એક નાના બાળકે ૬ લોકોને આપ્યું જીવનદાન, ગુજરાતનો આ કિસ્સો સાંભળી ગદગદિત થઈ જશો
ગુજરાતનું સુરત શહેર ફરી એકવાર અંગદાન ને લઈને ચર્ચામાં આવ્યું છે. આ વખતે પહેલી વાર એક 14 વર્ષના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે બ્રેઈન ડેડ દર્દીના હૃદય, કિડની, આંખ, લીવર વગેરેનું દાન કરવામાં આવતું હોય છે. પરંતુ સુરતમાં આ વખતે પહેલીવાર 14 વર્ષના બાળકના બંને હાથ નું પણ દાન કરવામાં આવ્યું. 14 વર્ષના બાળકના અંગોના દાન થી 6 લોકોને નવું જીવન મળ્યું છે.
14 વર્ષના બ્રેઇનડેડ બાળકના અંગ મુંબઈ, અમદાવાદ અને ચેન્નઈ પહોંચાડવામાં આવ્યા હતા. આ કામમાં સુરત શહેર પોલીસે અભૂતપૂર્વ સહકાર આપ્યો અને ગ્રીન કોરીડોરની મદદથી ગણતરીના જ સમયમાં બાળકના અંગને હોસ્પિટલ સુધી પહોંચાડી દેવામાં આવ્યા.
સુરતના કતારગામમાં રહેતા ધોરણ-10માં અભ્યાસ કરતા 14 વર્ષના ધાર્મિક ની તબિયત ગત 27 ઓક્ટોબરના રોજ બગડી હતી. તેને અચાનક ઊલટીઓ થવા લાગી અને બીપી વધી ગયું આ કારણે તેને પરિવારજનોએ તુરંત જ હોસ્પિટલમાં ખસેડ્યો. ધાર્મિક ને કિડનીની પણ તકલીફ હતી જેના કારણે તેને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ધાર્મિક ને કિડનીની તકલીફ પાંચ વર્ષથી થઈ ગઈ હતી. આ વખતે તેની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને સીટી સ્કેન કરવામાં આવતાં જાણવા મળ્યું કે બાળકને બ્રેઈન હેમરેજ થયું છે જેના કારણે મગજમાં લોહી જામી ગયું છે.
ન્યુરોસર્જન ડોક્ટર ભૌમિકે બાળકના મગજમાં જામેલા લોહીને અને સોજાને દૂર કર્યો પરંતુ તેમ છતાં તેનો જીવ બચી શક્યો નહીં અને 29 ઓકટોબરના રોજ જ ડોક્ટરોએ ધાર્મિક ને બ્રેઈનડેડ જાહેર કર્યો. ત્યારબાદ હોસ્પિટલ ખાતે ડોનેટ લાઈફ ની ટીમ પહોંચી અને ધાર્મિક ના પરિવારજનોને અંગદાન વિશે જાણકારી આપી.
ધાર્મિક ના પરિવારજનો પણ અંગ દાન નું મહત્વ સમજ્યા અને એટલા માટે જ તેમને પોતાના વહાલસોયા દીકરાના લીવર, હૃદય, હાથ, ફેફસાં અને આંખનું દાન કરવાની મંજૂરી આપી. જોકે આ પહેલો કિસ્સો એવો છે જેમાં હાથનું પણ દાન કરવામાં આવ્યું છે.
ધાર્મિક ના લિવરનું દાન અમદાવાદની ઝાઈડસ હોસ્પિટલમાં હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં અને હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ ને મોકલવામાં આવ્યા એ સાથે જ તેના ફેફસાં ચેન્નઈ ની હોસ્પિટલ માં ગયા હતા. જોકે તેના આંતરડા માટે પણ દેશભરની હોસ્પિટલ ને એલર્ટ કરવામાં આવી હતી પરંતુ બ્લડ ગ્રુપ મેચ ન થતાં તેનું દાન થઈ શક્યું નહીં.
ધાર્મિક ના બંને હાથ પુનાના એક વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ત્રણ વર્ષ પહેલાં વ્યક્તિને વીજ કરંટ લાગવાથી તેના બંને હાથ અને પગ કપાઈ ગયા હતા હવે ધાર્મિક ના હાથથી આ વ્યક્તિને નવું જીવન મળશે. દેશમાં સૌ પ્રથમ વખત વર્ષ 2015માં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 19મુ ટ્રાન્સપ્લાન્ટ છે જેમાં હાથ બીજા વ્યક્તિને ડોનેટ કરાયા છે. જોકે 14 વર્ષના બાળકને હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવો આ પહેલો કિસ્સો છે.