રાજ્યના આઠ મહાનગરોમાં આ વખતે દિવાળીના તહેવારની રાત કર્ફ્યૂમાં વીતશે
ગયા વર્ષે ગુજરાતમાં દિવાળીનો તહેવાર લોકોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો હતો. ગયા વર્ષે લોકોએ કોરોનાની ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાવીને ભારે ભીડ ભેગી કરી હતી. ગયા વર્ષે દિવાળીના તહેવાર બાદ અચાનક રાજ્યમાં કોરોનાના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો હતો .તે સમયે અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.
અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ બે દિવસના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. લોકોની દિવાળીની ઉજવણીએ ગયા વર્ષે બીજી લહેરને આમંત્રણ આપ્યું હતું અને દિવાળી બાદ શરૂ થયેલી બીજી લહેર સૌથી વધુ ઘાતક સાબિત થઈ હતી.
હવે આ વખતે ફરી એકવાર 2021ના વર્ષમાં દિવાળીનો તહેવાર આવ્યો છે. હાલ કોરોનાના કેસો કાબુમાં છે અને એટલે કે સરકારે વધુ છુટછાટો આપી છે. તેમજ આ વખતે 10મી નવેમ્બર સુધી આઠ મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જેથી હવે આ દિવાળીની રાત આઠ મહાનગરોમાં કર્ફ્યૂમાં વીતશે.
હાલ નવરાત્રિ ચાલી રહી છે એટલે રાત્રી કરફ્યુના નિયમમાં બે કલાકની વધુ છૂટ આપવા આવી છે પણ હવે રાજ્ય સરકારે આપેલી છૂટ પૂરી થવાના 2 દિવસ બાકી છે ત્યારે વધુ એક મહિના માટે આવતી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યું છે.
વર્ષ 2020ના નવેમ્બર મહિનામાં ગુજરાતમા કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજાઈ હતી. એ ઉપરાંત દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીનું વેકેશન માણવા લોકો મંદિરો અને પ્રવાસન સ્થળ પર ઉમટી પડ્યા હતા, તે દરમિયાન કોરોનાને કાબુમાં લેવા સરકારે કોઈ પ્લાનિંગ નહોતું કર્યું. તે સમયે મીડિયા અને સોશિયલ મીડિયામાં નેતાઓ તથા પ્રજાની ભીડના કારણે કોરોના વિસ્ફોટ થવાનો ભય સતત વધી રહ્યો છે એ સામાન્ય જનતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો પણ સરકારે આ અંગે કોઈ પગલાં લીધા ન હતા. બાદમાં એકાએક કર્ફ્યૂ લાદી દઈને સરકાર કોરોના કાબુમાં લેવા માટે કાર્યવાહી કરી હતી.
ગયા વર્ષે ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરના રોજ અમદવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. એટલું જ નહીં અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો.
તે સમયે ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા હતાં ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
તમનર જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં 8, 26, 160ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 ,086 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8, 15, 872 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 178 દર્દીની હાલત સ્થિર છે.