રાજ્ય સરકારે દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી માટે જાહેર કર્યા નિયમ
દિવાળીના પર્વને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસોની વાર છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવાળીને લઈને કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફટાકડા ફોળવાને લઈને રાજ્ય સરકારે નિયમો જાહેર કર્યા છે. મહત્વનું છે કે દિવાળીના પર્વ પર પૂજા, પાઠ સાથે ફટાકડા ફોડવાને લઈને સૌથી વધુ ઉત્સાહ હોય છે તેવામાં આજે જે નિયમ જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને લોકોમાં થોડી નિરાશા અને રોષ બંને જોવા મળ્યા હતા.
રાજ્ય સરકારના જાહેરનામા અનુસાર રાજ્યમાં દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે એટલે કે પહેલા તો આ નક્કી સમયમાં જ ફટાકડા ફોડવાના રહેશે અને આ સમય પણ માત્ર 2 કલાકનો જ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં આ વર્ષે કોવિડના કેસ ઘટી ગયા છે તેથી દિવાળી સમયે કેટલાક નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે દિવાળી નિમિત્તે જે નિયમ જાહેર કર્યા છે તેમાં નૂતન વર્ષના સ્નેહમિલન અને છઠ પૂજામાં 400 લોકોની મર્યાદામાં છૂટ આપી છે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ રાત્રે 1.00 થી સવારના 5.00 વાગ્યા સુધી રહેશે. પરંતુ આ સાથે જ સરકારે દિવાળીની રાત્રે 8 કલાકથી 10 કલાક સુધી જ ફટાકડા ફોડવાની છૂટ આપી છે. આ સિવાય રાજ્ય સરકારે સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર ફટાકડા ફોડવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.
જેમાં વિદેશથી ફટાકડા આયાત કરવાની અને ઓનલાઈન વેચાણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સિવાય રાજ્યમાં એવા જ ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેને ગ્રીન માન્યતા પ્રાપ્ત હોય આ સિવાય પ્રદૂષણ ઉત્પન્ન કરતા અને ઘન કચરો વધારતા ફટાકડા પર પ્રતિબંધ મુકાયો છે.
રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયેલ છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી અને તહેવારોને ધ્યાનમાં લઈને નવી ગાઈડલાઈમાં કેટલાક નિયંત્રણોમાં હળવા કરાયા છે. જેમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત કરી શકાશે. આ સાથે જ નૂતનવર્ષે રાત્રે 11.55થી 12.30 કલાક સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાયના સમય બાદ ફટાકડા ફોડી શકાશે નહીં.