કેરળમાં ભારે વરસાદના કારણે નદી થઈ ગાંડીતૂર, વહાવી લીધું આખેઆખું ઘર
કેરળના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે સ્થિતિ ભયાનક થઈ ગઈ છે. કેરળમાં વરસાદના કારણે વિવિધ ઘટનાઓમાં 18 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. સાથે જ ઘણા લોકો લાપતા હોવાનું કહેવાય છે. આ દરમિયાન કેરળના વિવિધ વિસ્તારોમાંથી વરસાદ સંબંધિત ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આવો જ એક વીડિયો કોટ્ટયમના મુંડકાયમમાંથી સામે આવ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રસ્તાની પાછળની તરફ નદી વહે છે. નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. આ પાણીના વેગને કારણે, રસ્તાની બાજુમાં બાંધેલું એક પાકું ઘર શરૂઆતમાં થોડું વળે છે. આ પછી તે જોતજોતામાં જ નદીમાં વહી જાય છે. જો કે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.
તમને જણાવી દઈએ કે કુટ્ટાયમમાં કુટ્ટિકલમાં 40 વર્ષીય પુરુષ, તેની 75 વર્ષીય માતા, 35 વર્ષીય પત્ની અને 14, 12 અને 10 વર્ષની ત્રણ છોકરીઓ સહિત પરિવારના છ સભ્યો મૃત્યુ પામ્યા છે. ભૂસ્ખલનમાં પરિવારનું ઘર ધોવાઇ ગયું હતું. શનિવારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બીજાની શોધ ચાલી રહી છે.
ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર તેલંગાણા ઉપર લો પ્રેશર એરિયાની રચના અને બંગાળની ખાડીમાંથી મજબૂત દક્ષિણ -પૂર્વ પવનને કારણે 20 ઓક્ટોબર સુધી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે. મંગળવાર સુધી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, હવામાન વિભાગે નદીઓમાં પાણીનું સ્તર વધવાની, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વરસાદને કારણે દાર્જિલિંગમાં ભૂસ્ખલનની ચેતવણી આપી છે.
હવામાન વિભાગે 17 ઓક્ટોબરથી બે-ત્રણ દિવસ સુધી ચારધામ સહિતના મોટાભાગના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેને જોતા વહીવટીતંત્રે કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા બંધ કરી દીધી છે .17 ઓક્ટોબરથી બે-ત્રણ દિવસો સુધી ચારધામ સહિતના મોટાભાગના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ અંગે વાત કરી હતી. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, ‘કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે વાત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે પરિસ્થિતિ પર ચર્ચા કરી. અધિકારીઓ ઘાયલ અને અસરગ્રસ્તોની મદદ માટે કામ કરી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, ‘હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.’ તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘દુખની વાત છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક લોકોના મોત થયા. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.