આ છે ભારતનું સાવ અનોખું ગામ, બધા કરોડપતિઓ જ રહે છે અને એ પણ એકદમ કાચા મકાનમાં, જાણો બીજી અનેક ખાસિયતો
જો કોઈ વ્યક્તિ કરોડપતિ હોય તો તેના રહેવા માટેનું ઘરે આલિશાન અને દરેક સુવિધાથી સજ્જ હોય છે. તેવામાં તમે કલ્પના પણ કરી શકો કે કોઈ કરોડપતિ વ્યક્તિ બંગલામાં તો દૂરની વાત છે પણ પાકા મકાનમાં પણ ન રહેતા હોય અને સાવ કાચા મકાનમાં રહેતા હોય ? આવી કલ્પના પણ કરી શકાય પરંતુ આજે તમને જણાવીએ એક એવા ગામ વિશે જ્યાં કરોડપતિ લોકો વસે છે પણ અહીં એક પણ બંગલો નથી. બધા લોકો કાચા મકાનમાં જ રહે છે.
રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું છે દેવમાલી નામનું ગામ. આ ગામમાં એક નહીં ઘણા કરોડપતિ લોકો રહે છે પણ બધાના ઘર કાચા છે. એટલું જ નહીં આટલી સંપત્તિ હોવા છતાં ઘરમાં તાળાં પણ નથી. તેમ છતાં અહીંના એક પણ ઘરમાં છેલ્લા પાંચ દાયકામાં એક પણ ચોરીની ઘટના બની નથી. આવી કો પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
તેનાથી વધારે નવાઈ એ વાત જાણીને લાગશે કે અહીં ગામની બધી જ જમીનો ભગવાન દેવનારાયણના નામે અંકિત છે. આ ગામમાં રહેતા તમામ લોકો શાકાહારી છે. દેવમાલી ગામમાં એક પણ પાકી છતનું ઘર બન્યું નથી. અહીં વસતા લોકોનું માનવું છે કે પાકી છત બાંધવાથી ગામ પર આફત આવી શકે છે. તેથી જ આ ગામના કરોડપતિઓ પણ કાચા મકાનમાં રહે છે.
આજના સમયમાં પણ ગ્રામજનો રોજ વહેલી સવારે ગામની ટેકરી આસપાસ ખુલ્લા પગે ફરી પ્રદક્ષિણા કરે છે. કારણ કે આ ટેકરી પર ભગવાન દેવનારાયણનું મંદિર છે. ગ્રામજનો ભગવાન દેવનારાયણમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આ શ્રદ્ધા પાછળ એવી લોકવાયકા છે કે જ્યારે દેવનારાયણ ભગવાન આ ગામમાં આવ્યા ત્યારે તેઓ ગ્રામજનોની સેવાથી ખૂબ જ ખુશ થયા. તેમણે ગ્રામજનોને વરદાન માગવાનું કહ્યું પરંતુ ગ્રામજનોએ કંઈ જ માંગ્યું નહીં. પરંતુ તે સમયે દેવનારાયણે ગામ લોકોને કહ્યું હતું કે જો તમારે શાંતિથી રહેવું હોય તો ગામમાં ક્યારેય પાકી છતવાળું ઘર ન બનાવતા. ત્યારબાદથી આજ સુધી ગ્રામજનો તે વાતનું પાલન કરે છે.
આ ગામમાં 25 વર્ષ સુધી સરપંચ રહી ચૂકેલા ભાગી દેવી ગુર્જરે જણાવ્યું કે લોકો પૌરાણિક માન્યતા અને દેવનારાયણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાના કારણે માટી અને પથ્થરમાંથી કાચા ઘર બનાવે છે અને તેમાં જ રહે છે. આ ગામના સમૃદ્ધ લોકો પણ માટીના બનેલા કાચા મકાનોમાં જ રહે છે. જો કે આ કાચા ઘરમાં પણ ટીવી, ફ્રિજ, કુલર જેવા સાધનો તો છે જ પરંતુ આ ઘરની બહાર મોંઘી લક્ઝુરીયસ કાર પણ પાર્ક કરેલી જોવા મળે છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, થોડા સમય પહેલા કેટલાક લોકોએ ઘર પર પાકી છત બનાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને ઈશ્વરના ક્રોધનો ભોગ બનવું પડ્યુ. ત્યારબાદ કોઈ પોતાના ઘરમાં પાકુ છાપરું બાંધતા નથી. આ ગામમાં 300 પરિવારો રહે છે અને વસ્તી અંદાજે 2000 આસપાસ છે. નવાઈની વાત એ પણ છે કે આગામમાં એક જ ગોત્રના લોકો રહે છે. તેથી જ તેમના ઈષ્ટદેવ ભગવાન દેવનારાયણ છે. દેવમાલી ગામમાં લવડા ગોત્રના ગુર્જર સમાજના લોકો રહે છે. ગુર્જર સમાજના આરાધ્ય દેવ ભગવાન દેવનારાયણનું મંદિર ગામમાં ટેકરી પર બનેલું છે. આજે પણ જો ગામમાં વીજળી ન હોય તો અને તલના તેલથી દીવા કરવામાં આવે છે. અહીં કેરોસીનનો ઉપયોગ થતો નથી.
આ ગામમાં લોકો ઘરમાં પાણીની ટાંકી પણ બનાવતા નથી. એટલું જ નહીં ગ્રામજનો પાસે એક ઇંચ પણ જમીન નથી. ગામની બધી જ જમીન ભગવાન દેવનારાયણના નામે છે. અહીંના લોકો જીવન ગુજરાન પશુપાલન અને ખેતી કરીને ચલાવે છે. આ ગામમાં ક્યારેય ચોરી થઈ નથી.
અહીં ચોરીને લઈને એક લોકવાયકા ખૂબ ચર્ચીત છે. આ ઘટના એવી છે કે જેમાં એકવાર ચોર ટેકરી પર બનેલા મંદિરમાં ચોરી કરવા પ્રવેશ્યા હતા. તેમણે મંદિરની દાનપેટીમાં પધરાવેલા પૈસાની ચોરી કરી પણ આ ધન લઈ તે ગામમાંથી જઈ શક્યા નહીં. ગ્રામજનોએ તેમને પકડી લીધા હતા.