કેન્દ્ર સરકારે ઈ-વાહનો અંગે આપી મોટી જાણકારી, દેશમાં સરકારની આ યોજનાની મદદથી દોડી રહ્યા છે લાખો ઈ-વાહનો
વધતાં જતાં પ્રદુષણને ધ્યાનમાં લઈને સરકાર હવે ઈ-વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે વર્ષ 2019માં દેશમાં કુલ 1,61,314 ઈ-વાહનો હતા. આ પછી વર્ષ 2020માં આ આંક્ડો 1,19,648 પહોચી ગયો હતો અને હાલમાં દેશમાં કુલ 2,80,962 ઈ-વાહનો છે. વર્ષ 2015માં ઇ-વાહનો/હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવા માટે એક ફેમ યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજનાનો બીજો તબક્કો 1 એપ્રિલ 2019થી પાંચ વર્ષ માટે લાગુ કરી દેવામા આવ્યો છે. આ સમયે દેશમાં ઈ-વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. પેટ્રોલના વધતા ભાવને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે.
આ સાથે ઈ-વાહનોની જાળવણી પણ થોડી સરળ છે. તેથી જ હવે સરકાર તેને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ કામ કરી રહી છે. ચોમાસુ સત્ર દરમિયાન સરકારને પૂછવામાં આવ્યું હતુ કે તેમણે દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે શું શું પગલાં લીધા છે.. આ અંગે વિગતે વાત કરીએ તો વિપક્ષે સરકારને સવાલ કર્યો હતો કે શું સરકારે દેશમાં ઈ-વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કઇ પગલાં લીધા છે? અને છેલ્લા બે વર્ષમાં દેશમાં કેટલા ઈ-વાહનો વેચાયા? આ સાથે સરકારને એ પણ પુછવામાં આવ્યું કે જે લોકો તેને ખરીદવા માંગે છે તેમને સરકાર દ્વારા કેટલી અને કેવા પ્રકારની મદદ આપવામાં આવી છે? આ વિષયમા કૃષ્ણ પાલ ગુર્જરે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કૃષ્ણ પાલ ગુર્જરે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ઇ-વાહનો/હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલય દ્વારા વર્ષ 2015માં એક FAME યોજના રજૂ કરવામાં આવી હતી. આ યોજનાનો બીજો તબક્કો 1 એપ્રિલ 2019થી પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે જેમાં કુલ નાણાકીય સહાય પેટે 10,000 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. તેનું લક્ષ્ય સબસિડી દ્વારા 7090 ઇ-બસ, 5 લાખ ઇ-થ્રી વ્હીલર્સ, 55000 ઇ-ફોર વ્હીલર્સ કાર અને 10 લાખ ઇ-ટુ વ્હીલર્સ માટે સહાય આપવાનું છે. આ વિશે વધારે વાત કરતા તેમણે કહ્યું કે ઈ-વાહનો પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. વાહનો સાથે જોડાયેલા ચાર્જર/ચાર્જિંગ સ્ટેશન જેવા ઈ-વાહનો સાથે જોડાયેલા સામાન પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
આ અંગે એક મોટી જાહેરાત માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયે કરી છે કે બેટરીથી ચાલતા વાહનોને લીલી લાયસન્સ પ્લેટ આપવામાં આવી રહી છે. તે પછી તેમને પરમિટની જરૂર નહીં પડે. આ સાથે તેની સૂચનામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્યોને ઇલેક્ટ્રિક વાહનો પર રોડ ટેક્સ ન વસૂલવાની સલાહ આપી છે. આ ઇ-વાહનોની પ્રારંભિક કિંમત ઘટાડવામાં મદદ કરશે. તેમણે એ પણ જણાવ્યું કે વર્ષ 2019માં દેશમાં કુલ 1,61,314 ઈ-વાહનો હતા. વર્ષ 2020માં 1,19,648 ઈ-વાહનો હતા અને હાલમાં દેશમાં કુલ 2,80,962 ઈ-વાહનો છે.
આ પાછળનો સરકારનો વાસ્તવિક હેતુ શું છે તે વિશે વાત કરવામ આવે તો ભારત સરકાર લાંબા સમયથી સ્વચ્છ બળતણ આધારિત વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જો કે આ અંગે નિષ્ણાતો માને છે કે ઇલેક્ટ્રિક કાર અંગે સરકારની નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. FAME યોજનાના બીજા તબક્કા દરમિયાન સરકારે 2019-2022 દરમિયાન ઇલેક્ટ્રિક વાહનો માટે તેના ભંડોળમાં દસ ગણો વધારો કર્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોટિવ મેન્યુફેક્ચરર્સ (SIAM) ના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને એક મુલાકાતમાં આ વિશે ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે ઘણી કંપનીઓ બજારમાં ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે. આનું મુખ્ય કારણ સરકારની FAME-2ની નીતિ. આ કોમર્શિયલ ક્ષેત્રમાં બસ, ટ્રક અને ટેક્સી જેવા ઇલેક્ટ્રિક વાહનોને વેગ આપશે અને ધીમે ધીમે તેની માંગમાં વધારો પણ થશે.