તેમની ઉંમર 81 વર્ષની હતી.
રામાનંદ સાગર
રામાયણ સિરિયલના પ્રોડ્યૂસર-ડિરેક્ટર રામાનંદ સાગરનું 87 વર્ષની ઉંમરમાં 2005 અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે, તેમનો જન્મ લાહોર, પંજાબ બ્રિટિશ ઇન્ડિયામાં 1917માં થયો હતો. તેમનું જન્મ સમયે નામ ચંદ્રમૌલી ચોપરા હતુ.
ઈન્દ્રજીત
રામાયણમાં વિજય અરોરાએ ઈન્દ્રજીતનું પાત્ર ભજવ્યું હતું. વિજય અરોરા 1971માં ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. 2007માં જ્યારે વિજયનું અવશાન થયું ત્યારે તેમની ઉંમર 62 વર્ષની હતી.
કૌશલ્યા
રામાયણમાં કૌશલ્યાનું પાત્ર જયશ્રી ગડકરે ભજવી હતી. જયશ્રી ગડકર જાણીતા મરાઠી તથા હિંદી એક્ટ્રેસ હતા. 2008માં 66 વર્ષીય જયશ્રીનું અવસાન થયું હતું.
સુમિત્રા
રામાયણમાં સુમિત્રાનું પાત્ર રજનીબાળાએ ભજવ્યું હતું. રજનીબાળા વિતેલા સમયમાં ડાન્સર તરીકે લોકપ્રિય હતા. રજનીબાળાનું 2010માં અવસાન થયું હતું.
દારા સિંહ
રામાયણમાં દારા સિંહે હનુમાનનું પાત્ર ભજવ્યું હતું. દારા સિંહ એક્ટર પહેલાં પહેલવાન તરીકે જાણીતા હતા. દારા સિંહને રૂસ્તમે હિંગનો ખીતાબ આપવામાં આવ્યો હતો. દારા સિંહે એક મુકાબલામાં 200 કિલોન કિંગ કોંગને ઊંચકીને ફેંકી દીધો હતો. 83 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે 2012માં તેમનુ અવસાન થયું હતું.
જનક રાજા
રામાયણમાં જનક રાજાનું પાત્ર મૂળરાજ રાજડાએ ભજવ્યું હતું. 80 વર્ષીય મૂળરાજ રાજડાએ ગુજરાતી નાટકો તથા ટીવી સિરિયલ ડિરેક્ટ કરી હતી. મૂળરાજ રાજડાનું 2012માં અવસાન થયું હતું.
વિભીષણ
રામાયણમાં વિભીષણનું પાત્ર મુકેશ રાવલે ભજવ્યું હતું. 66 વર્ષીય મુકેશ રાવલની લાશ 2016માં ધડથી માથું અલગ થયું તે રીતે મળી આવી હતી. 2016માં તેમનું અવસાન થયું હતું. એક ચર્ચા એવી હતી કે ટ્રેનમાંથી પડી જવાને કારણે તેમનું અવસાન થયું હતું.
સુગ્રીવ
રામાયણમાં સુગ્રીવનું પાત્ર નિભાવનાર શ્યામ સુંદર હતા. 55 વર્ષીય શ્યામ સુંદર લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતાં. 29 માર્ચ 2020ના રોજ તેમણે હરિયાણાના કાલકામાં અંતિમ શ્વાસ લીધાં હતાં.
સુમંત
રામાયણમાં સુમંતનું પાત્ર ચંદ્રશેખરે ભજવ્યું હતું. 97 વર્ષની ઉંમરમાં ચંદ્રશેખરનું 16 જૂન, 2021ના રોજ સવારે સાત વાગે નિધન થયું હતું. તેમનું ઊંઘમાં જ અવસાન થયું હતું.
રાવણ
રામાયણમાં રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું. ‘રામાયણ’ સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 5 ઓક્ટોબર 2021ના રોજ 83 વર્ષની ઉંમરે મુંબઈના કાંદિવલી ખાતેના નિવાસસ્થાને અવસાન થયું હતું.