ઘણી ખમ્માં, સગાઈમાં પૈસા ખર્ચવાને બદલે સુરતના આ દંપતીએ કરી અનોખી પહેલ, આખા ભારતમાં પડ્યાં પડઘા
જ્યારે લગ્નની વાત આવે ત્યારે બધી વિધિઓ અને રસમો કરવા માટે મુહર્ત પહેલા જોવામાં આવે છે. સારું ચોઘડિયું જોઈને લગ્નનો પ્રારંભ કરવામાં આવે છે. આ બધું કરવા પાછળનું મુખ્ય કારણ એ જ હોય છે કે લગ્ન સબંધમાં જોડાનારા નવ દંપત્તિનું જીવનની શરૂઆત સારી રહે અને સુખ, શાંતિથી જીવન પસાર કરે. પરંતુ હાલમાં સુરતનાં એક કપલે અનોખી પહેલ કરી છે જે ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ આ કિસ્સો છે સુરત જિલ્લાના અમરોલી વિસ્તારનો.
સુરતનો રહેવાસી વિકાસ રાખોલિયા જે લાંબા સમયથી સામાજિક સંસ્થા સાથે સંકળાયેલ છે. થોડા દિવસો પહેલા વિકાસની સગાઈ રિદ્ધિ નામની યુવતી સાથે થઈ હતી. વિકાસે આ નવા જીવનની શરૂઆત કઈક અનોખી રીતે કરવાનું વિચાર્યુ હતું. વિકાસ અને રિદ્ધિએ પોતાની સગાઈમાં પૈસા ખર્ચ કરવાના બદલે તે પૈસા વડે જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાનું નક્કી કર્યું હતું. બંનેએ બે અનાથ છોકરાઓના શિક્ષણની સંભાળ લેવાનું નક્કી કર્યું છે. વિકાસ અને રિદ્ધિએ જણાવ્યું હતું કે સમાજના રીત રિવાજો અને વિચારધારા મુજબ તેઓ તેમની સગાઈ ખૂબ જ સરળતા સાથે કરશે.
વિકાસ અને રિદ્ધિએ આ વિશે આગળ કહ્યું હતું કે તેઓ તેમની સગાઈમાં નાણાં ખર્ચ કરવાના બદલે જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે તેવા બાળકોને મદદ કરશે. આમ બંનેએ નિર્દોષ બાળકો માટે મદદગાર થવાનું નક્કી કર્યું છે. વિકાસએ કહ્યું કે લોકો માત્ર સમાજમાં પોતાનો પ્રભાવ બતાવવા માટે મોટો ખર્ચ કરે છે. લોકો બે-ચાર દિવસ તેમની પ્રશંસા સાંભળવા માટે તો ઘણો ખર્ચ કરે છે.
પરંતુ જો ગરીબ બાળકને તે જ પૈસાની સહાય કરવામાં આવે તો તેનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે અને તેના પરિવારના પણ આશીર્વાદ મળશે. બંનેનો આ નિર્ણય સાંભળીને ચારે તરફ લોકો તેની વાહ વાહ કરી રહ્યાં છે. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ જરૂરીયાત મંદ લોકોની મદદ કરવી જોઈએ. જો કે કોરોના સમય દરમીયાન ઘણાં લોકો આવા બાળકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે.
હાલમાં વડોદરાના વિશ્વ વિખ્યાત ગરબા પૈકીના લોકપ્રિય ગરબાના આયોજક યુનાઇટેડ વે ઓફ બરોડા પણ આ માટે આગળ આવ્યું હતું. તેઓએ કોરોનાકાળમાં કોરોના અસરગ્રસ્તો ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં આઠ કરોડથી વધુ કિંમતની સાધન સામગ્રીની સહાય કરી છે. આ ઉપરાંત કોરોનાકાળમાં માતા-પિતા કે પરિવારનો આધાર ગુમાવનાર કેટલાક બાળકોના શિક્ષણની પણ જવાબદારી ઉઠાવી લેવા માટે ‘મિશન શિક્ષા’નો આરંભ કરવામાં આવ્યો છે. વડોદરા સહિત ભરૂચ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લાના 276 વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ રૂપિયા 71.50 લાખનો ખર્ચ યુનાઇટેડ વેએ ઉઠાવવાનું નક્કિ કર્યુ છે.