SBIએ કરી સ્પષ્ટતા, નવું એકાઉન્ટ ખોલવા માટે જરૂર પડશે આ ડોક્યુમેન્ટની, જાણી લો ખાતુ ખોલાવવા માટે શું-શું જોઇશે
ભારતીય સ્ટેટ બેંક(SBI) દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ બેંકમાં બચત બેંક ખાતું ખોલવા માંગે છે તો તેને કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. બેંકમાં ખાતું ખોલવા માટે, તમે બેંકમાંથી મળતુ ફોર્મ ભરીને અને તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડીને તમારું ખાતું ખોલી શકો છો. આજે પણ એવા ઘણા લોકો છે જેઓ માને છે કે જો તેઓ કોઈ પણ બેંકમાં બચત બેંક ખાતું ખોલવા માંગતા હોય તો તેમને તેના માટે ગેરંટરની જરૂર પડશે. જ્યારે આવું નથી. આજે બેન્કિંગ સિસ્ટમસંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે જો તમે બેંકમાં ખાતું ખોલવા માંગતા હોવ તો બેંકમાં ખાતું ખોલવા માટે ભારતીય રિઝર્વ બેંક(RBI)ના નિયમો હેઠળ આધાર અને PAN જરૂરી છે.
મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા RBI દ્વારા e-KYC સંબંધિત માસ્ટર પરિપત્ર અપડેટ કરવામાં આવ્યો હતો. આ નવા પરિપત્ર મુજબ નવા બેંક ખાતા માટે આધાર અને પાન નંબર આપવો ફરજિયાત રહેશે. આ વિશે વિગતે વાત કરવામા આવે તો SBIના એક યુઝરે ટ્વિટર હેન્ડલ પર એક પ્રશ્ન પૂછ્યો છે કે શું SBI શાખામાં ખાતું ખોલવા માટે ગેરંટરની જરૂર છે કે પછી માત્ર આધાર પરથી જ કામ થઈ જશે. તેનો જવાબ આપતા બેંકે કહ્યું છે કે બેંક ખાતું ખોલવા માટે ફોર્મ ભરવાનું રહેશે. આ ઉપરાંત કે KYC ફરજિયાત છે. આ વિશે વધુ માહિતી માટે બેંકે કેટલીક લિંક્સ પણ શેર કરી છે.
આ ડોક્યુમેન્ટસની પડશે જરૂર:
ભારતીય સ્ટેટ બેંક(SBI) દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ બેંકમાં બચત બેંક ખાતું ખોલવા માંગે છે તો તેને આ ડોકયુમેન્ટસની જરૂર પડશે. આ માટે તમે બેંકમાંથી પ્રાપ્ત ફોર્મ ભરીને અને તેની સાથે જરૂરી ડોકયુમેન્ટસ જોડીને તમારું ખાતું ખોલી શકો છો.
-પાન કાર્ડ અથવા ફોર્મ 60
-ફોટોગ્રાફ
-સત્તાવાર રીતે માન્ય ડોકયુમેન્ટસ(OVD)માંથી કોઈપણ એકની ફોટોકોપી
*આ સિવાય અન્ય કયા કયા ડોકયુમેન્ટસની જરૂર પડશે તે વિશે વાત કરીએ તો ખાતાધારકની ઓળખ અને વર્તમાન સરનામાંની ઓળખ માટે આમાંથી કોઈ પણ ડોકયુમેન્ટસનો ઉપયોગ કરી શકો છો-
-પાસપોર્ટ
-ડ્રાઇવિંગ લાયસન્સ
-આધાર કાર્ડ
-મતદાર આઈડી કાર્ડ
-રાજ્ય સરકારના અધિકારી દ્વારા સહી કરેલ નરેગા દ્વારા જારી કરાયેલ જોબ કાર્ડ
-નામ અને સરનામાની માહિતી સાથે રાષ્ટ્રીય વસ્તી નોંધણી દ્વારા જારી કરાયેલ પત્ર.
*જો અપડેટ કરેલું સરનામું ન હોય તો તમે આ દસ્તાવેજોનો ઉપયોગ કરી શકો છો:
-વીજળી બિલ
-ટેલિફોન બિલ
-મોબાઇલ પોસ્ટ પેઇડ બિલ
-ગેસ પાઇપલાઇન બિલ અથવા પાણીનું બિલ જેવા ઉપયોગિતા બિલ. (ધ્યાનમાં રાખો કે આ બિલ બે મહિનાથી વધુ જૂના ન હોવા જોઈએ)
-મિલકત અથવા નગરપાલિકાની કર રસીદ
-પેન્શન અથવા ફેમિલી પેન્શન પેમેન્ટ ઓર્ડર(PPO) જે સરકાર દ્વારા સરકારી અથવા જાહેર ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવે છે.
-રાજ્ય અથવા કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા જારી કરાયેલા રહેઠાણો સંબંધિત પત્રો.
*બચત ખાતાનો શું છે ફાયદો?
બચત ખાતાનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ દ્વારા બેંકમાં વ્યક્તિગત કામ માટે જમા થયેલી રકમ સુરક્ષિત રાખવા માટે થાય છે. બચત ખાતું એક એવું ખાતું છે જેમાં ખાતાધારક દ્વારા જમા કરાયેલ નાણાં પર બેંકો દ્વારા નક્કી કરાયેલું વ્યાજ પણ આપવામાં આવે છે જે 2%થી 6% સુધી હોઇ શકે છે.