સૌથી મોટી ખબર: હવે 10000 રૂપિયા જ કાઢી શકશે આ બેંકના ગ્રાહકો, રિઝર્વ બેંકે લગાવી દીધા આટલા પ્રતિબંધ
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલી નગર અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. આ નિયંત્રણો હેઠળ, બેંકના ગ્રાહકો માટે તેમના ખાતામાંથી ઉપાડની મર્યાદા 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકની કથળતી નાણાકીય સ્થિતિને જોતા આ પગલું ભર્યું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ (કો-ઓપરેટિવ સોસાયટીઓને લાગુ), 1949 હેઠળના આ નિયંત્રણો 6 ડિસેમ્બર, 2021ના રોજ કામકાજના સમયની સમાપ્તિથી છ મહિનાના સમયગાળા માટે અમલમાં રહેશે અને તેની સમીક્ષા કરવામાં આવશે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ કહ્યું છે કે નગર અર્બન કો-ઓપરેટિવ બેંક તેની પરવાનગી વગર ન તો કોઈ લોન કે એડવાન્સ આપશે કે ન તો કોઈ લોન રિન્યૂ કરશે. આ સાથે, બેંકને કોઈપણ પ્રકારનું રોકાણ કરવા, કોઈપણ પ્રકારની જવાબદારી લેવા, ચુકવણી અને સંપત્તિના ટ્રાન્સફર અથવા વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. રિઝર્વ બેંકે કહ્યું કે બેંકના ગ્રાહકો તેમની બચત બેંક અથવા ચાલુ ખાતામાંથી 10,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં
બેન્ક પરિસરમાં લગાવી આદેશની કોપી
રિઝર્વ બેંકના આદેશની નકલ બેંક પરિસરમાં મુકવામાં આવી છે, જેથી ગ્રાહકો તેના વિશે માહિતી મેળવી શકે. જો કે, સેન્ટ્રલ બેંકે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રતિબંધોને બેંકિંગ લાઇસન્સ રદ કરવા તરીકે સમજવામાં ન આવે.
તમને જણાવી દઈએ કે ઑક્ટોબરની શરૂઆતમાં, રિઝર્વ બેંકે મહારાષ્ટ્ર સ્થિત અન્ય બેંક વસઈ વિકાસ સહકારી બેંકને અમુક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 90 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમાં લોનનું બેડ લોન (NPA) તરીકે વર્ગીકરણ અને અન્ય સૂચનાઓનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બેંકે નિવેદનમાં કહ્યું હતું કે બેંકે ઉધાર ખાતાઓમાં ભંડોળનો અંતિમ ઉપયોગ અને લોનને નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવાની તેની સૂચનાઓનું પાલન કર્યું નથી. બેંકે આરબીઆઈની તે વિશેષ સૂચનાનું પાલન પણ કર્યું નથી જેમાં એ સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે કે બેંકના વહી ખાતા અને નફા નુકશાન ખાતા પર ઓછામાં ઓછા ત્રણ નિર્દેશક દ્વારા સહી કરવામાં આવે
સેન્ટ્રલ બેંકે કહ્યું કે 31 માર્ચ, 2019ના રોજ, બેંકના વૈધાનિક નિરીક્ષણ, તેના નિરીક્ષણ અહેવાલ અને બેંકની નાણાકીય સ્થિતિને લગતા તમામ સંબંધિત પત્રવ્યવહારની તપાસ કર્યા પછી આ ખુલાસો કરવામાં આવ્યો હતો.