‘તારક મહેતા..’ના જૂના ટપુના પિતાના અવસાન પછી એની મમ્મીએ જણાવી વ્યથા, ‘છેલ્લાં એક મહિનામાં અમે ત્રણ હોસ્પિટલ બદલી, દુબઈથી ઈન્જેક્શન મંગાવ્યું પણ…
11 મેના રોજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પહેલા ટપુનો રોલ ભજવતા ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું હતું. છેલ્લાં એક મહિનામાં એક, બે નહિ પણ ત્રણ ત્રણ અલગ અલગ હોસ્પિટલમાં એડમિટ થયા પછી વિનોદ ગાંધીએ 11 મેના રોજ કોકિલાબેન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
હાલમાં જ ભવ્ય ગાંધીની માતા યશોદા ગાંધીએ આ અંગે વાત કરી હતી. યશોદા ગાંધીએ કહ્યું હતું, ‘મારા પતિ જ્યારથી કોરોનાવાઈરસ આવ્યો ત્યારથી ઘણી જ સાવચેતી રાખતા હતા. તે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તો કરતાં જ હતા, અને હંમેશાં માસ્ક પણ પહેરતા હતા. તે સતત હાથ સેનિટાઈઝ પણ કરતા હતા. તે જ્યાં પણ બેસતા તે જગ્યાને પણ સેનિટાઈઝ કરતા હતા.
આટલું ધ્યાન રાખવા છતાંય તેમને વાઈરસનો ચેપ લાગ્યો છે.’
યશોદા ગાંધીએ વાતચીતમાં આગળ કહ્યું હતું, ‘મહિના પહેલાં અચાનક તેમણે મને કહ્યું કે તેમને ઠીક નથી લાગતું અને એટલે આજથી તું મારા રૂમમાં ના રહીશ. જો કે એ સમયે એમને કોરોનાના કોઈ લક્ષણો જોવા નહોતા મળ્યા, બીજા દિવસે જ્યારે હું રૂમમાં ગઈ તો તેમને સામાન્ય તાવ હતો અને એટલે મેં એમમે તરત જ ડોલો ટેબલેટ આપી હતી. એ જ દિવસે બપોરના સમયે તેમણે મને કહ્યું કે તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. તેથી હું તાત્કાલિક તેમને લઈને ચેસ્ટ સ્કેનિંગ માટે ગઈ હતી.
ભવ્ય ગાંધીના પિતાના રિપોર્ટમાં 5% ઈન્ફેક્શન આવ્યું હતું. તેથી ડૉક્ટર્સે ઘરે જ આઈસોલેટેડ રહેવાની અને ચિંતા જેવું કંઈ છે નહીં તેમ કહ્યું હતું. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની દવા ચાલુ કરવામાં આવી હતી પણ બે દિવસ પછી પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. ત્યાર બાદ ‘અમે બીજા જાણીતા ચેસ્ટ ફિઝિશિયન પાસે ગયા પરંતુ તેમની પરિસ્થિતિ એવી ને એવી જ રહી હતી.
એ પછી અમે ફરીવાર CT સ્કેન કરાવ્યો કે જેથી જાણી શકાય કે દવાથી તેમને ફાયદો થઈ રહ્યો છે કે નહીં. અમારા કમનસીબે ઈન્ફેક્શન ડબલ થઈ ગયું હતું અને તેથી જ અમારે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે તેમ હતાં”
તેમને આગળ જણાવ્યું કે તેમને એડમિટ કરવા માટે એક પણ હોસ્પિટલ મળતી નહોતી. હું જેને પણ ફોન કરતી તે એમ જ કહેતા કે BMCમાં રજિસ્ટ્રેશન કરાવો અને જ્યારે તમારો નંબર આવશે ત્યારે BMC તમને ફોન કરશે. જોકે, ભવ્યના મેનેજરની મદદથી અમને દાદરની એક હોસ્પિટલમાં બેડ મળ્યો હતો. અહીંયા તેમને બે દિવસ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડૉક્ટર્સે ICUની જરૂર હોવાની વાત કહી હતી પણ એ હોસ્પિટલમાં ICU બેડ્સ નહોતા. તેથી હોસ્પિટલે બીજે શિફ્ટ કરવાનું કહ્યું હતું.
ત્યાર પછી મેં 500થી વધુ ફોન ICU બેડ્સ માટે કર્યા હતા. હોસ્પિટલથી લઈ રાજકારણી, સ્વૈચ્છિક સંસ્થા, મારા ઓળખીતા, કેટલાંક પરિવારના સભ્યો સહિતના લોકોને ફોન કર્યા હતા પણ મને ક્યાંયથી પણ ICU બેડ મળી શક્યો નહોતો. હું અને મારો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. તે સમયે અમે અમારી જાતને લાચાર સમજતા હતા. પરંતુ ભગવાનની દયાથી એક મિત્રની મદદથી અમને ગોરેગાવની નાનકડી હોસ્પિટલમાં ICU બેડ મળ્યો હતો.’
યશોદા ગાંધીએ આ વિશે આગળ કહ્યું હતું, ‘હજી અમારો સંઘર્ષ પૂરો નહોતો થયો. મારા પતિને કારણે મારા મોટા દીકરા તથા તેની પત્નીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે બંને ઘરમાં જ આઈસોલેશનમાં હતા અને હું તેમનું ધ્યાન રાખતી હતી. ભવ્ય હોસ્પિટલમાં પિતાનું ધ્યાન રાખતો હતો.
ત્યાર બાદ ડૉક્ટરે રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. અમે 6 ઈન્જેક્શન 8 ઈન્જેક્શનના ભાવમાં લાવ્યા હતા. એ પછી ડૉક્ટરે અમને ટોક્સિન ઈન્જેક્શન લાવવાનું કહ્યું હતું. મને એટલું ખરાબ લાગ્યું કે જે ઈન્જેક્શન આપણાં ભારતમાં બને છે, તે ઈન્જેક્શન મને આખા ભારતમાંથી ક્યાંય ના મળ્યું. મારે તે ઈન્જેક્શન દુબઈથી તાત્કાલિક મગાવવું પડ્યું અને 45 હજારના ઈન્જેક્શનના મારે એક લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. પણ તે ઈન્જેક્શનની તેમના પર કોઈ અસર ના થઈ. છેલ્લે અમે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કર્યા પરંતુ તેઓ તેમને લેવા તૈયાર નહોતા. તેમણે એવું કહ્યું કે કોવિડ 19ના દર્દીઓનું BMCમાં રજિસ્ટ્રેશન ના હોય તો તેઓ તેમની હોસ્પિટલમાં એડમિટ કરતા હતા. આ વાત સાંભળીને હું હિંમત હારી ગઈ હતી.
ત્યાર બાદ મેં હોસ્પિટલવાળા ને કહ્યું કે તેઓ બેભાન છે અને વેન્ટિલેટર પર કોઈ આશા રહી નહોતી. મેં હોસ્પિટલવાળાને મનાવ્યા અને તેમની પરિસ્થિતિ જણાવી. અંતે તેઓ માન્યા અને ICU બેડ આપ્યો હતો. અહીંયા તેઓ છેલ્લાં 15 દિવસ રહ્યા અને ગઈ કાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ‘મેં છેલ્લે તેમને 23 એપ્રિલે દૂરથી જોયા હતા. તે બેભાન હતા અને તેમણે મને જોઈ નહોતી.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!