જે મંદિરને વીજળી પડવાથી કઈ નહોતું થયું એ જ સલામત દ્વારકાના મંદિર ઉપર પાકિસ્તાને 156 બોમ્બ ઝીંક્યા હતા
મંગળવારે એક વીડિયો વાયરલ થયો હતો કે મંદિર પર લગાવેલી ધ્વજા ઉપર કડાકા સાથે વીજળી પડે છે. આકાશ વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. આવી ઘટના રેર કેસમાં બની હોય છે જો કે વીજળી પડવાની ઘટનમાં કોઈ નુકસાન થયું નથી પરતું ત્યારબાદ મંદિરની ધ્વજા અખંડિત થઈ જતા આજે ધ્વજા અડધી કાઠીએ ચડાવાઈ હતી. દ્વારકાના વિશ્વપ્રસિધ્ધ જગતમંદિર ઉપર મંગળવારે સાંજે મેઘતાંડવ વચ્ચે વીજળી ત્રાટકી હોવા છતા મંદિરની કાંકરી પણ ન ખરતા પૂરા વિશ્વમાં આ ઘટનાના વીડિયો વાયરલ થયા હતા.
જો કે આ ઘટના પછી દ્વારકાવાસીઓ મંદિર ખૂલતા જ કાળિયા ઠાકોરના જયઘોષ સાથે દર્શને ઉમટ્યા હતા અને લોકો કહેતા હતા કે જેની રક્ષા દ્વારકાધીશ કરે તેનું કોઈ કાંઈ ન કરી શકે. ત્યારે એક ઘટના યાદ કરવાનું મન થાય છે કે 1965માં દ્વારકા ઉપર પાકિસ્તાને 156 બોમ્બ ફેંકેલા છતા આ બોમ્બમારો નિષ્ફળ ગયો હતો. જો વિગતે વાત કરીએ તો 1965ની 7મી સપ્ટેમ્બરે ભાદરવા સુદ બારસના દિવસે પાકિસ્તાન નેવીના સંયુક્ત ઓપરેશનમાં મધરાતે દ્વારકાના મંદિર ઉપર બોમ્બમારો થયો હતો અને લોકોએ નફ્ફટ પાકિસ્તાની પર ફિટકાર પણ વરસાવ્યો હતો.
કોણે આ કારનામું કર્યું એના વિશે વાત કરવામાં આવે તો ભારતીય જળસામીએથી પાકિસ્તાનના પાંચ સમુદ્રી યુધ્ધ જહાજ પીએનએસ ટીપ સુલ્તાન, પીએનએસ શાહજહા, પીએનએસ બાબર, પીએનએસ આલમગીર, પીએનએસ બદરે માત્ર 20 મિનિટમાં 156 શક્તિશાળી બોમ્બ વરસાવ્યા હતા એવી પણ માહિતી સામે આવી હતી. એવું માનવામાં આવે છે કે જગત મંદિરને ટાર્ગેટ કરી બોમ્બમારો થયેલો પરંતુ મરીન એન્જિનિયરિંગ દ્વારા દરિયાઈ મોજાના અપ-ડાઉન અંગેની ગણતરીમાં ભૂલ થઈ ગઈ અને બધા જ બોમ્બ મંદિરની ઉપરથી જતા રહ્યા હતા અને દ્વારકામાં માનવ વસાહતથી દૂર ઝાડી ઝાંખરામાં પડ્યા હતા.
આ બોમ્બમારા વખતે પાકિસ્તાનીઓ એવા ભોંઠા પડ્યા હતા કે એક પણ વ્યક્તિને ઈજા પણ ના થઈ. દ્વારકામાં વીજળી પડવા છતા સલામત રહેલા મંદિરના વીડિયો ગઈકાલે દેશ-વિદેશમાં પહોંચ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં 56 વર્ષ પહેલાં વામન જંયતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે મેલી મુરાદથી ભિષણ બોમ્બ મારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવલે પરંતુ જગતનો તારણહાર એવા ભગવાન દ્વારકાધીશ એ મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું. તો વળી હાલની વાત કરીએ તો ફરી એકવાર ભગવાન દ્વારકાધીશે લોકોની રક્ષા કરી હતી.
હાલ રાજ્યમાં મેહુલો જામ્યો છે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. મેઘરાજા એવા તે મહેરબાન થયા છે અનેક જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. દેવ ભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો જેમાં દ્વારકાના મંદિરની સીડીયો ઉપરથી વરસાદી પાણી ઉતરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. મંદિરની સીડીઓ ઉપર પણ પાણીનું વહેણ જોવા મળતા યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને યાત્રિકો ગોંમતીઘાટ પર સ્નાન કરવા ઉમટી પડ્યા હતા.