ઝડપથી ઘટતું વજન હોય છે આ ગંભીર બીમારીઓનો સંકેત
આજના સમયમાં મોટા ભાગના લોકો વધેલા વજનની સમસ્યાથી પરેશાન છે. અનિયમિત આહાર અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે શરીર વધવા લાગે છે. તેવામાં શરીરમાં જામેલી વધારાની ચરબી ઘટાડવા માટે લોકો વિવિધ ઉપાયો અપનાવે છે. ડાયટ ફૂડ અને નિયમિત કસરત કરીને સ્થૂળતા ઘટાડી શકાય છે. આ રીતે ધીરેધીરે વજન ઘટવા લાગે છે. પરંતુ જો તમારું વજન કોઈ કારણ વિના ઝડપથી ઘટવા લાગે તો તમારે ખુશ થવું જોઈએ નહીં અને ચિંતા કરવી જોઈએ. કારણ કે અચાનક વજનમાં થતો ઘટાડો ગંભીર રોગના સંકેત હોય શકે છે. આમ પણ કહેવાય છે કે ને વધેલું વજન શરીરને અનેક રોગનું ઘર બનાવે છે.
તેવામાં જો કોઈ પણ મહેનત વગર વજન ઘટી રહ્યું છે તો તેનું કારણ જાણવું જરૂરી થઈ જાય છે. આવી સ્થિતિમાં તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.. ચાલો આજે જાણીએ કે ઝડપથી ઘટતા વજનના કારણ કઈ કઈ બીમારી હોય છે.
ડાયાબિટીસ
શરીરમાં બ્લડ સુગર વધવાથી ડાયાબિટીસ થાય છે. જો આ રોગમાં સુગર નિયંત્રણમાં ન હોય તો તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે. તેથી બ્લડ સુગર સમયસર અને નિયમિત તપાસતા રહેવું જોઈએ.
કેન્સર જેવી બીમારી
કોઈ પણ કારણ વગર અચાનક વજનમાં ઘટાડો ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ઘાતક બીમારી અથવા કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડાતી હોય. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડાય છે, ત્યારે તેના શરીરની સાયકલ બગડી જાય છે અને વજન ઘટે છે. આ સ્થિતિમાં સૌ પ્રથમ ડોક્ટરને મળી નિદાન કરાવવું જોઈએ.
નબળું પાચન તંત્ર
જો તમારું પાચન તંત્ર નબળું હોય અથવા યોગ્ય રીતે કામ ન કરતું હોય તો ખોરાક શરીરમાં પચતો નથી. તેથી જ તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે. ખોરાક ન પચાવવાને કારણે શરીરને જરૂરી પોષક તત્વો પણ મળતા નથી જેના કારણે અન્ય રોગ થવાનું જોખમ વધે છે.
થાઇરોઇડ
જ્યારે થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે વજનમાં ઘટાડો ઝડપથી થાય છે. આ સિવાય જ્યારે થાઈરોઈડ ગ્રંથિ નબળી પડે છે ત્યારે ચયાપચય પણ ધીમું પડી જાય છે.
સ્ટ્રેસ
સ્ટ્રેસ પણ વજન ઘટાડવાનું કારણ બને છે. તણાવ સૌથી પહેલા વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરે છે. જો તમે માનસિક રીતે સ્વસ્થ નથી, તો તમને ભૂખ નથી લાગતી અને અન્ય સમસ્યાઓ પણ વધે છે.
સ્નાયુની નબળાઇ
નબળા સ્નાયુઓ ઝડપી વજન ઘટાડા તરફ તમને દોરી જાય છે. સ્નાયુઓ નબળા પડવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. તેની પાછળનું ચોક્કસ કારણ તબીબી નિદાન દ્વારા જ જાણી શકાશે.