આર્યન ખાનના કેસમાં તપાસ કરતા સમીર વાનખેડે પર ઘેરાયા સંકટના વાદળ
મુંબઈ સહિત દેશભરમાં ફરી ડ્રગ્સનું ભૂત ધુણવા લાગ્યું છે. ડ્રગ્સ કનેકશન મામલે એનસીબી ફરી એકવાર આંકરાપાણીએ છે અને તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. તેવામાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેણે પોલીસકર્મી પર આરોપ મુકતા કહ્યું છે કે બે પોલીસકર્મી તેનો પીછો કરે છે અને તેના ફોન પણ ટેપ કરવામાં આવ્યા છે. આ મામલે સમીર વાનખેડેએ મહારાષ્ટ્રના ડીજીપીને પણ ફરિયાદ કરી છે.
જો કે અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાવાર રીતે વાનખેડેએ આ વાતની પુષ્ટિ કરી નથી પણ જાણવા મળ્યું છે કે પુરાવા તરીકે વાનખેડેએ સીસીટીવી ફૂટેજ પણ ડીજીપીને આપ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની સિવાય મુંબઈ એનસીબીની ટીમના અન્ય અધિકારીઓને પણ ટ્રેક કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોનું જણાવવું છે કે ઓશિવારા પોલીસની એક ટીમે સ્મશાનના સીસીટીવ ફુટેજ કબજે કર્યા છે. કારણ કે અહીં રોજ વાનખેડે જાય છે અને તેમનો આક્ષેપ છે કે તેમનો પીછો શંકાના આધારે અહીં પણ કરવામાં આવે છે. મહત્વનું છે કે વાનખેડેના માતાનું નિધન 2015માં થયું હતું ત્યારબાદથી તેઓ અહીં રોજ આવે છે.
અભિનેતા સુશાંત સિંહના મૃત્યુ પછી જે તપાસ થઈ તેમાં રિયા ચક્રવર્તી સાથેની ડ્રગ્સ ચેટ સામે આવી હતી અને આ કેસ એનસીબીના હાથમાં આવ્યો હતો. તે સમયે સમીર વાનખેડે સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા. આ કેસમાં દીપિકા પાદુકોણ, રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, ભારતી સિંહ સહિતની અભિનેત્રીઓ અને અર્જુન રામપાલ પણ એનસીબીની રડારમાં આવ્યા હતા અને પુછપરછ કરવામાં આવી હતી.
આ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ પણ થઈ હતી. સમીર વાનખેડેની આગેવાનીમાં એનસીબીએ મુંબઈમાંથી અનેક ડ્રગ્સ પેડલરોને દબોચી લીધા હતા. આ સિવાય એર ઈંટેલિજેંસ યૂનિટના ચીફ તરીકે પણ તેમને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમને સુરક્ષા પણ ઓફર કરવામાં આવી હતી પરંતુ વાનખેડેએ તેને લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
હાલના હાઈ પ્રોફાઈલ બની ગયેલા ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીના કેસમાં પણ તપાસ સમીર વાનખેડે અને તેની ટીમ કરી રહી છે. હવે આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવા માટે એનસીબી પાસે 6 મહીનાનો સમય છે. આ સાથે જ સમીર વાનખેડેનું એનસીબીમાં એક્સટેંશન 6 મહીના વધારી દેવામાં આવ્યું છે. તેમને આ બીજી વખત એક્સટેંશન મળ્યું છે.
સમીર વાનખેડે 2008ની બેચના આઈઆરએસ અધિકારી છે. તેમની પહેલી ડ્યુટી મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ કમિશ્નર તરીકે થઈ હતી. તેઓ દિલ્હી, આંધ્રપ્રદેશમાં પણ ફરજ બચાવી ચુક્યા છે. તેઓ ડ્રગ્સ સાથે સંબંધિત કેસોના વિશેષજ્ઞ તરીકે ઓળખાય છે. તેમના નેતૃત્વમાં બે વર્ષમાં જ અંદાજે 18,000 કરોડના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.