દેશમાં મચ્યો નવો હાહાકારઃ મિસ્ટ્રી ફીવરના હજારોની સંખ્યામાં નોંધાઈ રહ્યા છે કેસ, જાણી લો લક્ષણો અને રહો સતર્ક
કોરોના વાયરસ બાદ હવે દેશના વિવિધ રાજ્યોમાં ડેન્ગ્યુએ પણ હાહાકાર મચાવ્યો છે. તેમાં ચિંતાનો વિષય છે કે કોરોના વાયરસની જેમ ડેન્ગ્યુએ પણ તેનું સ્વરૂપ બદલ્યું છે. જબલપુરમાં ડેન્ગ્યુના નવા સ્ટ્રેને દસ્તક આપી છે. જેનાથી દરેકની ચિંતા વધી છે. જબલપુરમાં અત્યાર સુધીમાં 410 ડેન્ગ્યુના દર્દીઓ મળી આવ્યા છે અને મિસ્ટ્રી ફીવરના દર્દીઓની સંખ્યા હજારોમાં પહોંચી છે.
આ વરસાદી ઋતુમાં મધ્યપ્રદેશમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જબલપુરમાં પણ અત્યાર સુધીમાં 400 થી વધુ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા છે. પરંતુ વધુ ચિંતાજનક બાબત એ છે કે ડેન્ગ્યુના લક્ષણો તે દર્દીઓમાં પણ સ્પષ્ટ દેખાય છે જેમનો ડેન્ગ્યુ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ડેન્ગ્યુથી પીડિત દર્દીમાં બ્લડ પ્લેટલેટ્સની સંખ્યા સતત ઘટતી રહે છે અને તેના કારણે ડેન્ગ્યુના દર્દીની હાલત ગંભીર થઈ જાય છે. પરંતુ જબલપુરમાં એવા દર્દીઓ પણ સામે આવ્યા છે જેમાં માત્ર વાયરલ તાવના લક્ષણો હોય પરંતુ તે દર્દીઓમાં પણ પ્લેટલેટની સંખ્યા સતત ઘટતી જોવા મળે છે.
ડોકટરો પણ આવા દર્દીઓના રિપોર્ટ જોઈ આશ્ચર્યચકિત થયા છે. જબલપુર વિભાગના આરોગ્ય નિયામક સંજય મિશ્રાના કહ્યાનુસાર જબલપુરમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને વાયરલ તાવ, શરદી અને ચિકનગુનિયાના દર્દીઓમાં પણ પ્લેટલેટની સંખ્યા સતત ઘટી રહી છે.
હેલ્થ ડિરેક્ટર ડો. સંજય મિશ્રા કહે છે કે તમામ ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ ડેન્ગ્યુનો નવો સ્ટ્રેન આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પીડિત દર્દીનો રિપોર્ટ ડેન્ગ્યુ નેગેટીવ આવી રહ્યો છે પરંતુ તેને ડેન્ગ્યુ હોય તેવા લક્ષણો જોવા મળે છે. કારણ કે તેમના પ્લેટલેટની સંખ્યા સતત ઘટી રહી છે.
આ અંગે નિષ્ણાંતો કહે છે કે સામાન્ય રીતે બ્લડ પ્લેટલેટની ગણતરી 1 લાખ 50 હજારથી 4 લાખ સુધીની હોય છે. પરંતુ હવે તાવ આવ્યા પછી તે ખૂબ જ ઝડપથી નીચે જઈ રહી છે. તેથી હવે ડોકટરોની ટીમ તેના વિશે વધારે અભ્યાસ કરી રહી છે.