રૂપાણી બાદ નવા મુખ્યમંત્રી માટે આ ચાર મુદ્દા રહેશે મહત્વના, જાણો શું છે સમગ્ર પ્લાન
ગુજરાત ભાજપમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટો ફેરબદલ થયો છે. શનિવારે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. અચાનક લેવાયેલા આ નિર્ણયથી સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા હતા. તેનું કારણ છે કે ઉતરાખંડ, કર્ણાટક પછી ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવા જઇ રહી છે, તેવામાં ભાજપે કરેલું નેતૃત્વ પરિવર્તન વિપક્ષ સહિત લોકો માટે પણ પ્રશ્નાર્થ બની ગયું છે.
વિજય રૂપાણીના રાજીનામા સાથે જ ચર્ચાઓ તેજ થઈ હતી કે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે. ગુજરાત ભાજપમાં ચારથી પાંચ નામ એવા છે જેને લઇને ચર્ચા શરૂ થઈ હતી અને તેઓ સત્તા સંભાળવા સક્ષમ છે. ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ બને પરંતુ તેના માટે ચાર મુદ્દા પડકાર સમાન બની રહેશે. એટલે કે ગુજરાતનું મુખ્યમંત્રી પદ સાથે જ નવા મુખ્યમંત્રીએ રાજ્યના ચાર મહત્વના પડકારોનો સામનો કરવો પડશે. કયા કયા છે આ ચાર મુદ્દા તેના પર કરીએ એક નજર.
2022 ની વિધાનસભાની ચૂંટણી
નવા મુખ્યમંત્રી માટે સૌથી મોટો પડકાર હશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી. કારણ કે આગામી વર્ષમાં થનાર ચૂંટણીમાં ભાજપને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ટક્કર આપવા તૈયાર થઈ છે. વર્ષ 2017માં ભાજપે ગુજરાતમાં સરકાર તો બનાવી પરંતુ સાથે જ કોંગ્રેસ નું પ્રદર્શન પણ સારું રહ્યું હતું. જેના કારણે ભાજપે 99 બેઠકો સાથે સંતોષ માનવો પડયો હતો. આ ઉપરાંત ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેવામાં કાર્યકર્તાઓમાં ફરીથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા નવી ઉર્જાનો સંચાર કેવી રીતે કરવો તે કામ મુખ્યમંત્રીએ કરવું પડશે.
કોરોના વાયરસમાં મેનેજમેન્ટ
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી ના રાજીનામાં પાછળનું એક કારણ કોરોના સમયમાં થયેલું મિસમેનેજમેન્ટ પણ છે. કોરોના ની બીજી લહેર દરમિયાન અનેક વખત હાઇ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. આ સિવાય કોરોના થી થયેલા મૃત્યુના આંકડાઓને લઈને પણ વિવાદ મોટો થયો હતો. હવે જ્યારે ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે આવનાર નવા મુખ્યમંત્રીએ ફરીથી ગુજરાતની સ્વાસ્થ્ય વ્યવસ્થાને પાટા પર લાવવી પડશે અને કોરોના કાળ દરમ્યાન લોકોમાં ઉદ્ભવેલી નારાજગી દૂર કરવી પડશે.
પાટીદાર સમાજને ખુશ કરવો
રાજનૈતિક સમીકરણની દ્રષ્ટિએ પણ નવા મુખ્યમંત્રી સામે મોટો પડકાર હશે. ઉપરોક્ત બંને મુદ્દાને નવા મુખ્યમંત્રી સારી રીતે પાર પાડી દેશે તો પણ ચૂંટણીની દ્રષ્ટિએ પાટીદારનો મુદ્દો રાજ્યની સત્તા નું ચિત્ર બદલી શકે છે. વર્ષ 2017 ની ચૂંટણી અને ભાજપ માટે સંઘર્ષ પૂર્ણ પાટીદાર આંદોલનને બનાવી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે નુકસાન થયું હતું. તેવામાં આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજને ભાજપ નારાજ કરી શકે તેમ નથી. તેથી નવા મુખ્યમંત્રી એ સૌથી પહેલા પાટીદાર સમાજને રાજી રાખવો પડશે.
પ્રતિભાશાળી નેતૃત્વ
ગુજરાત વડાપ્રધાન મોદીની કર્મભૂમિ રહી છે. ખૂદ પીએમ મોદી ત્રણ વખત રાજ્યના મુખ્ય મંત્રી બની ચૂકયાં છે. તેવામાં હવે ભાજપને ગુજરાત રાજ્ય માટે એક પ્રતિભાશાળી નેતૃત્વની જરૂર છે. આનંદીબેન પટેલ વિજય રૂપાણી એ તેમના કાર્યકાળમાં અનેક કાર્યો કર્યા પરંતુ તેઓ પ્રતિભાશાળી નેતા સાબિત થવામાં નિષ્ફળ રહ્યા. તેવામાં નવા મુખ્ય મંત્રીને સૌથી પહેલા જનતા વચ્ચે પોતાની પ્રતિભા સાબિત કરવી પડશે અને લોકપ્રિયતા હાંસલ કરવી પડશે જેથી તેમના ચહેરાના આધારે ભાજપને આગામી ચૂંટણીમાં મત મળે.