દર વર્ષે વીજળી પડવાના કારણે સરેરાશ 2000 લોકો ગુમાવે છે જીવ, જાણો કઈ ભૂલોને ટાળવાથી બચી શકે છે જીવ
આ વર્ષે ચોમાસું કેટલાક રાજ્યો માટે સારું રહ્યું, કેટલાક માટે ભયંકર અને કેટલાક તો હજુ પણ સારા વરસાદની રાહમાં છે. એટલે કે આ રાજ્યોમાં સારો વરસાદ થયો નથી. જો કે આ વર્ષે ચોમાસામાં વીજળી પડવાની ઘટનાઓ પણ વધારે બની હતી. વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો હોવાથી ઘણી જગ્યાએ વીજળી પડવાના કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે.
તાજેતરમાં પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ યથાવત છે અને હવામાન વિભાગે હજુ 5 દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે જરૂરી છે કે વીજળી પડે ત્યારે ખાસ તકેદારી રાખવામાં આવે. પરંતુ મોટાભાગના લોકો એ જાણતા નથી હોતા કે વીજળી પડે તે સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું આ ઉપરાંત વીજળી પડે અને કોઈને તેની અસર થાય તો શું કરવું જોઈએ.
વીજળી પડવાની ઘટના ભયંકર હોય છે. આ ઘટનામાં જો કોઈ વ્યક્તિ તેના સીધા સંપર્કમાં આવે તો તેને જીવ પણ ગુમાવવો પડે. આ ઉપરાંત વસ્તુઓને પણ વીજળી પડવાના કારણે ભારે નુકસાન થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર આપણા દેશમાં દર વર્ષે વીજળી પડવાની ઘટનામાં 2000થી વધુ લોકો જીવ ગુમાવે છે. ત્યારે જણાવીએ કે વીજળી વધારે થતી હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જ્યારે સખત વીજળી ચમકતી હોય ત્યારે ભુલથી પણ કોઈ ઝાડ નીચે, ખેતરમાં કે પાણીના સ્ત્રોતની નજીક ન જવું જોઈએ. કારણ કે આ જગ્યાઓ અને તેની આસપાસનો વિસ્તાર વીજળીની ચપેટમાં સૌથી વધુ આવે છે.
વરસાદી વાતાવરણમાં તમે ઘરમાં જ હોય અને બહાર વીજળી વધારે થતી હોય તો ઘરની અંદરના તમામ ઈલેક્ટ્રીક ઉપકરણો બંધ કરી દેવા જોઈએ. આ સાથે જ તે સમયે ટેલિફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.
વીજળી થતી હોય ત્યારે ઘરના બારી અને દરવાજા પણ બંધ રાખવા જોઈએ. વીજળી થાય અને નજીકમાં તે પડી હોવાનું જણાય તો પણ તુરંત જ ઘરની બહાર જવાની ભુલ ક્યારેય કરવી જોઈએ નહીં.
આકાશમાં ચમકતી વીજળીનો નજારો જોઈ ઘણા લોકોને ફોટો પાડવાની ઈચ્છા થઈ જતી હોય છે પરંતુ તેના ફોટો પાડવા માટે કે વીજળી જોવા મટે અગાસી પર જવું જોઈએ નહીં.
વરસાદી વાતાવરણમાં વીજળી થતી હોય અને તમે ખુલ્લી જગ્યાએ હોય તો ધાતુના પાઈપ, વિજ પોલ કે ફુવારા જેવી જગ્યાઓથી દૂર ઊભા રહેવું જોઈએ.
વીજળીની અસરથી કેવી રીતે બચવું ?
જો વીજળી થાય અને તમારા વાળ ઊંચા થવા જેવો અનુભવ થાય તો તમારે વધારે સતર્ક રહેવું. આવું થાય ત્યારે કાન બંધ કરી જમીન પર બેસી જવું. બેસવું એવી રીતે કે બંધ કોણી ઘુંટણને સ્પર્શે. તેમ છતાં જો વીજળીની અસર થઈ હોય તો તુરંત જ વ્યક્તિને સીપીઆર આપવું જોઈએ. આ સિવાય જો તેના શ્વાસ બંધ જણાય તો કૃત્રિમ રીતે શ્વાસ આપવા જોઈએ.