સુરતના ડુમસ, સુંવાળી સહિત જિલ્લાના અન્ય દરિયા કિનારા પર મુકાયો 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધ
ગુજરાતમાં તાઉતે વાવાઝોડા પછી એક નવું તોફાન ગુલાબ રૌદ્ર રૂપ ધારણ કરીને આવ્યું. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી ઉદ્દભવશે અને પાકિસ્તાનના દરિયાકિનારે ત્રાટકવાની શક્યતા છે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એટલું જ નહીં, આ વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી
એવામાં સુરત જિલ્લામાં ભારે વરસાદ સાથે ઝડપથી પવન ફૂંકાવાની હવામાન વિભાગની ચેતવણીને જોતા સુરતના ડુમસ અને સુંવાળી બીચ સહિત બધા દરિયા કિનારાના પર્યટન સ્થળ પર એક ઓક્ટોબર સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગુલાબ વાવાઝોડાની અસર સુરત શહેરમાં અનુભવાઈ છે. દક્ષિણ તરફથી 12 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહયો હતો. પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી થઈ શકે છે. સુરત શહેર અને જિલ્લાના બધા તટીય પર્યટન સ્થળોને 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. એટલે માછીમારોને પણ સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. તો સમુદ્રમાં જેટલી બોટ છે એમને તાત્કાલિક પાછી લાવવાની સૂચના આપવામાં આવી છે. મત્સ્ય કાર્યાલયને પણ ટોકન ન આપવાની સૂચના આપવામાં આવી છે.
તો બીજી તરફ ગુજરાતના લગભગ 100 જળાશયને હાઈ એલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. થોડા દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાઈ એલર્ટ પર મુકાયેલા 100 જળાશયોમાં 90 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે એલર્ટ પર મુકાયેલા 8 જળાશયમાં 80 થી 90 ટકા પાણીનો જથ્થો છે. તો બીજી તરફ 18 જળશાયમાં 70 થી 80 ટકા અને 80 જળશાયમાં 70 ટકા કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી તંત્ર એલર્ટ બન્યુ છે અને આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તૈયારી કરી રહ્યું છે.
ગુજરાત હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી મુજબ આગામી કેટલાક દિવસો સુધી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તોફાનની આગાહી બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. આ સિવાય ગુજરાતના 17 જિલ્લાઓમાં NDRF-SDRF ની ટીમો તૈનાત કરવામાં આવી છે, ગુજરાતના બંદર પર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતા અમદાવાદ આઇએમડીના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની પણ સંભાવના છે. દક્ષિણ અમદાવાદ અને તેના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના પણ છે. એલર્ટને જોતા વહીવટીતંત્રે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં NDRF ની 17 ટીમો તૈનાત કરી છે.