અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, મોટાભાગના વિસ્તારો પાણી પાણી
ગુજરાતમાં ફરી એકવાર વરસાદે રફતાર પકડી લીધી છે, અમદાવાદમાં ખાસ કરીને બફારાના કારણે લોકો પરેશાન હતા, જેના પછી વરસાદ પડતાં શહેરીજનોને ખાસ રાહત મળી હતી. ભરબપોરે આસમાનમાં વાદળો ઘેરાઈ વળ્યા હતા, અને વરસાદની પધરામણી શરુ થઈ ગઈ હતી. પહેલા છૂટા છવાયા ઝરમર વરસાદ બાદમાં મેહુલાએ સ્પીડ પકડી હતી અને છેલ્લે તે ધોધમાર બનીને ખાબક્યો હતો.
ગુજરાતના આકાશમાં વધુ એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે, ફરી એકવાર વરસાદની પધરામણી થતાં અમદાવાદ આજે પાણી પાણી થઈ ગયું, કરી છે. ખાસ કરીને અમદાવાદમાં બે દિવસથી ઉકળાટના વાતાવરણ વચ્ચે છૂટા-છવાયા ઝરમરિયા બાદ આજે સવારથી અંધારેલો મેહ તૂટી પડ્યો હતો. અમદાવાદના પશ્ચિમ -પૂર્વ વિસ્તારમાં વિસ્તારમાં ગાજ-વીજ સાથે વરસાદ તૂટી પડતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગે બે-ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ પશ્ચિમના સેટેલાઈટ,બોડકદેવ, એસ.જી હાઈવે, ઘાટલોડીયા,બોપલ, નારણપૂરા,રાણીપ જેવા વિસ્તારોમાં વરસાદ થયો હતો. અચાનક જ ભારે વરસાદ આવતા નાગરિકોને જો કે ભારે બફારામાંથી મુક્તિ મળી હતી. પરંતુ રોડ રસ્તા પર પાણીના ખાબોચિયા દેખાવા લાગ્યા.
ગુજરાત યુનિવર્સીટી,વાળીનાથ ચોક, GMDC જેવા વિસ્તારોમાં પણ મેઘરાજાએ બેટિંગ કરતા પાણી ભરાઈ ગયા હતા. જો કે તેના કારણે વાહનચાલકોને હાલાકી થઈ હતી, તેમને પાણીમાંથી વાહન કાઢવા અને ટ્રાફિકની બેવડી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કેટલીય જગ્યાએ ટૂ-વ્હીલર્સમાં પાણીમાં ફસાઈ ગયા હોય એવું પણ જાણવા મળ્યું
એવરેજ કરતા હજુ પણ વરસાદની ઘટ
અમદાવાદમાં સીઝનના સરેરાશ વરસાદ કરતા,પ્રમાણમાં વરસાદ આ વખતે ઓછો પડ્યો છે. આમ પણ આ વખતે હાલનો આ વરસાદ પાછોતરો છે.ત્યારે,નવરાત્રીના તહેવારના દિવસો સુધી વરસાદ છૂટો-છવાયો પડત્તો રહે તેની શક્યતાઓ નકારી શકાય નહિ.
છેલ્લા ચાર-પાંચ વર્ષથી,નવરાત્રીના દિવસોમાં પણ એટલો વરસાદ પડે છે કે મેદાનોમાં પાણી ભરાઈ જાય છે, અને લોકોએ તહેવારની ઉજવણી કરવાની મુશ્કેલી પડે છે. જો કે આ વખતે કોરોનાની ત્રીજી લહેરના કારણે પણ ગુજરાતીઓનો મૂડ બગડી શકે છે.