ગુજરાતના કયા શહેરોની કઈ વાનગીઓ છે પ્રસિદ્ધ? જાણો અહીં અને અચૂક લેજો સ્વાદ
ગુજરાતીઓ વિશે એવું કહેવાય છે કે ગુજરાતીઓને ખાવા-પીવાનો અને ફરવાનો ખૂબ જ શોખ હોય છે. વિશ્વના ખૂણે-ખૂણે જઈને ગુજરાતીઓ વસે છે, અને ગુજરાતીઓને બીજી એક ખાસિયત કહો કે, તેમને દુનિયાના કોઈપણ ખૂણે લઇ જાઓ, બધે જ ગુજરાતી થાળી શોધવા લાગી જાય છે.
ભલે કોઈ નવી વાનગી ટ્રાય કરશે પણ અંતે તો તેમને ગુજરાતી થાળી ખાધા પછી જ સંતોષ થાય છે. ત્યારે કોઈ બીજી જગ્યાના વતનીઓ જયારે ગુજરાત આવે ત્યારે તેઓ પણ ગુજરાતી થાળીનો સ્વાદ ચાખ્યા વિના પાછા નથી જતા અને જે-તે શહેર ની પ્રખ્યાત વાનગીઓનો લ્હાવો પણ લે છે. ત્યારે ચાલો આજે ગુજરાતના જુદા-જુદા શહેરોની જુદી-જુદી પ્રખ્યાત જગ્યાઓની વાનગીઓ વિશે જાણીશું.
અમદાવાદ
અમદાવાદમાં લાલ દરવાજા નજીક લકી ટી સ્ટોલની ચા અને મસ્કાબન ત્યાંની કબરો સાથે ખાવાનો લ્હાવો પણ લેવો જોઈએ. સાથે જ રાયપુરના ભજીયા લેવા માટે તો રીતસરનું લાઈનમાં જ ઉભું રહેવું પડે છે. સાબરમતી જેલના ભજીયા પણ ચાખવા પડે એવા હોય છે. ગુજરાત કોલેજ પાસે મળતા દાળવડા ચોમાસામાં ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે.
વિજય ચાર રસ્તા પાસેના આર કેના વડાપાંવ, અસર્ફીલાલની કુલ્ફી, કર્ણાવતીની દાબેલી પણ એક વાર તો ખાવા જેવી છે. સાથે જ જો ખાવાના ખૂબ જ શોખીન હોવ તો રાતે માણેક ચોક ચાલ્યા જાવ અને ત્યાં ગ્વાલિયર ઢોસા, ચોકલેટ સેન્ડવીચ અને પાવભાજી પણ ખાવી પડે એવી હોય છે.
રાજકોટ :
જો રાજકોટ ની વાત કરવામાં આવે તો ત્યાં ચા માટે ખેતલા આપા, જય અંબે અને મોમાઈની ચા ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટમાં ભગતના પેંડા અને જય સિયારામ ના પેંડા ખુબ જ જાણીતા છે. ઠંડી વસ્તુ જેવી કે આઇસક્રીમ અને કૂલ્ફી માટે રામ ઔર શ્યામના ગોલા, ભક્તિનગર સર્કલનો સોના-રૂપા નો આઇસ્ક્રીમ, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી ખુબ જાણીતા છે.
સુરત :
જો સુરત ની વાત કરવામાં આવે તો ત્યાં રમેશનો સાલમપાક ખુબ જ પ્રખ્યાત છે. આ સાથે દરેક ગુજરાતીઓના મન પસંદ એવા ફાફડા માટે ગાંડાકાકા ના ફાફડા, ખાંડવાળાની શેરીના સુરતી ખાજા અને ટેક્સટાઇલ માર્કેટ પાસે પહેલવાનના છોલે ભટુરે ખુબ જ જાણીતા છે.
વડોદરા :
વડોદરા જાઓ અને જગદીશનો લીલો ચેવડો અને ભાખરવડી ખાવા જ પડે અને ઘરવાળા માટે લઈને પણ જવા પડે. સાથે જ સવારે જય મહાકાળીના સેવ ઉસળ ખાઈને દિવસની શરૂઆત કરો તો દિવસ બની જ જાય. આની સાથે જ કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા તથા મંગળબજારમાં પ્યારેલાલ ની કચોરી પણ લોકોને ખૂબ પસંદ આવે છે.
જામનગર :
જો જામનગર ની વાત કરવામાં આવે તો ત્યાં જનતા ફાટકના વણેલા ગાંઠિયા, કાકાનું પાન, જગદિશનો ફાલુદા, એચ.જે. વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, ગીતાનો આઇસ્ક્રીમ, ગીજુભાઈની ભેળપૂરી, ચંદુભાઇના દાળવડા અને જામનગર સહિત આસપાસના વિસ્તારમાં ડાયફ્રુટની કચોરી ખુબજ જાણીતી છે.
જુનાગઢ :
જો જુનાગઢની વાત કરવામાં આવે તો ત્યાં બાપુના ભજિયા, સાગરના બટર પફ, જનતાની ભેળ, શક્તિની દાબેલી, ચામુંડાની મેંગો લસ્સી, ક્રિષ્ના ની પકોડી લોકોમાં અતિ પ્રખ્યાત છે.
ભાવનગર :
જો ભાવનગરની વાત કરવામાં આવે તો ત્યાં ભગવતીનું સેવ-ઉસળ, શેઠ બ્રધર્સનો છાશનો મસાલો ખુબ જ જાણીતા છે. આ સાથે દાસ અને જીવનભાઇના ગાંઠિયા ભાવનગરના લોકોને ખુબ જ ભાવે છે.
ગાંધીનગર :
ગુજરાતના પાટનગર ગાંધીનગર જવાની તક મળે અને જાઓ તો અહીં તમને ગાંઠીયા રથના ગાઠીયા, મહાલક્ષ્મીના ખમણ અને પૂજાના ઢોકળા ખાવા માટે મળી જશે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. સાથે જ સેંધાના ગોટા પણ લોકોમાં ઘણા પ્રિય છે. સાથે જ અક્ષરધામ બાજુ જાઓ તો ત્યાંની ખીચડી ખાવાનું ભૂલતા નહિ અને નાસ્તામાં બીજા લોકપ્રિય વિકલ્પો તરીકે લક્ષ્મી બેકારીના પફ, પેટીસ અને નાનખટાઈ પણ ભાવશે અને હા, જમ્યા પછી તૃપ્તિનું આઈસ્ક્રીમ ખાવાનું ભૂલતા નહિ.